₹32 કરોડની હીરાચોરીનો આરોપી ખુદ ફરિયાદી નીકળ્યો!
વેપારી ડી.કે.મારવાડીના ખિસ્સામાં રાખેલી બે ચાવીઓના કારણે હીરાચોરીનો ભેદ ઉકેલાયો
ઇન્સ્યોરન્સના 20 કરોડ મેળવી 25 કરોડનું દેવું ચૂકવવા માટે હીરા વેપારીએ કર્યો હતો પ્લાન
ઇન્સ્યોરન્સના 20 કરોડ મેળવી 25 કરોડનું દેવું ચૂકવવા માટે હીરા વેપારીએ કર્યો હતો પ્લાન
સુરતના વરાછાના ખોડીયારનગર રોડ પર ડી.કે.એન્ડ સન્સ કંપનીમાંથી 32 કરોડની હીરા ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. સુરત પોલીસે 24 કલાકમાં હીરા ચોરીનો ભેદ ઉકેલી ચાર શખ્સોની ધરપકડ કરી છે. ડાયમંડ કંપનીના માલિક દેવેન્દ્ર ચૌધરી ઉર્ફે ડી.કે.મારવાડીએ ઈન્સ્યોરન્સના પૈસા મેળવી દેવું ચુકવવા માટે પ્લાન ઘડ્યો હતો. જો કે, પોલીસે દેવેન્દ્ર મારવાડીનો ખેલ ઉંધો પાડીને ડી.કે.મારવાડીની ધરપકડ કરી છે. ડી.કે.મારવાડીના ખિસ્સામાં રહેલી બે ચાવીઓના કારણે ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
સુરત પોલીસે દેવેન્દ્ર ચૌધરી, તેના પુત્ર ઈશાન ચૌધરી, ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ અને ટેમ્પો ચાલક રામજીવનની ધરપકડ કરી છે. અન્ય પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. આ કેસમાં ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારીની ભૂમિકા અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. દેવેન્દ્ર મારવાડીએ ડ્રાઈવર વિકાસ માટે દુબઈની ટિકિટ પણ બુક કરાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
દેવેન્દ્ર ચૌધરીના માથે 25 કરોડનું દેવું થઈ ગયું હોવાથી સમગ્ર તરકટ રચ્યું હતું. કોરોના પછી ધંધામાં આવેલી મંદીએ કમર તોડી નાંખી હતી. પરિસ્થિતિમાંથી બહાર નીકળવા તેણે જબરદસ્ત પ્લાન બનાવ્યો. પ્લાન પાછળનો મુખ્ય આધાર ચાર વર્ષ પહેલાં થયેલી એક લૂંટ હતી. જેમાં ઇન્સ્યોરન્સ કંપની તરફથી 50 ટકા રકમ મળી હતી. આ અનુભવના આધારે આ વખતે પણ 50 ટકા ઇન્સ્યોરન્સ મેળવવા માટે ચોરીનું નાટક કર્યુ હતું.
દેવેન્દ્ર ચૌધરી અને તેના પુત્ર ઈશાન ચૌધરીએ આ કાવતરું 45 દિવસ પહેલાં ઘડ્યું હતું. નકલી ચોરીના નાટક માટે ડ્રાઈવર વિકાસ બિશ્નોઈની મદદ લીધી. વિકાસે હનુમાન નામના એક શખ્સનો સંપર્ક કર્યો. જે રાજસ્થાનના બાડમેરનો વતની હતો અને તેના પર અગાઉ છેતરપિંડીનો કેસ હતો. હનુમાનને આ કામ માટે 25 લાખની સોપારી આપી. ત્યારબાદ ચોરીનો કેસ મુંબઈ તરફ ફંટાય તે માટે હનુમાન મુંબઈથી ત્રણ લોકોને લઈને સુરત આવ્યો હતો.
આ ષડયંત્રમાં દેવેન્દ્ર ચૌધરી અને તેના સાથીઓએ કેટલીક ભૂલો કરી. જેના કારણે પોલીસને શરૂઆતથી શંકા ગઈ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, ફરિયાદીએ સાત ભૂલો કરી, જેના કારણે પોલીસને શંકા ગઈ હતી કે ચોર બહારનો નહીં, પણ ઘરનો હોવો જોઈએ.
તેમણે ઉમેર્યુ કે, પોલીસને સૌથી પહેલી શંકા ત્યારે ગઈ જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા. દેવેન્દ્ર ચૌધરીએ 32 કરોડની ચોરી થઈ હોવાની ફરિયાદ કરી. પરંતુ તિજોરી કે કારખાનાનું કોઈપણ તાળું તૂટ્યું નહોતું. ચોરી થઈ હોય તો તાળાં તૂટે, પરંતુ અહીં એવું કંઈ જ જોવા મળ્યું નહોતું. જ્યારે 32 કરોડના હીરા રાખવામાં આવતા હોય તેવા કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ ન હોવો પોલીસ માટે આશ્ચર્યજનક હતું. તપાસમાં જાણવા મળ્યું કે દેવેન્દ્ર ચૌધરીએ આર્થિક સંકડામણનું બહાનું આપી 18 દિવસ પહેલાં સિક્યુરિટી ગાર્ડને કાઢી મૂક્યો હતો.
આ ઉપરાંત આરોપીઓ ગેસ કટરનો ઉપયોગ કરવાના હતા. તેથી ફાયર સેફ્ટીના સાધનો હટાવી દીધા હતા. ગેસ કટરથી કામ કરતી વખતે કોઈ જગ્યાએ પાણી કે સાયરન વાગે તો ચોરીનો પ્લાન નિષ્ફળ જાય. તેથી સાધનો હટાવી લેવામાં આવ્યા હતા. કારખાનામાં સીસીટીવીની સંખ્યા ઘટાડી દેવાઈ હતી. અલગ-અલગ DVRને બદલે એક જ DVR બનાવવામાં આવ્યું હતું. ચોરને કેવી રીતે ખબર પડી કે કયા સર્વરમાં DVR છે. જ્યારે કારખાનામાં 12 તાળાં હતા. પરંતુ પોલીસને 10 ચાવી મળી હતી. બાકીની બે ચાવી ગુમ હતી. બંને ચાવીથી કારખાનું ખોલવામાં આવ્યું હતું. તેથી ચોરી કોઈ અજાણ્યા શખ્સે નહીં, પરંતુ કારખાનાના જાણભેદું વ્યક્તિએ કરી છે.
તેમણે કહ્યું કે, પોલીસે હીરાના ઈનવોઈસ બિલની તપાસ કરતાં આવક અને જાવકમાં મોટો તફાવત જોવા મળ્યો. તિજોરીમાં બોગસ બિલ અને નકલી હીરા મૂકવામાં આવ્યા હતા. જેથી ચોરીની રકમ વધુ બતાવી શકાય. નવા આવેલા રત્ન કલાકારો પાસેથી પ્લાસ્ટિક અને કાચના હીરા ઘસાવવામાં આવતા હતા. જે ચોરી સમયે તિજોરીની બહાર નાંખવામાં આવ્યા. જેથી પોલીસને લાગે કે વાસ્તવમાં હીરાની ચોરી થઈ છે. બિલ્ડિંગમાં ઘણા ડાયમંડના કારખાના હતા, પરંતુ તસ્કરોએ માત્ર ચોથા માળે દેવેન્દ્ર ચૌધરીના કારખાનામાં ચોરી કરવા ગયા. જે શંકાસ્પદ બાબત હતી.
ટેમ્પો ચાલકે વટાણા વેરી નાખ્યાં
સુરત પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા આઠ PI સહિત 150 પોલીસ કર્મચારીઓની ટીમો બનાવી હતી. 400થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા. એક CCTV ફૂટેજમાં બે લોકો ખભા પર હેવી મશીન લઈને આવતા દેખાયા. આ લોકોએ ત્રણ રિક્ષા બદલીને ટેમ્પોમાં મુસાફરી કરી હતી. ટેમ્પોના લોકેશન પરથી પોલીસ દેવદ ગામ પહોંચી હતી. ટેમ્પો ચાલક રામજીવનની અટકાયત કરતાં તેણે પૂછપરછમાં વટાણા વેરી નાખતાં સમગ્ર ઘટના સ્પષ્ટ થઈ ગઈ હતી.
ડ્રાઇવરે ડી.કે.મારવાડીનું નામ આપી દીધું
ત્યારબાદ પોલીસે ડી.કે. મારવાડીના ડ્રાઈવર વિકાસ બિશ્નોઈને રાજસ્થાનથી પકડી પાડ્યો હતો. તેણે દેવેન્દ્ર ચૌધરીના કહેવા પર કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત કરી હતી. 18 ઓગસ્ટે ચોરી થયા બાદ દેવેન્દ્રએ વિકાસને દુબઈ ભગાડી દેવા માટે 19 ઓગસ્ટની ફ્લાઇટ ટિકિટ પણ બુક કરાવી દીધી હતી.
ચાર વર્ષ પહેલાં થયેલી લૂંટના આધારે તરકટ રચ્યું
દેવેન્દ્ર ચૌધરીએ ચાર વર્ષ પહેલાં કતારગામ વિસ્તારમાં કર્મચારીઓ સાથે થયેલી 18 લાખની લૂંટમાં 8 લાખ રૂપિયા ઇન્સ્યોરન્સમાં મેળવ્યા હતા. આ અનુભવના કારણે તેણે ચોરીનું કાવતરું રચ્યું. 22 ઓગસ્ટે કંપનીનો ઇન્સ્યોરન્સ પૂર્ણ થઈ રહ્યો હતો. તેથી તેણે 4 લાખ રૂપિયા પ્રીમિયમ ભરી ઇન્સ્યોરન્સ કર્મચારી સાથે વાતચીત કરી હતી. ઇન્સ્યોરન્સ કર્મચારીએ જણાવ્યું હતું કે કંપનીની અંદર ચોરી થાય તો 50 ટકા જેટલો ઇન્સ્યોરન્સ મળશે. આ માહિતી મળ્યા બાદ તેણે ષડયંત્ર રચ્યું હતું.
સમગ્ર મામલો શું હતો?
ડાયમંડનું આયાત-નિકાસ કરતી ડી.કે.સન્સ એન્ડ કંપનીમાં 15 ઓગસ્ટ અને જન્માષ્ટમીને લઈને ત્રણ દિવસની રજા હતી. 15મી ઓગસ્ટના રોજ બપોરે દેવેન્દ્ર ચૌધરી પોલિશ્ડ અને રફ હીરા ઓફિસમાં રહેલી તિજોરીમાં મૂકીને ઘરે જવા નીકળ્યા હતા. 18 ઓગસ્ટના રોજ સવારે હીરાની કંપનીમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. પાંચ લાખ રોકડ, 32.47 કરોડના 1,12,561 કેરેટ હીરા સહિત 32.6 કરોડની ચોરી થઈ હતી. સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ તસ્કરો લેતા ગયા હતા. પોલીસને સિગારેટના ઠૂંઠા અને ગુટકાનું પાઉચ મળ્યું હતું. તસ્કરો મુંબઈ અથવા રાજસ્થાનના હોવાની દિશામાં તપાસ હાથ ધરાઈ હતી.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો