સુરત: પોલીસ ચોકી પાસે જ વેપારી પર કરાયો હુમલો
સગરામપુરામાં દારૂ પીવાની ના પાડતા અસામાજિક તત્વોનો આતંક; હાર્ડવેરના વેપારીને ચપ્પુ માર્યું

દારુ પહેવાની ના પાડતા વેપારી પર હુમલો

દારુ પહેવાની ના પાડતા વેપારી પર હુમલો
સુરત શહેરના હૃદય સમાન ગણાતા સગરામપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો ઘાટ સર્જાયો છે. સગરામપુરા પોલીસ ચોકીની બિલકુલ બહાર જ અસામાજિક તત્વોએ એક નિર્દોષ વેપારી પર ચપ્પુ વડે હુમલો કરી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધોળે દિવસે અને પોલીસની હાજરીની નજીક બનેલી આ ઘટનાએ સમગ્ર વેપારી આલમમાં રોષ અને ફફડાટ ફેલાવી દીધો છે.
ઘટનાની વિગત: દારૂની મહેફિલ અને લોહીની હોળીમળતી માહિતી અનુસાર, બસંત બાઈદાન રામ નામના વેપારી સગરામપુરાના નવસારી બજાર વિસ્તારમાં પોતાની હાર્ડવેરની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગળવારે સવારે જ્યારે બસંતભાઈ પોતાની દુકાન ખોલવા માટે પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે તેમની દુકાનની બહાર અસામાજિક તત્વો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. દુકાનના ઓટલા અને આસપાસ દારૂની ખાલી બોટલોનો ખડકલો પડેલો હતો.
પોતાની દુકાન પાસે આવી ગંદકી અને અસામાજિક પ્રવૃત્તિ જોઈને બસંતભાઈએ આ તત્વોને ત્યાં દારૂ ન પીવા અને ગંદકી ન કરવા માટે નમ્રતાથી ટકોર કરી હતી. જોકે, નશામાં ધૂત આ અસામાજિક તત્વોને વેપારીની વાત ગમી નહોતી. ઉશ્કેરાયેલા આ શખ્સોએ વેપારી સાથે બોલાચાલી કરી અને અચાનક જ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ ચપ્પુ વડે બસંતભાઈ પર હુમલો કરી દીધો હતો.
ગંભીર ઇજા અને સારવારઆ હુમલામાં બસંતભાઈને પગના ભાગે ચપ્પુના ઊંડા ઘા વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યા હતા. હુમલો કર્યા બાદ અસામાજિક તત્વો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને લોહી વહેતું અટકાવવાના પ્રયાસો કર્યા હતા. ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સને કરવામાં આવતા, પેરામેડિકલ સ્ટાફે સ્થળ પર પહોંચી પ્રાથમિક સારવાર આપી વેપારીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડ્યા હતા. હાલમાં વેપારીની હાલત સ્થિર છે, પરંતુ પગમાં ઊંડી ઇજા હોવાથી સર્જરી કરવાની જરૂર પડી શકે છે.
પોલીસની કામગીરી સામે સવાલોઆ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હુમલો સગરામપુરા પોલીસ ચોકીની બિલકુલ બહાર થયો છે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે નવસારી બજાર અને સગરામપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો રોજનો આતંક હોય છે. પોલીસ ચોકી હોવા છતાં આ તત્વો બેખોફ બનીને જાહેર રસ્તા પર દારૂ પીવે છે અને ત્યાંથી પસાર થતા લોકો કે વેપારીઓને પરેશાન કરે છે. જો પોલીસના નાક નીચે જ વેપારી સુરક્ષિત ન હોય, તો સામાન્ય જનતાનું શું? તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે.
વેપારીઓની કડક કાર્યવાહીની માંગભોગ બનનાર વેપારી બસંતભાઈ અને સ્થાનિક વેપારી મંડળોએ આ મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે. તેમણે માંગ કરી છે કે આ હુમલો કરનાર તમામ અસામાજિક તત્વોને તાત્કાલિક ઝડપી પાડી તેમના પર પાસા (PASA) સહિતની કડક કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે. વેપારીઓએ ચીમકી આપી છે કે જો ગણતરીના દિવસોમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે, તો બજાર બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
નવસારી બજારમાં બનેલી આ ઘટનાએ સુરત પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કર્યા છે. હાલમાં લિંબાયત પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ આ મામલે સીસીટીવી ફૂટેજ તપાસી રહ્યા છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો