‘કાનૂનના હાથ લાંબા હોય છે’—આ કહેવતને વલસાડ સિટી પોલીસે સાચી સાબિત કરી બતાવી છે. 32 વર્ષથી નાસ્તા-ફરતા હત્યાના આરોપીને ઉત્તર પ્રદેશના એક ગામડામાંથી ઝડપીને પોલીસે ન્યાયની શક્તિ દર્શાવી છે. 1994ના એક ચોંકાવનારા હત્યા કેસમાં આરોપી મલખાનસિંગ ભુરાસિંગ કછુવાહને અંતે સળિયા પાછળ ધકેલી દેવાયો છે. આ ઘટનાની તપાસ અને આરોપીને પકડવાની પોલીસની રણનીતિ કોઈ થ્રિલર ફિલ્મથી ઓછી નથી.
વર્ષ 1994માં વલસાડના આઝાદ રોડ પર ધનમાઈ એપાર્ટમેન્ટ નામની બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હતું. આ બાંધકામ સાઇટ પર મલખાનસિંગ ભુરાસિંગ કછુવાહ, જે મૂળ ઉત્તર પ્રદેશનો હતો, તે વોચમેન તરીકે કામ કરતો હતો. થોડા સમય પછી, તેની એક મહિલા મિત્ર તેની સાથે આ બાંધકામ સાઇટ પર રહેવા આવી. બંને વચ્ચે નજીકના સંબંધો હતા, પરંતુ એક દિવસ આ મહિલાએ મલખાનસિંગ પાસે 20,000 રૂપિયાની માગણી કરી.
આ બાબતે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. મલખાનસિંગને શંકા હતી કે તેની મહિલા મિત્રના અન્ય પુરુષો સાથે સંબંધો હતા. આ શંકા અને ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ લીધું કે, આવેશમાં આવીને મલખાનસિંગે તેની મહિલા મિત્રનું ગળું દબાવી નિર્મમ હત્યા કરી નાખી. હત્યા બાદ તેણે મૃતદેહને બાંધકામ સાઇટ પર જ છોડી દીધો અને ફરાર થઈ ગયો.
1994ની આ ઘટના બાદ મલખાનસિંગ ગાયબ થઈ ગયો. વલસાડ જિલ્લા પોલીસે તેને ઝડપવા માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ તે દર વખતે પોલીસને ચકમો આપતો રહ્યો. 32 વર્ષના લાંબા સમયગાળા દરમિયાન આ કેસ ઠંડો પડી ગયો હતો, પરંતુ વલસાડ સિટી પોલીસની હિંમત અને સમર્પણે આખરે આ કેસને નવો વળાંક આપ્યો.
વલસાડ સિટી પોલીસે આરોપીને ઝડપવા માટે અદભૂત રણનીતિ અપનાવી. પોલીસે સૌપ્રથમ મલખાનસિંગના મૂળ ગામ અને આજુબાજુના વિસ્તારોની મતદાર યાદીઓ ખંગાળી. આ યાદીઓમાંથી તેના પરિવારજનોના નામ, સરનામાં અને મોબાઈલ નંબરો મેળવ્યા. આ માહિતીના આધારે પોલીસે કેટલાક મોબાઈલ નંબરોને ટ્રેસ કરીને સતત નજર રાખી. આ ઉપરાંત, પોલીસને ખબર પડી કે મલખાનસિંગના કેટલાક સંબંધીઓ દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો, ખાસ કરીને સુરત અને આસપાસ, રિક્ષા ચલાવવાનું કામ કરે છે.
આ માહિતીને આધારે પોલીસે તપાસનું કેન્દ્ર દક્ષિણ ગુજરાત તરફ વાળ્યું. રિક્ષાચાલકોની ઝીણવટભરી પૂછપરછ અને તપાસ બાદ પોલીસને ખબર પડી કે મલખાનસિંગ ઉત્તર પ્રદેશમાં તેના ગામની આસપાસ જ છે. આથી, વલસાડ સિટી પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી અને આખરે આરોપીને તેના ગામ નજીક એક ગેસ્ટ હાઉસની સામે આવેલા કાચા મકાનમાંથી ઝડપી લીધો. ત્યારબાદ, તેને વલસાડ લાવીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો.
32 વર્ષ પહેલાં થયેલી આ હત્યાનો ભોગ બનેલી મહિલાને આખરે ન્યાય મળ્યો. મલખાનસિંગે પોતાની મહિલા મિત્રની હત્યા આવેશમાં કરી હતી, પરંતુ 32 વર્ષ સુધી તે પોલીસની પકડથી બચતો રહ્યો. જોકે, વલસાડ સિટી પોલીસની અથાગ મહેનત અને ચતુરાઈભરી તપાસે આખરે આ શાતિર આરોપીને કાયદાના કઠેડામાં લાવી દીધો. આ ઘટના એ સાબિત કરે છે કે ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય, એક દિવસ કાયદાના હાથે તેને પોતાના કર્મોની સજા ભોગવવી જ પડે છે.
વલસાડ સિટી પોલીસની આ સફળતા માત્ર એક આરોપીની ધરપકડ સુધી સીમિત નથી, પરંતુ તે પોલીસની નિષ્ઠા, ધીરજ અને કાયદા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ ઘટના એ પણ દર્શાવે છે કે ન્યાયની રાહ ભલે લાંબી હોય, પરંતુ તેનો અંત હંમેશા ન્યાયની જીતથી જ થાય છે.