ટ્રમ્પનો 500% ટેરિફનો આદેશ: ભારતીય બજારમાં કડાકો
રશિયન તેલ પર અમેરિકાના પ્રતિબંધ બિલથી સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ગાબડું.

ટ્રમ્પનો 500% ટેરિફનો આદેશ

ટ્રમ્પનો 500% ટેરિફનો આદેશ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી સસ્તું તેલ અને ઊર્જા ઉત્પાદનો ખરીદતા દેશોને અંકુશમાં લેવા માટે 'સેન્કશનિંગ ઓફ રશિયા એક્ટ 2025'ને સમર્થન આપ્યું છે. આ બિલ હેઠળ રશિયન તેલ અથવા યુરેનિયમની ખરીદી કરતા દેશોમાંથી અમેરિકામાં આયાત થતી તમામ વસ્તુઓ પર 500 ટકા સુધીનો ટેરિફ (જકાત) લાદવાની દરખાસ્ત છે. આ પગલાથી રશિયન ઓઈલના મોટા ખરીદદાર એવા ભારત પર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે.
અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રેહામે વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ જણાવ્યું કે, આ બિલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર અદભૂત પ્રભુત્વ આપશે.
ભારતની તેલ ખરીદીમાં મોટો ઘટાડો:
રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ભારતની રશિયન તેલ પરની નિર્ભરતા 0.2% થી વધીને 40% સુધી પહોંચી ગઈ હતી. જોકે, ટ્રમ્પ વહીવટીતંત્રના દબાણ હેઠળ ભારતની રશિયન તેલની આયાત નવેમ્બર 2025ના 18 લાખ બેરલ પ્રતિ દિવસથી ઘટીને ડિસેમ્બરમાં 10 લાખ બેરલ થઈ ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી મોટી કંપનીઓએ પણ જાન્યુઆરીમાં રશિયન તેલની ડિલિવરી લેવાનું બંધ કર્યું હોવાના અહેવાલો છે.
બીજી તરફ, ભારત સરકારે ટ્રમ્પના એ દાવાને ફગાવી દીધો છે કે પીએમ મોદીએ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવાનું આશ્વાસન આપ્યું છે. નવી દિલ્હીએ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે ભારતની ઊર્જા સુરક્ષા તેની રાષ્ટ્રીય પ્રાથમિકતા છે અને સસ્તું તેલ ખરીદવું એ દેશના હિતમાં છે. જો આ 500 ટકા ટેરિફ બિલ પસાર થાય છે, તો ભારતની અમેરિકા ખાતેની નિકાસ મોંઘી થઈ જશે અને બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં મોટી અસ્થિરતા આવી શકે છે.
ભારતીય શેરબજાર પર માઠી અસર
ટ્રમ્પ દ્વારા આ વિવાદાસ્પદ બિલને મંજૂરી મળ્યાના અહેવાલો વાયુવેગે પ્રસરતા જ ભારતીય શેરબજારમાં મસમોટું ગાબડું જોવા મળ્યું હતું. અમેરિકા સાથે સંકળાયેલી નિકાસલક્ષી કંપનીઓ, ખાસ કરીને આઈટી, ફાર્મા અને ટેક્સટાઇલ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલીનો દોર શરૂ થયો હતો.
રોકાણકારોમાં એવો ભય વ્યાપી ગયો છે કે જો ભારત પર 500 ટકા ટેરિફ લાગુ થશે, તો ભારતીય પ્રોડક્ટ્સ અમેરિકી બજારમાં સ્પર્ધા કરી શકશે નહીં. આ આશંકા વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેનાથી એક જ દિવસમાં રોકાણકારોના લાખો કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. નિફ્ટી 200 પોઈન્ટ્સ જેટલો જ્યારે સેન્સેક્સમાં 600 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો નોંધાયો છે. બજારના નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી ભારત સરકાર અને અમેરિકા વચ્ચે આ મુદ્દે સ્પષ્ટતા નહીં થાય, ત્યાં સુધી બજારમાં અનિશ્ચિતતાનો માહોલ યથાવત રહેશે.

GIDCમાં 'વિરોધ વગર વિકાસ નહી'નો નારો ગૂંજ્યો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ક્રૂડના વધતા ભાવે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ.

અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર, રોકાણકારોના ₹14 લાખ કરોડ ધોવાયા