શું છે પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વિવાદ?
નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં આંદોલનના મંડાણ, 14 ઓગષ્ટે ધરમપુરમાં જન આક્રોશ રેલી
24 જુલાઈ 2025એ જળશક્તિ મંત્રીએ પ્રોજેક્ટનો DPR રજૂ કરતાં વિવાદ વકરતાં નવાજૂનીના એંધાણ
24 જુલાઈ 2025એ જળશક્તિ મંત્રીએ પ્રોજેક્ટનો DPR રજૂ કરતાં વિવાદ વકરતાં નવાજૂનીના એંધાણ
દક્ષિણ ગુજરાતમાં પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વિવાદ ફરીથી શરૂ થયો છે. વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ લડત શરૂ કરાઈ છે. 14 ઓગષ્ટના રોજ ધરમપુરમાં જન આક્રોશ રેલીનું આયોજન કરાયુ છે. ધરમપુરના બિરસા મુંડા સર્કલથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવનાર છે. લોકસભાના ચોમાસુ સત્ર દરમિયાન 24 જુલાઈના રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ પ્રોજેક્ટનો DPR રજૂ કરતાં વિવાદ વકર્યો છે. ભાજપના નેતાઓ DPR રજૂ નહી કરાયો હોવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે શું છે પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ, તે અંગે આવો જાણીએ...
પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટ અંતર્ગત ડેમ બનવાથી લોકોનું વિસ્થાપન અને પ્રાકૃતિક સંસાધનોના નુકસાનની આશંકા વ્યક્ત કરી આંદોલન શરૂ કરાયું છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ હાલમાં આદિવાસી વિસ્તારોમાં બેઠકો કરીને પ્રોજેક્ટના ભયસ્થાનો જણાવી વિરોધ કરી રહ્યા છે. પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટને રદ કરાવવા 14 ઓગસ્ટના રોજ ધરમપુરમાં જન આક્રોશ રેલીનું આયોજન કર્યુ છે. જ્યાં બિરસામુંડા સર્કલથી મામલતદાર કચેરી સુધી જન આક્રોશ રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવનાર છે. આ મામલે સરકાર અને સ્થાનિક આદિવાસી સમાજ વચ્ચે તણાવ વધી રહ્યો છે. આગામી દિવસોમાં રાજકીય સંદર્ષ વધે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. 14 ઓગષ્ટની જન આક્રોશ રેલીમાં આદિવાસી સમાજના લોકોને જોડાવવા અપીલ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીની આદિવાસીઓ સાથે છેતરપિંડીઃ અનંત પટેલ
અનંત પટેલે બેનિફિટ ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ ચોમાસુ સત્રમાં 24 જુલાઈ 2025ના રોજ પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટનો ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ(DPR) રજૂ કર્યો છે. જેમાં અગાઉના સૂચિત ડેમો હતા તેમાં વધુ બે ડેમોનો ઉમેરો કર્યો છે. અવધાનો ડેમ અને વાંસદામાં ખાંટાઆંબાનો ડેમ. આ પ્રોજેક્ટ જે તે સમયે સ્થગિત નહી પણ રદ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી પોતાની વાત ઉપરથી ફરી ગયા છે. આદિવાસીઓ સાથે તેમણે છેતરપિંડી કરી છે. તેથી અમે 14 ઓગષ્ટના રોજ ધરમપુરમાં મોટી રેલી કરી રહ્યા છીએ. જેમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાશે. બિરસા મુંડા સર્કલથી મામલતદાર કચેરી સુધી રેલી કરીને મામલતદારને આવેદનપત્ર આપીશું. આ પ્રોજેક્ટને લઈ આદિવાસી સમાજમાં આક્રોશ છે. આ પ્રોજેક્ટ રદ નહી થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.
ચૂંટણી આવે ત્યારે મુદ્દો ચગાવી આદિવાસીઓને ઉશ્કેરવાનાઃ અરવિંદ પટેલ
ધરમપુરના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલે બેનિફિટ ન્યૂઝ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન સ્પષ્ટતા કરી હતી કે, લોકસભામાં પ્રોજેક્ટનો કોઈ DPR રજૂ થયો નથી. આદિવાસી સમાજના ભાજપના નેતાઓએ કેન્દ્રમાં જઈને રજૂઆત કરતાં ભાજપ સરકારે જ પ્રોજેક્ટને અગાઉથી રદ કરવાનો નિર્ણય લીધો હતો. ફેબ્રુઆરી-2025માં બજેટ સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં કોઈ સાંસદે નદીઓના જોડાણને લઈ પ્રશ્ન કર્યો હતો. તેનો મંત્રીએ કોઈ જવાબ આપ્યો છે. તેને લઈને કોંગ્રેસ સાથે સંકળાયેલા લોકોએ ખોટો વિરોધ શરૂ કર્યો છે. મુખ્યમંત્રીએ પણ પત્રકાર પરિષદ કરીને પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતી હોવાથી મુદ્દો ચગાવવામાં આવ્યો છે. તેઓની પાસે કોઈ મુદ્દો ન હોય ત્યારે આદિવાસીઓને કેવી રીતે ઉશ્કેરીને લાભ લેવો તેનો પ્રયાસ ચાલી રહ્યો છે.
આદિવાસી સમાજ પણ આવા લોકોને સમજી ગયો છે. કોઈપણ પ્રોજેક્ટનો ડિટેઈલ રિપોર્ટ તૈયાર થાય, તેમાં ખર્ચ, વળતર અને વિસ્થાપન અંગેનો સરવે કર્યા બાદ સુનાવણી પણ થાય. સુનાવણી દરમિયાન વિરોધ થાય તો પ્રોજેક્ટ રદ પણ કરવો પડે. ગુજરાતમાં કલ્પસર યોજનાની વર્ષોથી વાત થઈ રહી છે. પરંતુ હજુ સુધી તેનો કોઈ અમલ થયો નથી. હમણાંની વાત કરૂ તો, વાપી-શામળાજી ફોર લેન હાઈવે માટે 1600 કરોડ રૂપિયા મંજૂર કરાયા હતા. જમીન સંપાદન બાબતે આદિવાસી વિસ્તારોમાં વિરોધ થતાં ફોરલેન હાઈવેનો પ્રોજેક્ટ રદ કરાયો છે. તેથી પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટનો પણ સરકાર યોગ્ય નિર્ણય લેશે.
મુખ્યમંત્રીએ પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી
તાપી-પાર-નર્મદા લિંક પ્રોજેક્ટને લઇને આદિવાસી સમાજે વિરોધ કરતા રાજ્ય સરકારે પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં પત્રકાર પરિષદ કરીને 28 માર્ચ 2022 ના રોજ સત્તાવાર જાહેરાત કરી પ્રોજેક્ટને કાયમી ધોરણે રદ કરાયો હોવાનું કહ્યું હતું. જે તે સમયે ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, કેન્દ્ર સરકારની યોજના રાજ્ય સરકારની મંજૂરી બાદ આગળ વધે છે. આદિવાસી ભાઈ-બહેનોમાં કેટલાક લોકોએ ગેરસમજ ફેલાવી હતી. આદિવાસીઓના હિતમાં અનેક યોજનાઓ બનાવી છે. આદિવાસી સમાજમાં આ યોજના મામલે નારાજગી છે. આદિવાસી ભાઈ-બહેનોની માંગણીને ધ્યાને રાખીને યોજના રદ્દ કરવામાં આવી છે. દમણગંગા-પાર-તાપી-નર્મદા રિવરલિંક યોજના રદ્દ કરાઈ છે.
આદિવાસી સમાજના રોષને લઈ રાજ્ય સરકારના મંત્રીઓ અને ભાજપના નેતાઓ 28 માર્ચે બેઠક કરવા વલસાડ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ડેમ હટાવો સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે વાતચીત કરી હતી. વાતચીત બાદ રાજ્ય સરકાર દ્વારા કોઇપણ આદિવાસીઓને વિસ્થાપિત નહીં કરવાની સરકાર તરફથી મંત્રીઓએ માહિતી આપી હતી. ગુજરાત ભાજપના આદિવાસી નેતાઓ પણ રિવર લિંક પ્રોજેક્ટ માટે ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોના પ્રતિનિધિમંડળે દિલ્હી જઈ આદિવાસી સમાજની લાગણી કેન્દ્ર સરકાર સમક્ષ મૂકી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે પણ પ્રોજેક્ટને સ્થગિત કરી દીધો હતો.
આદિવાસી વિસ્તારના ભાજપના ધારાસભ્ય-સાંસદોએ નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સિંચાઈ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સાથે મુલાકાત કરી હતી. જેમાં નર્મદા-પાર-તાપી લિંક યોજના રોકવાની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે નેતાઓની રજૂઆત બાદ નર્મદા-પાર-તાપી રિવર લિંક યોજના ગુજરાત માટે સ્થગિત કરી દેવાઈ હતી.
શું છે તાપી-પાર-નર્મદા લિંક યોજના?
પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ વર્ષ 1980માં કેન્દ્રીય સિંચાઈ મંત્રાલય અને સેન્ટ્રલ વોટર કમિશન હેઠળ રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ તૈયાર કરાયો હતો. આ પ્રોજેક્ટ પશ્ચિમ ઘાટના પ્રદેશોમાંથી નદીના પાણીને સૌરાષ્ટ્ર અને કચ્છના પાણીની અછત ધરાવતાં વિસ્તારોમાં સ્થળાંતરિત કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં ત્રણ નદીઓને જોડવાની દરખાસ્ત કરવામાં આવી છે.
પાર નદી મહારાષ્ટ્રના નાસિકમાંથી નીકળે છે અને વલસાડમાંથી વહે છે. તાપી નદી સાપુતારાથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સુરતમાંથી વહે છે. નર્મદા નદી મધ્યપ્રદેશમાંથી નીકળે છે અને મહારાષ્ટ્ર અને ગુજરાતના ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી વહે છે. પાર-તાપી-નર્મદા લિંક યોજના હેઠળ 6 ડેમ નિર્માણ કરવાની વાત કરવામાં આવી છે. ગુજરાતમાં 4 ડેમ અને મહારાષ્ટ્રમાં 2 ડેમ તૈયાર કરવાના છે.
પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અંતર્ગત છેવાડાના ડાંગ જિલ્લામાં પણ અંબિકા, ખાપરી અને પૂર્ણા નદી પર ત્રણ ડૅમ બનાવવાની ચર્ચા વર્ષ 2010થી ચાલે છે. ત્યારબાદ 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે પણ ચર્ચા શરૂ થઈ હતી. ચૂંટણી બાદ આ મુદ્દો શાંત થઈ ગયો હતો.
2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નદીઓના જોડાણના પાંચ પ્રોજેક્ટ તૈયાર હોવાનું જણાવ્યું હતું અને સંબંધિત પક્ષકારો વચ્ચે સહમતિથી તેની પર કામ હાથ ધરવાની વાત પણ કહી હતી. પાર તાપી લિંક પ્રોજેકટ માટે 2010માં ત્રિપક્ષીય સરકાર સાથે સમજૂતી કરાર થયો હતો. એ સમયે કેન્દ્રમાં ડૉ. મનમોહનસિંહના નેતૃત્વમાં યુપીએની સરકાર હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી અને અશોક ચવ્હાણ મહારાષ્ટ્રના સીએમ હતા.
નેશનલ વૉટર ડેવલપમૅન્ટ એજન્સી (NWDA) ના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય જળસંસાધન વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 1980માં અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચે તે માટે નદીઓના જોડાણની યોજના રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં વિચારવામાં આવી હતી. 1982માં ઉપરોક્ત યોજના અંગે વિચાર હાથ ધરવામાં આવ્યો હતો. વર્ષ 2006માં એનડબલ્યુડીએના નેજા હેઠળ કેન્દ્રીય જળ આયોગનો વિચાર કરવામાં આવ્યો હતો.
વર્ષ 2014માં દમણગંગા-પિંજલ લિંક પ્રોજેક્ટનો ડીપીઆર (ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ, વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ) તૈયાર થયો હતો. જ્યારે પાર તાપી નર્મદા લિંકનો ડીપીઆર વર્ષ 2015માં તૈયાર થયો હતો. આ યોજનાને સાકાર કરવા મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં ડેમોના નિર્માણની યોજના છે.
ચોમાસામાં વરસાદી પાણીને દરિયામાં વહી જતું અટકાવવા, તેનો સંચય કરવા, પૂરની પરિસ્થિતિને ટાળવા, પીવા તથા સિંચાઈ માટે વાપરવા તથા વીજઉત્પાદનના આશયથી નદીઓનું જોડાણ કરવાની યોજના વિચારવામાં આવી છે.
ઝરી ડેમ : મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લાના છ ગામ ડૂબમાં જશે, જેમાં એક હજાર 30 પરિવારના પાંચ હજાર 733 લોકો વિસ્થાપિત થશે, એવું અનુમાન છે.
પૈખેડ ડેમ : મહારાષ્ટ્રમાં નિર્માણ પામનાર આ ડેમમાં 11 ગામડાંના એક હજાર 474 પરિવારના સાત હજાર 360 લોકો વિસ્થાપિત થવાનું અનુમાન છે.
ચિકાર ડેમ : ગુજરાતના ડાંગ જિલ્લામાં ડેમનું નિર્માણ થશે. જેમાં નવ ગામના લગભગ 1300 પરિવારના સાત હજાર 800 જેટલા લોકો વિસ્થાપિત થશે, એવું અનુમાન છે.
ચાસ-માંડવા ડેમ : ગુજરાતના વલસાડ જિલ્લામાં નિર્માણ પામનારા ડેમમાં ધરમપુર તાલુકાનાં સાત ગામના બે હજાર 122 પરિવારના લગભગ નવ હજાર 700 લોકો વિસ્થાપિત થાય તેવો અંદાજ છે.
દાબદર ડેમ : ગુજરાતના ડાંગ જિલ્લામાં બનનારા આ ડૅમના પગલે ગામમાં 11 ગામના એક હજાર 600 પરિવાર તથા લગભગ 10 હજાર 660 લોકો બેઘર થશે, એવો અંદાજ છે.
કેળવણ ડેમ : ડાંગ જિલ્લામાં બે હજાર 220 પરિવારના લગભગ 12 હજાર લોકો વિસ્થાપિત થવાનું અનુમાન છે.
પ્રોજેક્ટના હકારાત્મક પાસાઓનો પ્રચાર કરવો જોઈએ
દક્ષિણ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર ઉત્પલ દેસાઈએ બેનિફિટ ન્યૂઝ સાથે પ્રોજેક્ટ અંગેની માહિતી શેર કરતાં જણાવ્યુ કે, ગુજરાત માટે આ પ્રોજેક્ટ ઘણો સારો છે. વલસાડ અને નવસારી જિલ્લામાં ચોમાસામાં સવાસો, દોઢસો ઈંચ વરસાદ પડે છે. તેમાંથી 70 ટકા પાણી દરિયામાં વહી જાય છે. દરિયામાં વહી જતાં પાણીને રોકીને પાણીની અછત ધરાવતાં સોરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પાણી પહોંચાડવાની યોજના છે.
પરંતુ, પ્રોજેક્ટ અંગે કેટલાક લોકો જુઠ્ઠાણું ફેલાવીને આ પાણી મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈને ફાયદો કરાવવા માટે છે તેમ જણાવીને આદિવાસીઓને ભડકાવે છે. તમે વિસ્થાપિત થઈ જશો. નર્મદા યોજનાના વિસ્થાપિતોની સ્થિતિ દેખાડીને તેમનામાં ભય પેદા કરવામાં આવી રહ્યો છે. તે યોગ્ય નથી. આદિવાસી સમાજના લોકોને સાચી હકીકતથી વાકેફ કરવા જોઈએ.
તેમણે ઉમેર્યુ કે, વર્ષ 2022ના બજેટ સત્રમાં આ પ્રોજેક્ટ અંગે જાહેરાત કરતાં આદિવાસી સમાજમાં વિરોધ થયો હતો. નવસારીના વાંસદા અને વલસાડના ધરમપુર તાલુકાને વધુ અસર થવાનો પ્રચાર કરાયો હતો. કારણકે પ્રોજેક્ટમાં 8 થી 9 ડેમ બનાવવાની યોજના છે તેમાં ધરમપુરમાં 3 થી 4 અને વાંસદામાં પણ વધુ ડેમ બનાવવાની યોજના બનાવાઈ છે. તેથી ધરમપુરના ચાસ માંડવા, પૈખડ, મોહના કાઉચાલી જેવા ગામોમાં વધારે વિરોધ થયો હતો. આંદોલન ઉગ્ર બનતાં 17 જેટલાં ગામો એપી સેન્ટર બન્યા હતા. જે તે સમયે ગામડાઓમાં બેનર લગાવીને આદિવાસીઓએ રાજકીય નેતાઓની સાથે પોલીસ માટે પણ પ્રવેશબંધી ફરમાવી દીધી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, વિધાનસભા ચૂંટણી નજીકના દિવસોમાં આવી રહી હોવાથી ભાજપને આદિવાસી મતોનું નુકસાન પોષાય તેમ નહોતું. તેથી આદિવાસી સમાજના ભાજપના નેતાઓ અને રાજ્ય સરકારના મંત્રીઓએ અમિત શાહને રજૂઆત કરતાં સમગ્ર પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
મારા મતે આ પ્રોજેક્ટ રદ નહી પણ સ્થગિત કરાયો છે. હાલમાં કોંગ્રેસના અનંત પટેલ આદિવાસીઓ સાથે છેતરપિંડી થઈ રહી હોવાનો મુદ્દો ઉઠાવીને પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે ભાજપના નેતાઓ હજુ સુધી ખુલીને બહાર આવી રહ્યા નથી. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પ્રોજેક્ટનો મુદ્દો હાવી રહે તેવી શક્યતા છે. હાલમાં કોંગ્રેસને લોકો પાસે જવા માટેનો મોટો મુદ્દો મળી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ ભારતમાં પ્રસ્તાવિત નદી આંતર જોડાણ પ્રોજેક્ટ છે. દક્ષિણ ગુજરાતની પાર, તાપી અને નર્મદા નદીઓમાંથી વધારાનું પાણી સૌરાષ્ટ્ર અને કચ્છના પાણીની અછત ધરાવતાં વિસ્તારોમાં ટ્રાન્સફર કરવા માટે રચાયેલ છે. તેમાં 7 બંધ, 3 ડાયવર્ઝન વાયર, 2 ટનલ, 395 કિમી લાંબી નહેર અને 6 પાવરહાઉસનું નિર્માણ કરવાની યોજના છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.