ટિકિટ મુદ્દે ભાજપ-કોંગ્રેસમાં બળવો અને રાજીનામા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ટિકિટ વિતરણથી ભાજપ-કોંગ્રેસમાં બળવો અને પક્ષપલટાની મોસમ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ટિકિટ ફાળવણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોમાં આંતરિક અસંતોષ, બળવો અને રાજીનામાની લહેર જોવા મળી રહી છે. અનેક વફાદાર કાર્યકરોને અવગણીને નવા સમીકરણોને મહત્વ આપવામાં આવતા દિગ્ગજ નેતાઓ પક્ષ છોડતા જોવા મળી રહ્યા છે.
ધોળકા કોંગ્રેસમાં કકળાટ
અમદાવાદ જિલ્લાના ધોળકા શહેર કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. ધોળકા નગરપાલિકાની ચૂંટણીમાં મેન્ડેટની વહેંચણી મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ મકવાણાએ રાજીનામું ધરી દીધું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વફાદાર કાર્યકરોને બદલે ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપી છે. સત્તાવાર લડાઈમાં ઘરના જ નડ્યા હોવાનું જણાવી તેમણે પક્ષની કાર્યપદ્ધતિ સામે રોષ વ્યક્ત કર્યો છે.
અમરેલીમાં NSUI પ્રમુખનું રાજીનામું
અમરેલી જિલ્લામાં કોંગ્રેસનું યુવા સંગઠન નબળું પડ્યું છે. જિલ્લા NSUI પ્રમુખ સાહિલ શેખે કોંગ્રેસ છોડી ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ સાહિલ શેખને ભાજપમાં આવકાર્યા હતા. પક્ષમાં જોડાતાની સાથે જ સાહિલ શેખને સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 9 માંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
કલોલ અને ડભોઇમાં ‘આયાતી’ ઉમેદવારોના વિરોધમાં સામુહિક પક્ષપલટો
કલોલની પલિયડ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાંથી આવેલા કાર્યકરની પત્નીને ટિકિટ અપાતા ભાજપના 400 કાર્યકરોએ પક્ષ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. વર્ષોથી કામ કરતા કાર્યકરોએ નારાજગી સાથે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ચાણોદ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપમાંથી ટિકિટ ન મળતા મમતા પટેલે બળવો કરી કોંગ્રેસમાં જોડાઈને ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
પાલીતાણામાં શહેર પ્રમુખ ભાજપમાં જોડાયા
પાલીતાણામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા અને પૂર્વ વિપક્ષી નેતા કિરીટ સાગઠિયા ભાજપમાં જોડાયા છે. તેણે કેસરીયો ધારણ કર્યાના ગણતરીના કલાકોમાં વોર્ડ નં. 1માંથી ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ પણ ભરી દીધું છે.
નર્મદા જિલ્લામાં બળવો
નર્મદા જિલ્લામાં ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં ભડકો થયો છે. નાંદોદ તાલુકા પંચાયતની પોઈચા (ST મહિલા અનામત) બેઠક પર નીલિમાબેન રોહિતને ટિકિટ આપતાં વિરોધ થયો છે. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના નજીક ગણાતા અને પૂર્વ જિલ્લા મંત્રી સુરેશ વસાવાએ પક્ષ છોડ્યો છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે અન્ય સમાજમાં લગ્ન કરનાર દીકરીને આદિવાસી અનામત બેઠક પર ટિકિટ આપી પક્ષે આદિવાસી સમાજના બંધારણીય અધિકારોનું હનન કર્યું છે. તલાટી તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર સુરેશ વસાવાનો પરિવાર 1987થી ભાજપ સાથે જોડાયેલો છે. તેમના પત્ની રાજપીપળા નગરપાલિકામાં સભ્ય રહી ચૂક્યા છે.
છોટાઉદેપુર જિલ્લા ભાજપમાં બળવો
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખના પતિએ ભાજપમાંથી બળવો કરીનેને બોડેલી તાલુકા પંચાયતની પાણેજ બેઠક પર અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીના ખાસ ગણાતા શિવમહારાઉલ જી ભાજપના નિષ્ઠાવાન કાર્યકર ગણાતા તેમની ટિકિટ કાપવામાં આવતા બળવો કર્યો છે. બોડેલી તાલુકામાં ભાજપમાં બળવો થતા આગામી દિવસોમાં ભાજપ માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભારે નુકશાન થશે.
પોરબંદરમાં વિવિધ જ્ઞાતિ અને સમાજમાં રોષ
પોરબંદરમાં ઉમેદવારોની જાહેરાત બાદ બ્રહ્મ સમાજ, લોહાણા, રાજપૂત, કોળી અને વણકર સહિતના વિવિધ સમાજોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જ્ઞાતિવાદ અને જૂના કાર્યકરોની અવગણનાને કારણે ભાજપ કેટલીક બેઠકો પર ઉમેદવારો બદલે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.
મોરબીમાં પૂર્વ કાઉન્સિલર અને મંત્રી વચ્ચે તૂ તૂ મૈ મૈ
મોરબી ભાજપમાં અસંતોષ ચરમસીમાએ જોવા મળ્યો છે. વોર્ડ નં 6ના પૂર્વ કાઉન્સિલર અનોપસિંહ જાડેજાની ટિકિટ કપાતા તેમણે કાંતિ અમૃતિયા સાથે ઉગ્ર દલીલો કરી હતી. કચેરીમાં જ બંને નેતાઓ વચ્ચે રકઝક થયા બાદ અનોપસિંહ જાડેજાએ ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
પેટલાદ નગરપાલિકામાં રિપીટ ઉમેદવારો સામે નારાજગી
આણંદના પેટલાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારો રિપીટ કરતા નારાજગી ફેલાઈ છે. મહિલા કિસાન મોરચાના ઉપપ્રમુખ નયનાબેને વોર્ડ નં.1 માંથી અપક્ષ ફોર્મ ભરી પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી છે.
સમગ્ર પરિસ્થિતિ દર્શાવે છે કે ચૂંટણી પહેલાં બંને પક્ષોમાં આંતરિક સમતોલન જાળવવું મુશ્કેલ બની રહ્યું છે. બળવાખોર નેતાઓ અને અપક્ષ ઉમેદવારો ચૂંટણીમાં પક્ષોના મતગણિતને પ્રભાવિત કરી શકે છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.