વડોદરામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જંગ
નવા વર્ષની પહેલી વન-ડે: રોહિત શર્મા પાસે ગેલનો રેકોર્ડ તોડવાની તક અને કોહલી પર નજર

વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં ઈતિહાસ રચાશે

વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં ઈતિહાસ રચાશે
નવા વર્ષના પ્રારંભે ક્રિકેટ ચાહકો માટે ઉત્સાહના સમાચાર સામે આવ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રતિષ્ઠિત વન-ડે સિરીઝનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. સંસ્કારી નગરી વડોદરાના આંગણે રમાનારી આ મેચ અનેક રીતે ઐતિહાસિક સાબિત થવાની છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચ આજે વડોદરાના નવનિર્મિત કોટંબી સ્ટેડિયમમાં રમાશે. વડોદરાના ક્રિકેટ ચાહકો માટે આ ગર્વની ક્ષણ છે કારણ કે આ મેદાન પર પહેલીવાર કોઈ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચનું આયોજન થઈ રહ્યું છે. મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ પ્રક્રિયા બપોરે 1:00 વાગ્યે પૂર્ણ થશે.
રોહિત શર્માના નિશાન પર વર્લ્ડ રેકોર્ડટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આજે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી શકે છે. રોહિત જો આજની મેચમાં માત્ર બે છગ્ગા ફટકારશે, તો તે વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં ઓપનર તરીકે સૌથી વધુ સિક્સર મારનાર બેટર બની જશે. હાલમાં વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલના નામે ઓપનર તરીકે 328 છગ્ગાનો રેકોર્ડ છે, જ્યારે રોહિત 327 છગ્ગા સાથે બીજા ક્રમે છે. આ ઉપરાંત, વિરાટ કોહલી પણ પોતાના શાનદાર ફોર્મને જાળવી રાખવા મેદાનમાં ઉતરશે. કોહલીએ ગયા વર્ષે 13 મેચમાં 651 રન બનાવ્યા હતા.
ભારતીય ધરતી પર ટીમ ઈન્ડિયાનો દબદબોઆંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો ન્યૂઝીલેન્ડ માટે ભારતને ભારતમાં હરાવવું લોઢાના ચણા ચાવવા જેવું છે.
સિરીઝ રેકોર્ડ: ભારતીય જમીન પર અત્યાર સુધી બંને દેશો વચ્ચે 7 વન-ડે સિરીઝ રમાઈ છે અને આ તમામ 7 સિરીઝમાં ભારત વિજેતા રહ્યું છે.
હેડ-ટુ-હેડ: બંને ટીમો અત્યાર સુધી 120 વન-ડેમાં સામસામે આવી છે, જેમાંથી ભારતે 62 અને ન્યૂઝીલેન્ડે 50 મેચ જીતી છે.
ઘરેલુ મેદાન: ભારતમાં રમાયેલી 40 મેચોમાંથી ટીમ ઈન્ડિયાએ 31 મુકાબલામાં જીત મેળવી છે, જ્યારે કિવિઝ ટીમ માત્ર 8 મેચ જીતી શકી છે.
ન્યૂઝીલેન્ડની ટીમ આજે નિયમિત કેપ્ટન મિચેલ સેન્ટનર વગર મેદાનમાં ઉતરશે, જે ઈજાના કારણે બહાર છે. ટીમની કમાન માઈકલ બ્રેસવેલ સંભાળશે. ન્યૂઝીલેન્ડે તેમના વરિષ્ઠ ખેલાડીઓ કેન વિલિયમસન અને રચિન રવીન્દ્રને આરામ આપ્યો છે, જે ભારતીય ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. બીજી તરફ, ભારતીય બોલિંગ આક્રમણની ધુરા હર્ષિત રાણા સંભાળશે, જેણે ગત વર્ષે 20 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો.
પીચ રિપોર્ટ અને હવામાનવડોદરાની પીચ બેટિંગ માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. અહીં રન બનાવવા સરળ છે, તેથી ચાહકોને હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. સ્પિનરોને રમતની બીજી ઇનિંગમાં થોડી મદદ મળી શકે છે. હવામાનની વાત કરીએ તો, 11 જાન્યુઆરીએ આકાશ એકદમ સાફ રહેશે. મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની શક્યતા છે, જે ક્રિકેટ માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડશે.
ભારતીય ટીમ આ મેચ જીતીને સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવવા અને નવા વર્ષનો વિજયી પ્રારંભ કરવા માટે પ્રબળ દાવેદાર જણાય છે.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત