SGGU વિવાદ: 11,000 ઉત્તરવહીઓ તપાસ્યા વગર જ પરત
પ્રોફેસરોની બેદરકારીથી સેમેસ્ટર-5 ના પરિણામો અટવાયા, યુનિવર્સિટીએ અધ્યાપકોને ફટકારી નોટિસ

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી
પંચમહાલની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGU) માં પ્રોફેસરોની આડોડાઈને કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યું છે. સેમેસ્ટર-5 ની પરીક્ષાઓ પૂર્ણ થયાને દોઢ મહિનો વીતી ગયો હોવા છતાં, અધ્યાપકોએ ઉત્તરવહીઓ તપાસવામાં આળસ દાખવતા પરિણામો જાહેર થઈ શક્યા નથી.
વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં :
યુનિવર્સિટીના વિવિધ વિભાગોના પ્રોફેસરોએ અંદાજે 11,000 જેટલી ઉત્તરવહીઓ તપાસ્યા વિના જ યુનિવર્સિટી પ્રશાસનને પરત કરી દીધી છે. આ અણધારી ઘટનાને કારણે BA, B.Com, B.Sc, BBA અને LLB જેવા મહત્વના અભ્યાસક્રમોના સેમેસ્ટર-5 ના પરિણામો લટકી પડ્યા છે. નિયમ મુજબ પરીક્ષાના 45 દિવસમાં પરિણામ જાહેર કરવાના હોય છે, પરંતુ અહીં હજુ તપાસની કામગીરી જ બાકી છે.
કુલપતિની કડક પ્રતિક્રિયા અને એક્શન :
આ મામલે કુલપતિ હરીભાઇ કટારીયાએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષાનું કાર્ય દરેક અધ્યાપકની નૈતિક અને વહીવટી જવાબદારી છે. ઉત્તરવહીઓ તપાસ્યા વગર પરત મોકલવી તે શૈક્ષણિક કાર્યમાં ગંભીર બેદરકારી ગણાય. યુનિવર્સિટીએ હવે આવા કામચોર અધ્યાપકોને કારણદર્શક નોટિસ ફટકારવાની તજવીજ હાથ ધરી છે.
શા માટે સર્જાયો વિવાદ ?
પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે ઘણી સેલ્ફ-ફાઈનાન્સ કોલેજોમાં પૂરતા અને લાયકાત ધરાવતા અધ્યાપકો નથી. આથી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના પ્રોફેસરો પર કામનું ભારણ વધી જાય છે. આ કાર્યભારને કારણે અથવા અન્ય આંતરિક વિવાદોને લીધે પ્રોફેસરોએ ઉત્તરવહીઓ તપાસવાની ના પાડી હોવાનું મનાય છે.
જોકે, યુનિવર્સિટીએ ખાતરી આપી છે કે અન્ય લાયક અધ્યાપકોની મદદથી ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવામાં આવી છે અને ચાલુ મહિનાના અંત સુધીમાં મોટાભાગના પરિણામો ઓનલાઈન જાહેર કરી દેવામાં આવશે.

VFX, કાસ્ટિંગ અને કોસ્ચ્યુમ પર ઉઠાવ્યા સવાલો

જંતર-મંતર લાઠીચાર્જ કેસમાં કેન્દ્ર અને દિલ્હી પોલીસને નોટિસ, CCTV પુરાવા સાચવવા આદેશ

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના ધરણાં બાદ પોલીસ કાર્યવાહી, નેતાઓ-કાર્યકરોની અટકાયત