વડોદરા જિલ્લામાં તાજેતરમાં બનેલી એક રાજકીય ઘટનાએ જનમાનસમાં ગહન ચર્ચા જગાવી છે. સત્તાધારી પક્ષના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી જિલ્લા વહીવટી તંત્ર પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. કલેક્ટર, પોલીસ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધીક્ષક જેવી મહત્વપૂર્ણ સંસ્થાઓની કામગીરી પર અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
પ્રથમ નજરે આ ઘટના લોકહિત માટેની ચિંતા જેવી લાગી શકે, પરંતુ ઊંડાણમાં જઈને વિચારીએ તો અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો ઊભા થાય છે.
જો તંત્ર ખરેખર નિષ્ફળ છે, તો આ સ્થિતિ માટે માત્ર અધિકારીઓ જ જવાબદાર છે? કે પછી લોકોએ જેમને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે, તે પ્રતિનિધિઓની પણ જવાબદારી નથી? લોકશાહીમાં ધારાસભ્યનું કામ માત્ર પત્ર લખવાનું નહીં, પરંતુ તંત્રને દોડતું રાખવાનું, વિકાસકાર્યોની દેખરેખ રાખવાનું અને જનસમસ્યાઓનું નિરાકરણ લાવવાનું છે.
આ પ્રકારની જાહેર પત્રબાજીથી ઘણી વખત એવું લાગતું હોય છે કે વિકાસ કરતાં સમાચારમાં રહેવાની રાજનીતિ વધુ મહત્વની બની ગઈ છે. તંત્ર સામે આક્ષેપ કરીને જનમાનસમાં એવી છાપ ઉભી કરવાનો પ્રયાસ થાય છે કે “અમે કામ કરવા માંગીએ છીએ, પરંતુ તંત્ર અટકાવે છે.” આ વલણ લાંબા ગાળે લોકશાહીને નુકસાન પહોંચાડે છે.
ખાસ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે આ જ પ્રતિનિધિઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિકાસકાર્યોના ઉદ્ઘાટન, ખાતમુહૂર્ત અને સિદ્ધિઓથી ભરપૂર દેખાય છે. ત્યારે પ્રશ્ન થાય છે — જો તંત્ર એટલું અકાર્યક્ષમ છે, તો આટલા કાર્યક્રમો કેવી રીતે થયા?
આ ઘટના માત્ર વડોદરા સુધી સીમિત નથી. ગુજરાત સહિત સમગ્ર દેશમાં રાજકારણમાં એક નવી પ્રવૃતિ જોવા મળે છે — આંતરિક અસંતોષને જાહેર પત્રો, નિવેદનો અને મીડિયા મારફતે વ્યક્ત કરવાનો પ્રયાસ. આ આંતરિક રાજનીતિ પક્ષ અને શાસન બંને માટે ખતરાની ઘંટડી છે.
ભાજપ માટે પણ આ ઘટના આત્મમંથન કરવાની તક છે. પક્ષની મજબૂતી માત્ર સત્તામાં રહેવામાં નથી, પરંતુ જવાબદારી, શિસ્ત અને જનવિશ્વાસજાળવવામાં છે. જો જનતા અનુભવ કરશે કે તેમના પ્રતિનિધિઓ કામ કરતાં વધુ એકબીજા પર આક્ષેપ કરવામાં વ્યસ્ત છે, તો વિશ્વાસની ગાડી પાટા ઉપરથી ઉતરતા વાર નથી લાગતી.
લોકશાહીમાં સત્તા જનતાની અમાનત છે.
અને અમાનત ત્યારે જ ટકી શકે, જ્યારે તેમાં જવાબદારી, પારદર્શિતા અને પ્રામાણિક કાર્યભાવના જોડાયેલી હોય.
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ
ભારતને સંવેદના, ઈમાનદારી અને ઊંડાણથી વિશ્વ સમક્ષ રજૂ કરનાર વરિષ્ઠ બીબીસી પત્રકાર
સત્તા માટે સમાજને વહેંચતી અનામતની રાજનીતિ, લાંબા ગાળે ભારતને કમજોર બનાવે છે