ગુજરાત યુનિ. શૈક્ષણિક ધામ નહી ભ્રષ્ટાચારનો અડ્ડો!
કોંગ્રેસના નેતાઓનું યુનિવર્સિટીમાં ઢોલ-નગારા સાથે હલ્લાબોલ, કુલપતિ સામે છેડ્યું આદોલન
જવાબદારો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસ નેતા ઈન્દ્રવિજયસિંહ ગોહિલે આપ્યું 72 કલાકનું અલ્ટીમેટમ
જવાબદારો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસ નેતા ઈન્દ્રવિજયસિંહ ગોહિલે આપ્યું 72 કલાકનું અલ્ટીમેટમ
ગુજરાત યુનિવર્સિટી શાસક પક્ષના નેતાઓ માટે દૂઝણી ગાય બની હોય તેમ દરરોજ કરોડોના કૌભાંડ બહાર આવી રહ્યા છે. છેલ્લાં એક સપ્તાહ દરમિયાન આવેલા કૌભાંડોના કારણે ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક ધામ નહી પણ ભ્રષ્ટાચારનો અડ્ડો બની હોય તેમ લાગી રહ્યું છે. યુનિવર્સિટીમાં ચાલી રહેલા કૌભાંડોને લઈને કોંગ્રેસની વિવિધ પાંખો NSUI, યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી હલ્લાબોલ કર્યુ હતું.
ગુજરાત કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટીમાં ઢોલ નગારા સાથે રેલી યોજી વિરોધ કર્યો હતો. કુલપતિ ચેમ્બરમાં કાર્યકારી પ્રમુખ અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઈન્દ્રવિજયસિંહ ગોહિલે યુનિવર્સિટીના કૌભાંડોનો પર્દાફાશ કર્યો હતો. કુલપતિના પતિ સાથે નોકરી કરતા રિટાયર્ડ કર્મચારીઓને 5 લાખ સુધીનો પગાર ચુકવાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. જવાબદારો સામે 72 કલાકમાં કાર્યવાહી કરવા અલ્ટીમેટમ આપી, કાર્યવાહી નહી કરાય તો કોલેજ બંધ સુધીનું એલાન કરી આંદોલન છેડવાની ચીમકી આપી હતી.
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, મુખ્ય પ્રવક્તા મનીષ દોશી, પાર્થિવરાજસિંહ કઠવાડિયા, હિમાંશુ પટેલ, NSUIના કાર્યકરો અને યુવક કોંગ્રેસના નેતાઓ કુલપતિની ચેમ્બરમાં કૌભાંડોના બેનર સાથે રજૂઆત કરવા પહોચ્યા હતા. ઇન્દ્રવિજયસિંહ ગોહિલે યુનિવર્સિટીના વિવિધ કૌભાંડોનો પર્દાફાશ કરી કુલપતિ પાસે જવાબ માંગ્યો હતો. તમામ કૌભાંડ મુદ્દે કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોલેજ બંધનું એલાન આપીને ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.
ઈન્દ્રવિજયસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 10 દિવસમાં સિન્ડિકેટ સભ્યએ ખંડણી માગી, સિન્ડિકેટ સભ્યએ રાયફલ ક્લબ માટે જમીન માગી, કોન્ટ્રાક્ટ વિના બરોબર જમીન આપવા સહિતના અલગ અલગ વિવાદ સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દલા તરવાડીની વાડી અને ઘાટ કરતા ઘડામણ મોંઘી હોય તે કહેવત ઉપર કામ કરી રહી છે. લોકોને જમીન અને લાખોનો પગાર આપે છે. આગામી દિવસોમાં આ મુદ્દા ઉપર નિર્ણય કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.
ક્યાં કૌભાંડો બાબતે રજૂઆત કરી?
શ્વેતલ સુતરીયાએ 75 લાખની ખંડણી માગી તેનો ઓડિયો જાહેર કરવામાં આવે અને શ્વેતલ સુતરીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવે. સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન જે એસોસિએશનમાં પ્રમુખ છે તે એસોસિએશનને રાઇફલ ક્લબ માટે જમીન ફાળવવામાં ન આવે. યુનિવર્સિટીની જમીન પર એકેડેમીએ કોન્ટ્રાક્ટ ટેન્ડર વિના કબજો જમાવ્યો છે. તેને ખાલી કરાવવામાં આવે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા 25 કરોડના ખર્ચે બનાવેલા કન્વેન્શન સેન્ટરમાં 35 કરોડનો મરામત ખર્ચ કરવામાં આવ્યો. કુલપતિના પતિ નોકરી કરતા હતા તે ONGCમાંથી રિટાયર્ડ થયેલા અધિકારીઓને લાખો રૂપિયાનો પગાર ચુકવવામાં આવ્યો. લાખો રૂપિયાના પગારવાળા તમામની નિમણૂક રદ કરવામાં આવે. યુનિવર્સિટીની કરોડો રૂપિયાની એફડી તોડવા અંગે સ્પષ્ટતા કરવામાં આવે. ગુજરાત યુનિવર્સિટીનું ઓડિટ કરી રિપોર્ટ જાહેર કરવામાં આવે.
ABVPના કોષાધ્યક્ષે બે પ્રોફેસરો પાસે 1.50 કરોડ માગ્યાનો આક્ષેપ
ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરેલાં સિન્ડિકેટ સભ્ય અને ABVPના કોષાધ્યક્ષ શ્વેતલ સૂતરિયાએ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટરને ધમકી આપી રૂપિયા 75 લાખ માગવાનો ખુલાસો થયો છે. યુનિવર્સિટીમાં ફરિયાદ થતાં શ્વેતલ સુતરિયાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. શ્વેતલ સૂતરિયાએ HRDCના ડાયરેક્ટરને જ નહીં, સરકારી ભરતીની પરીક્ષા લેતા સેક્શન અધિકારીને પણ ધમકી આપીને રૂપિયા 75 લાખની માગણી કરી હતી. તેમણે બે પ્રોફેસરો પાસેથી 1.50 કરોડની માગણી કરી હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત તેની પત્નીને સરકારી ભરતીની પરીક્ષામાં પાસ કરાવવા માટે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી ગયા હોવાનું ખૂલ્યુ હતું.
સિન્ડિકેટ સભ્યને રાઇફલ ક્લબ માટે 500 કરોડની જમીન આપી
સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય આશિષ અમીને ગુજરાત યુનિવર્સિટીની અંદાજે 500 કરોડ રૂપિયાની જમીન કબજે લઈ ખાનગી રાઈફલ ક્લબ શરૂ કરવાની યોજના બનાવી છે. જેમાં લોકો પાસેથી 15 લાખ રૂપિયા સુધીની મોંઘી મેમ્બરશીપ વસૂલવાની તૈયારી કરી હતી. કોંગ્રેસે સમગ્ર કૌભાંડનો ખુલાસો કરી “યુનિવર્સિટી બચાવો” આંદોલન છેડ્યું છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઇન્દ્રવિજ્યસિંહ ગોહિલે જણાવ્યું કે યુનિવર્સિટીની 12 હજાર વાર જગ્યા પોતાની ક્લબ માટે મંજૂર કરાવી હતી. જમીન દાતાઓએ યુનિવર્સિટીને શૈક્ષણિક હેતુ માટે આપી હતી. જેમાં સ્પષ્ટ શરત હતી કે તેનો વ્યાપારી ધોરણે ઉપયોગ કરી શકાશે નહીં. તેમછતાં સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન દ્રોણાચાર્ય એકેડેમી નામની રાઈફલ ક્લબ ચલાવે છે. યુનિવર્સિટીની 12 હજાર વારથી વધુ જગ્યા ક્લબ માટે મંજૂર કરાવી છે. આ જમીનની બજાર કિંમત રૂપિયા 500 કરોડથી વધુની છે.
ફૂડ કોર્ટ બનાવવા 15 હજાર વાર જગ્યા રાધે એન્ટરપ્રાઇઝને બારોબાર આપી
ગુજરાત યુનિવર્સિટીની 250 કરોડ રૂપિયાની જમીન ફૂડ કોર્ટ માટે રાધે એન્ટરપ્રાઇઝને ટેન્ડર વિના બારોબાર આપી દીધી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીની 250 કરોડથી વધુ કિંમતની 15 હજાર વાર જગ્યા રાધે એન્ટરપ્રાઇઝ, રાણીપને ભાડે 11 મહિના માટે પધરાવી દીધી છે. કોઈપણ પ્રકારના ટેન્ડર વગર આટલી કિંમતી જમીન રાધે એન્ટરપ્રાઈઝને કેમ ફાળવવામાં આવી તે સમજાતું નથી. રાધે એન્ટરપ્રાઇઝ 29 માર્ચ 2025ના દિવસે યુનિવર્સિટીની જમીન મેળવવા અરજી કરે અને કુલપતિ પાંચ મહિનામાં બારોબાર જમીન ફાળવવી દે. ગુજરાત યુનિવર્સિટી જાણે વારસામાં મળી હોય તેમ જમીનોની લહાણી કરવા બેઠી છે.
કૌભાંડી કમલજીતે 16 કરોડની ઉચાપત કરી હતી
ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં પૂર્વ કો-ઓર્ડિનેટર કમલજિત લખતરિયાએ ગુજરાત યુનિવર્સિટીમાંથી 16 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. લખતરિયાએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોતાના, પરિવાર અને સ્વજનોનાં ખાતાંમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. રોલવાલા કોમ્પ્યુટર સેન્ટરમાં વર્ષ 2009 કમલજિત લખતરિયાની આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક થઈ હતી. વર્ષ 2010માં ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ પરિમલ ત્રિવેદી દ્વારા એનિમેશન ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ ડિપાર્ટમેન્ટમાં શરૂઆતથી આઇટી અને ટેક્નોલોજીને લાગતા ખાનગી કોર્સ ચાલતા હતા.
વર્ષ 2015થી કમલજિત લખતરિયા કો-ઓર્ડિનેટર રહ્યા હતા ત્યારે તેણે શરૂઆતથી કૌભાંડની શરૂઆત કરી હતી. એનિમેશન ડિપાર્ટમેન્ટમાં ખાનગી કંપનીઓ હતી. ખાનગી કંપનીઓ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે કરાર થયો હતો. એ મુજબ બંને વચ્ચે ફીની 40 ટકા આવક યુનિવર્સિટીમાં જતી અને 60 ટકા આવક ખાનગી કંપનીને મળતી હતી. લખતરિયા દ્વારા યુનિવર્સિટીમાં જે પૈસા જમા કરાવવાના હતા. એમાંથી ઉચાપત કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ટુકડે ટુકડે પૈસાની ઉચાપત કરી હતી, જેથી લાંબા સમય સુધી કોઈને જાણ થઈ નહોતી. પોલીસે વર્ષ 2021થી 2023 સુધીના તમામ ટ્રાન્ઝેક્શનો મામલે એનાલિસિસ કરી 19 લોકોના નિવેદન લીધા હતા. જેના આધારે આ કૌભાંડનો આંકડો 4.09 કરોડથી વધીને 50 કરોડ આસપાસ પહોંચી તેવી ચર્ચા ચાલી હતી.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.