બોપલ ચિદાનંદ બંગલોમાં ₹40 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
રાજસ્થાનના ડુંગરપુરના સાત આરોપીઓની ધરપકડ, ચોરી કરવા કામવાળીએ આપી હતી ટીપ
37 તોલા સોનું, 30 તોલા ચાંદી અને રૂપિયા 5 લાખથી વધુની રોકડની ચોરી કરી થયા હતા ફરાર
37 તોલા સોનું, 30 તોલા ચાંદી અને રૂપિયા 5 લાખથી વધુની રોકડની ચોરી કરી થયા હતા ફરાર
બોપલના ચિદાનંદ બંગલોઝમાં થયેલી રૂપિયા 40 લાખની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઘરનું કામ કરવાવાળી સહિત 7 આરોપીઓને ઝડપી ચોરી થયેલો તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂપિયા ₹40 લાખની ચોરી કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પકડાયેલા તમામ આરોપીઓ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી હોવાનું અને ચોરી કરવા માટે કામવાળીએ ટીપ આપી હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસના એસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યુ કે, 17 ઓગસ્ટના રોજ વહેલી સવારે 3 વાગ્યે બોપલ પોસ્ટ ઓફિસ પાસે આવેલા ચિદાનંદ બંગલોઝમાં ચોરી થઈ હતી. આરોપીઓએ બંગલામાં ઘૂસી 370 ગ્રામ સોનાના દાગીના, એક મોતીનો સેટ, 300 ગ્રામ ચાંદીના ઘરેણાં અને ₹5 લાખથી વધુની રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલા કુલ મુદ્દામાલની કિંમત અંદાજે ₹40 લાખ આંકવામાં આવી હતી.
ગ્રામ્ય પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ માહિતી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરતાં જાણવા મળ્યું કે ચોરી કરનાર ગેંગે સ્કુટર અને સીએનજી રિક્ષાનો ઉપયોગ કરી ચોરીને અંજામ આપ્યો હતો. તેના આધારે તપાસ કરતાં તમામ આરોપીઓ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.
તપાસમાં વધુ જાણવા મળ્યું કે, અમદાવાદમાં YMCA ક્લબ સરખેજ નજીક કામચલાઉ ઝૂંપડપટ્ટીમાં તમામ આરોપીઓ રહેતા હતા. ધનપાલ કાંતિલાલ મીણા, હરીશ મનોજ નાનોમા, ઉમેશ નાગજી પરમાર, ભાગુ ભરત મીણા, હરીશ જગદીશ કલાસુવા, ધનરાજ કેશુ કલાસુવા અને ક્રિષ્ના (ધનપાલ મીણાની દીકરી) ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
ક્રિષ્ના નામની યુવતી ચિદાનંદ બંગલોઝમાં ઘરકામ કરતી હતી. પરિવાર બહારગામ ગયો હોવાની અને બંગલામાં કિંમતી દાગીના હોવાની ગેંગને ટીપ્સ આપી હતી. તેથી ટોળકી ચોરીને અંજામ આપવામાં સફળ રહી હતી.
પીએસઆઈ પી.જી. બારૈયા અને ટેકનિકલ ઓફિસર વિજય પટેલની ટીમે ધનપાલ મીણાને તેના વતન રાજસ્થાનના ગામમાંથી 19 ઓગસ્ટના રોજ શોધી કાઢી ધરપકડ કર હતી. પૂછપરછ દરમિયાન તેણે ગુનાની કબલાત કરતાં અન્ય સાગરીતોના પણ નામ જાણવા મળ્યા હતા. જેના આધારે બાકીના આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.
આ ચોરીની ઘટના બાદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ ઘરે કામ કરવા આવતા નોકર-ચાકરોની નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા ઓનલાઈન સિટિઝન પોર્ટલ પર નોંધણી કરાવે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'આવી નોંધણી સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ચોરીની ઘટનાઓને અટકાવવા માટે મહત્વપૂર્ણ છે. જેમાં અંદરના લોકો ગુનેગારોને બાતમી આપે.' તમામ સાત આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો