વિજય હઝારે ટ્રોફી: શ્રેયસ અય્યરની ધમાકેદાર વાપસી
શ્રેયસ અય્યરે ઈજા બાદ મેદાન પર પરત ફરી ફટકાર્યા 82 રન, જ્યારે શુભમન ગિલ માત્ર 11 રને આઉટ

શ્રેયસ અય્યર

શ્રેયસ અય્યર
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરે ઈજાના લાંબા વિરામ બાદ મેદાન પર શાનદાર પુનરાગમન કર્યું છે. વિજય હઝારે ટ્રોફી 2025-26માં મુંબઈ તરફથી રમતા અય્યરે હિમાચલ પ્રદેશ સામે આક્રમક બેટિંગ કરી પોતાની ફિટનેસ અને ફોર્મ સાબિત કર્યું છે. જોકે, બીજી તરફ પંજાબ તરફથી રમી રહેલા શુભમન ગિલ ફરી એકવાર સસ્તામાં આઉટ થતા ચાહકોમાં નિરાશા જોવા મળી છે.
શ્રેયસ અય્યરની કેપ્ટન જેવી ઇનિંગ :
જયપુરમાં રમાયેલી આ મેચમાં શ્રેયસ અય્યરે માત્ર 53 બોલમાં 82 રનની તોફાની ઇનિંગ રમી હતી. પોતાની આ ઇનિંગ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. સેન્ચુરીની નજીક હોવા છતાં તે કુશલ પાલનો શિકાર બન્યો હતો. અય્યરની આ ઇનિંગની મદદથી મુંબઈએ નિર્ધારિત 33 ઓવરમાં 299 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. મુશીર ખાને પણ 73 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.
ગંભીર ઈજા બાદ વાપસી :
શ્રેયસ અય્યર ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિડની વનડેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પાંસળીઓમાં થયેલી ઈજા અને ઇન્ટરનલ બ્લીડીંગને કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમી શક્યો નહોતો. ન્યૂઝીલેન્ડ સામેની આગામી વનડે સીરિઝ માટે તેની વાઈસ કેપ્ટન તરીકે પસંદગી થઈ છે, પરંતુ તેનું રમવું ફિટનેસ ક્લિયરન્સ પર આધારિત છે.
શુભમન ગિલનું કથળતું ફોર્મ :
ભારતીય ટીમનો કેપ્ટન શુભમન ગિલ પંજાબ તરફથી ગોવા સામે મેદાનમાં ઉતર્યો હતો. ફૂડ પોઈઝનિંગમાંથી સાજા થયા બાદ ગિલ પાસે મોટી ઇનિંગની આશા હતી, પરંતુ તે માત્ર 11 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. ફાસ્ટ બોલર વાસુકી કૌશિકે તેને આઉટ કરીને પંજાબને મોટો ઝટકો આપ્યો હતો.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 11 જાન્યુઆરીથી વડોદરા ખાતે વનડે સીરિઝ શરૂ થવાની છે, તે પહેલા ખેલાડીઓનું આવું પ્રદર્શન ટીમ મેનેજમેન્ટ માટે ચિંતા અને રાહત બંનેના સમાચાર લઈને આવ્યું છે.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત