દિલ્હી HCએ સમીર વાનખેડેની માનહાનિની અરજી ફગાવી
HCએ દિલ્હીમાં નહીં પણ યોગ્ય કોર્ટમાં કેસ ચલાવો કહ્યું; માનહાનિનો કેસ સાંભળવાનો કર્યો ઈનકાર

સમીર વાનખેડેની માનહાનિની અરજી ફગાવી

સમીર વાનખેડેની માનહાનિની અરજી ફગાવી
દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ભારતીય મહેસૂલ સેવા (IRS)ના અધિકારી અને પૂર્વ NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને મોટો આંચકો આપ્યો છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન દ્વારા નિર્દેશિત અને નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી વેબ સિરીઝ 'The Ba***ds of Bollywood'માં પોતાની ખોટી રીતે રજૂઆત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે વાનખેડેએ ફાઈલ કરેલી માનહાનિની અરજીને કોર્ટે ફગાવી દીધી છે.
જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવે આ મામલે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, દિલ્હી હાઈકોર્ટ પાસે આ કેસ ચલાવવાનું 'ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન' (પ્રાદેશિક અધિકારક્ષેત્ર) નથી. કોર્ટે વાનખેડેની અરજી તેમને પાછી સોંપતા કહ્યું હતું કે તેઓ આ મામલે યોગ્ય અધિકારક્ષેત્ર ધરાવતી કોર્ટ (જેમ કે મુંબઈ)માં રજૂઆત કરી શકે છે.
શું હતો સમગ્ર વિવાદ?
સમીર વાનખેડેએ શાહરૂખ ખાનની કંપની 'રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ' અને નેટફ્લિક્સ વિરુદ્ધ 2 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો કર્યો હતો. તેમનો આક્ષેપ હતો કે સિરીઝના પ્રથમ એપિસોડમાં એક પાત્ર હુબહુ તેમના જેવું બતાવવામાં આવ્યું છે, જે અશોભનીય ચેષ્ટાઓ કરે છે. વાનખેડેના મતે, આ પાત્ર દ્વારા 'સત્યમેવ જયતે' બોલ્યા પછી અભદ્ર ઈશારા કરવા એ રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન છે.
આર્યન ખાન સાથેનો જૂનો વિવાદ:
નોંધનીય છે કે વર્ષ 2021માં કોર્ડિલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સમીર વાનખેડેએ જ આર્યન ખાનની ધરપકડ કરી હતી. જોકે, પાછળથી આર્યન ખાનને ક્લીન ચીટ મળી હતી અને વાનખેડે પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. વાનખેડેએ દાવો કર્યો હતો કે આર્યન ખાને આ સિરીઝ દ્વારા તેમની સાથે અંગત બદલો લેવા અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડ્યું છે.
હાલમાં દિલ્હી હાઈકોર્ટના આ નિર્ણયથી રેડ ચિલીઝ અને નેટફ્લિક્સને મોટી રાહત મળી છે, જ્યારે વાનખેડેએ હવે મુંબઈ કે અન્ય યોગ્ય ફોરમ પર નવેસરથી કાનૂની લડાઈ લડવી પડી શકે છે.

પૂર્વ ટ્યુટરે ધોરણ 5માં વિદ્યાર્થિની પર આચર્યું હતું દુષ્કર્મ; 11 વર્ષ બાદ થયો ખુલાસો..

RCOM લોન ફ્રોડ કેસ: અનિલ અંબાણીની મની લોન્ડરિંગ કેસમાં બીજી રાઉન્ડની પૂછપરછ

બાળકની ઓળખ અસ્તિત્વ ન ધરાવતા પિતા સાથે જોડવી અન્યાયી; માતાની જ્ઞાતિ વાપરવાની છૂટ: હાઈકોર્ટ