વર્લ્ડ કપ પહેલા ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે T-20 નો જંગ
આજથી નાગપુરમાં પ્રથમ ટી૨૦ મેચ; કેપ્ટન સૂર્યાના ફોર્મ અને ટીમ કોમ્બિનેશન પર રહેશે સૌની નજર

ભારતની નજર વર્લ્ડકપ પર રહેશે

ભારતની નજર વર્લ્ડકપ પર રહેશે
આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાનારા આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ માટે અંતિમ અને સૌથી મહત્વની અગ્નિપરીક્ષા આજથી શરૂ થઈ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી પાંચ મેચોની ટી૨૦ શ્રેણી માત્ર દ્વિપક્ષીય જંગ નથી, પરંતુ વિશ્વકપના ખિતાબને બચાવવા માટેની એક બ્લુપ્રિન્ટ છે. આજની નાગપુર ખાતેની પ્રથમ મેચ સાથે જ ટીમ ઈન્ડિયા પોતાની તાકાત અને ખામીઓનું આખરી આકલન કરશે.
૭ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા ટી૨૦ વર્લ્ડ કપ પહેલા ભારત પાસે આ છેલ્લી તક છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ પાંચ મેચની શ્રેણી ૨૧ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી ચાલશે. વર્લ્ડ કપની પ્રેક્ટિસ મેચોનું શેડ્યૂલ હજુ સ્પષ્ટ ન હોવાથી, કોચ અને કેપ્ટન માટે પ્લેઈંગ ઈલેવન નક્કી કરવાનો આ છેલ્લો રસ્તો છે. નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે આજે સાંજે ૭ વાગ્યાથી પ્રથમ મેચ રમાશે.
સૂર્યકુમાર યાદવનું ફોર્મ: સૌથી મોટી ચિંતાવર્ષ ૨૦૨૪માં કેપ્ટનશીપ સંભાળ્યા બાદ સૂર્યકુમાર યાદવે ટીમને ૨૫માંથી ૧૮ મેચો જીતાડી છે (૭૨% સફળતા), પરંતુ બેટ્સમેન તરીકે તેમનું કદ ઘટ્યું હોય તેવું આંકડાઓ કહી રહ્યા છે. ૨૦૨૫નું વર્ષ સૂર્યા માટે અત્યંત ખરાબ રહ્યું છે, જેમાં તેણે ૧૯ મેચમાં માત્ર ૨૧૮ રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ ૧૨૩ સુધી નીચે આવ્યો છે. તિલક વર્માને તક આપવા માટે પોતે ચોથા ક્રમે બેટિંગમાં આવવાનું જોખમ સૂર્યાને ફળ્યું નથી. હવે જ્યારે વર્લ્ડ કપ માથે છે, ત્યારે કેપ્ટનનું ફોર્મમાં પરત આવવું ભારત માટે અનિવાર્ય છે.
કિવી ટીમનો પડકાર અને ભારતની તાકાતન્યુઝીલેન્ડની ટીમ ભારત માટે હંમેશા કપરો પડકાર સાબિત થઈ છે. ગયા વર્ષે ટેસ્ટ અને વનડેમાં કિવીઓએ ભારતને તેમના ઘરે જ મ્હાત આપી હતી. મિશેલ સેન્ટનરના નેતૃત્વમાં ડેવોન કોનવે, ગ્લેન ફિલિપ્સ અને ડેરિલ મિશેલ જેવા ખેલાડીઓ ભારત માટે જોખમી બની શકે છે.
ભારત માટે આ શ્રેણીમાં હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહની વાપસી રાહતના સમાચાર છે. હાર્દિકના આવવાથી ટીમમાં સંતુલન આવશે, જ્યારે બુમરાહ ડેથ ઓવરોમાં રન રોકવાનું કામ કરશે. સ્પિન વિભાગમાં કુલદીપ યાદવના ખરાબ ફોર્મને જોતા મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી પર મોટી જવાબદારી રહેશે, જેનાથી ન્યુઝીલેન્ડના બેટ્સમેનો હજુ સુધી અજાણ છે.
ટીમ કોમ્બિનેશન: સ્પર્ધા અને પ્રયોગોઓપનિંગમાં અભિષેક શર્મા આક્રમક શરૂઆત અપાવે છે પરંતુ તે તેને મોટા સ્કોરમાં ફેરવી શકતો નથી. બીજી તરફ, તિલક વર્માની ઈજાને કારણે શ્રેયસ ઐયર અને ઈશાન કિશન વચ્ચે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે જંગ જામ્યો છે. શ્રેયસ ઐયર મધ્યમ ક્રમમાં મજબૂતી આપી શકે છે, જેનાથી સૂર્યા ફરી તેના મનપસંદ ત્રીજા ક્રમે બેટિંગ કરવા જઈ શકે છે. જો ઈશાન કિશનને તક મળે છે, તો ભારતને પાવરપ્લેમાં એક આક્રમક ડાબોડી વિકલ્પ મળશે.
આ શ્રેણીમાં માત્ર જીત મહત્વની નથી, પરંતુ ખેલાડીઓની ફિટનેસ અને પોઝિશન નક્કી કરવી પણ જરૂરી છે. શું સૂર્યા તેની જૂની લય પાછી મેળવશે? શું બુમરાહ અને હાર્દિકની હાજરી ભારતને ફરી વર્લ્ડ કપ વિજેતા બનવામાં મદદ કરશે? આ પ્રશ્નોના જવાબ આગામી ૧૦ દિવસમાં મળી જશે.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત