હવે મેડિકલ સ્ટોર નહીં કરી શકે મનમાની!
ડાયાબિટીસ,BP અને હાર્ટના દર્દીઓને મળશે સસ્તી દવાઓ,સરકારે 39 દવાઓના ભાવ નક્કી કર્યા

AI જનરેટેડ

AI જનરેટેડ
India Medicine Price Reduction: દેશમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર (BP) અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓથી પીડાતા લાખો દર્દીઓ માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે.કેન્દ્ર સરકારે આવશ્યક દવાઓની કિંમત પર નિયંત્રણ વધુ મજબૂત બનાવવાના હેતુથી 39 મહત્વપૂર્ણ દવાઓના ભાવ નક્કી કર્યા છે.હવે મેડિકલ સ્ટોર અથવા દવા વેચાણકારો આ દવાઓ મનફાવે તેવા ભાવે વેચી શકશે નહીં.સરકારના આ નિર્ણયથી દર્દીઓના સારવાર ખર્ચમાં ઘટાડો થવાની સાથે દવાઓ વધુ સસ્તા ભાવે ઉપલબ્ધ બનશે.સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે જીવનશૈલી સંબંધિત બીમારીઓ સતત વધી રહી છે અને લાખો લોકો રોજિંદી દવાઓ પર નિર્ભર છે. ખાસ કરીને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હાર્ટના દર્દીઓને દર મહિને દવાઓ પાછળ મોટો ખર્ચ કરવો પડે છે. હવે આ નિર્ણય તેમના માટે મોટી રાહતરૂપ સાબિત થઈ શકે છે.
કઈ-કઈ બીમારીઓની દવાઓ સસ્તી થશે?
આ નવું જાહેરનામું 8 જુલાઈના રોજ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. આ યાદીમાં રોજિંદા જીવનમાં તેમજ ગંભીર સ્થિતિમાં ઉપયોગમાં લેવાતી દવાઓ સામેલ છે.જેમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર ,હૃદય રોગ ,ઇન્ફેક્શન ,આંખની બીમારી ,શ્વાસની તકલીફ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓની દવાઓનો સમાવેશ થાય છે.આ લિસ્ટમાં ટેનેક્ટેપ્લેસ ઇન્જેક્શન ,વિટામિન ડી3 ઓરલ સોલ્યુશન,ઇમેટિનિબ ઓરલ સોલ્યુશન તેમજ એમ્પેગ્લિફ્લોઝિન, ટેલ્મીસાર્ટન, એસ્પિરિન, એટોરવાસ્ટેટિન અને ક્લોપીડોગ્રેલના કોમ્બિનેશન ધરાવતી દવાઓના ભાવ નક્કી કરાયા છે.
દર્દીઓને મળશે સીધો લાભ
દેશમાં કરોડો લોકો ડાયાબિટીસ, હાઈ BP અને હૃદયરોગની સારવાર લઈ રહ્યા છે. મોટાભાગના દર્દીઓને દરરોજ દવાઓ લેવી ફરજિયાત હોય છે. દવાઓના વધતા ભાવને કારણે ઘણા પરિવારો પર આર્થિક ભાર વધતો હતો.સરકાર દ્વારા ભાવ નક્કી કરવામાં આવતા હવે દર્દીઓને નિયત કિંમતે દવા મળશે. મેડિકલ સ્ટોર પણ નક્કી કરેલી કિંમત કરતાં વધુ રકમ વસૂલી શકશે નહીં.આ નિર્ણયનો સૌથી મોટો લાભ મધ્યમવર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગને મળશે, જેમને લાંબા સમય સુધી સતત દવા લેવાની જરૂર રહે છે.
કઈ પ્રકારની દવાઓનો સમાવેશ?
સરકારે જે 39 દવાઓના ભાવ નક્કી કર્યા છે તેમાં મુખ્યત્વે આ કેટેગરીની દવાઓનો સમાવેશ થાય છે,ડાયાબિટીસ નિયંત્રણ માટેની દવાઓ,હાઈ બ્લડ પ્રેશરની દવાઓ,હાર્ટ સંબંધિત દવાઓ ,કોલેસ્ટ્રોલ ઘટાડતી દવાઓ,કેટલીક અન્ય આવશ્યક જીવનરક્ષક દવાઓ
આ દવાઓ લાખો દર્દીઓ રોજિંદા ઉપયોગમાં લે છે.
નિયમોનું ઉલ્લંઘન કરનારી કંપનીઓ સામે કડક કાર્યવાહી
એનપીપીએ ના આદેશ અનુસાર, હવે કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની આ દવાઓને સરકારે નક્કી કરેલી કિંમત કરતા વધુ ભાવે વેચી શકશે નહીં. તમામ ઉત્પાદકોએ પોતાના ડીલરો અને રાજ્યના ડ્રગ રેગ્યુલેટર ને નવી કિંમતોની તાત્કાલિક જાણકારી આપીને અપડેટેડ પ્રાઇસ લિસ્ટ મોકલવી પડશે, જેથી દર્દીઓ સુધી સાચા ભાવે દવા પહોંચી શકે.
આ ઉપરાંત, કંપનીઓ દવાઓ પર મનસ્વી રીતે જીએસટી ઉમેરી શકશે નહીં; તેઓ ટેક્સ માત્ર ત્યારે જ ઉમેરી શકશે જ્યારે તે ખરેખર સરકારમાં ચૂકવવામાં આવ્યો હોય. જો કોઈ કંપની નિયમોનું ઉલ્લંઘન કરીને વધુ કિંમત વસૂલશે, તો તેની પાસેથી વધારાની રકમ વ્યાજ સાથે વસૂલવામાં આવશે.આ કડક કાર્યવાહી એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ હેઠળ કરવામાં આવશે,જેથી દર્દીઓનું શોષણ અટકાવી શકાય.
કેટલી દવાઓના કેટલા ભાવ નક્કી કરાયા?
NPPAએ દવાઓની પ્રતિ ગોળી, પ્રતિ કેપ્સ્યુલ, પ્રતિ મિલીલીટર અથવા પ્રતિ વાયલના આધારે નવી રિટેલ કિંમત જાહેર કરી છે.
National Pharmaceutical Pricing Authority (NPPA) has capped the retail price of 39 medicines including that for hypertension, diabetes heart disease etc pic.twitter.com/7vpm5U9cCC
— ANI (@ANI) July 11, 2026
ફાર્મા કંપનીઓ માટે શું છે નવા નિયમો?
NPPAના આદેશ મુજબ જે કંપનીઓ માટે આ ભાવ નક્કી કરવામાં આવ્યા છે તેઓ આથી વધુ કિંમતે દવા વેચી શકશે નહીં.જો આગામી 12 મહિનામાં કોઈ બીજી કંપની આ જ દવા બજારમાં લોન્ચ કરશે તો તેને પણ આ જ નિર્ધારિત કિંમત અથવા તેનાથી ઓછી કિંમતે વેચવી પડશે.કંપનીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં NPPAના પોર્ટલ પર દવાઓની કિંમત અને અન્ય જરૂરી માહિતી જમા કરાવવી ફરજિયાત રહેશે.
મેડિકલ સ્ટોર પર રહેશે નજર
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે દવાઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે, તે દવાઓ વધુ કિંમતે વેચવામાં આવશે તો સંબંધિત દવા વેચાણકાર સામે કાર્યવાહી થઈ શકે છે.નિયામક સંસ્થાઓ દ્વારા સમયાંતરે બજારમાં વેચાતી દવાઓના ભાવ પર નજર રાખવામાં આવશે.જો કોઈ મેડિકલ સ્ટોર ગ્રાહકો પાસેથી નક્કી કરેલી કિંમત કરતાં વધુ રકમ વસૂલશે તો ફરિયાદના આધારે કાર્યવાહી થઈ શકે છે.
NPPAની કામગીરી
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ ભારત સરકારની એક સ્વતંત્ર નિયમનકારી સંસ્થા છે, જેની સ્થાપના 1997માં થઈ હતી. તેનું મુખ્ય કામ જીવનરક્ષક અને આવશ્યક દવાઓની કિંમત નક્કી કરવાનું અને દવા કંપનીઓ મનસ્વી ભાવ ન વસૂલે તે સુનિશ્ચિત કરવાનું છે.
દેશમાં સ્વાસ્થ્ય ખર્ચ અને રાહત
ભારતમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હેલ્થ ઈકોનોમિસ્ટ્સના મતે, વૃદ્ધો અને લાંબા સમયથી બીમાર દર્દીઓ ધરાવતા પરિવારોનું 20% થી 30% માસિક બજેટ માત્ર દવાઓ પાછળ જ ખર્ચાઈ જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) પણ માને છે કે ભારતમાં સ્વાસ્થ્ય પર થતો આઉટ-ઓફ-પોકેટ ખર્ચ એટલે કે દર્દીઓના ખિસ્સામાંથી થતો ખર્ચ વૈશ્વિક સરેરાશ કરતા ઘણો વધારે છે. આવી સ્થિતિમાં જરૂરી દવાઓની કિંમતો પર અંકુશ રાખવાનો આ નિર્ણય લાખો દર્દીઓ માટે મોટી રાહત સાબિત થઈ શકે છે.

DCGIએ QDENGA રસીને આપી મંજૂરી,4થી 60 વર્ષના લોકો માટે નવી આશા

સ્વિગીને FSSAIએ ફટકારી 9 નોટિસ, ગ્રાહકોને સડેલા ઇંડા,બગડેલું દૂધ અને એક્સપાયર્ડ ફૂડ આપ્યું

12%થી વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓ માટે પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત,શું છે શેડ્યૂલ H1?