ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રાજકોટના ઉદ્યોગો પર માઠી અસર
હોર્મુઝની સ્ટ્રેટ બંધ થતા MSME ઉદ્યોગકારો મુશ્કેલીમાં,એન્જિનિયરિંગ અને એક્સપોર્ટમાં નુકસાન

રાજકોટ ઉદ્યોગ પર યુદ્ધની અસર

રાજકોટ ઉદ્યોગ પર યુદ્ધની અસર
ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષની સીધી અને ગંભીર અસર હવે ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા રાજકોટના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન સાથે જોડાયેલા 1100થી વધુ ઉદ્યોગકારો અત્યારે ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને ખેત ઉત્પાદનના ઓજારો, ઓટોમોબાઈલ્સ અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સના એક્સપોર્ટ સાથે સંકળાયેલા વેપારીઓને આ યુદ્ધને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
હોર્મુઝની સ્ટ્રેટ બંધ થતા એક્સપોર્ટ ઠપ :
રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે ગલ્ફ દેશો વેપારનું મુખ્ય કેન્દ્ર છે. MSME ઉદ્યોગકારોએ પોતાના એક્સપોર્ટ બિઝનેસની શરૂઆત જ મિડલ ઈસ્ટના દેશો સાથે કરી હતી. જોકે, યુદ્ધના કારણે અત્યંત મહત્વનો ગણાતો દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બંધ થઈ જતાં માલસામાનની હેરફેર અટકી ગઈ છે. રાજકોટમાં અંદાજે 2.46 લાખ અને સમગ્ર ગુજરાતમાં 21.82 લાખથી વધુ MSME એકમો કાર્યરત છે, જેમના માટે આ ભૌગોલિક તણાવ આર્થિક મંદીનું કારણ બની રહ્યો છે.
પશ્ચિમી દેશો સાથેનો વેપાર પ્રભાવિત :
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટ માત્ર એક બજાર નથી પરંતુ તે અમેરિકા, યુરોપ અને આફ્રિકા સુધી પહોંચવા માટેનું મુખ્ય ટ્રાન્સપોર્ટેશન હબ છે. મધ્ય પૂર્વમાં સ્થાપિત સરળ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ખોરવાઈ જતાં હવે પશ્ચિમી દેશોમાં મોકલવામાં આવતા ઓટોમોબાઈલ્સ અને મશીન ટૂલ્સના ઓર્ડર સમયસર પૂરા કરવા મુશ્કેલ બન્યા છે.
એર સ્પેસ બંધ થતા અવરજવરમાં મુશ્કેલી :
યુદ્ધની અસર માત્ર દરિયાઈ માર્ગો પૂરતી મર્યાદિત નથી, પરંતુ એર સ્પેસ પર પણ તેની માઠી અસર પડી છે.
પરિવહન સંકટ: ઘણા દેશોએ પોતાની એર સ્પેસ બંધ કરી દીધી હોવાથી કાર્ગો મૂવમેન્ટ મોંઘી અને જટિલ બની છે.
વ્યાપારિક મુલાકાતો: ઉદ્યોગકારો અને પ્રતિનિધિઓની અવરજવર વિકટ બનતા નવા ઓર્ડર્સ મેળવવા કે ચાલુ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવું અશક્ય બન્યું છે.
દુબઈ ટ્રેડ ઝોન પર નિર્ભરતા :
રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગોનો મોટો હિસ્સો પશ્ચિમી દેશો (વેસ્ટર્ન સાઈડ) સાથે જોડાયેલો છે અને આ તમામ વેપાર ગલ્ફ કન્ટ્રીઝ, ખાસ કરીને દુબઈ મારફતે થાય છે. દુબઈ એ વિશ્વનું સૌથી મોટું ટ્રેડ ઝોન છે, જ્યાંથી રાજકોટની પ્રોડક્ટ્સ રિ-એક્સપોર્ટ થાય છે. અત્યારે પૂર્વ બાજુના દેશો કરતા પશ્ચિમ તરફનો વેપાર વધુ હોવાથી 100 ટકા એન્જિનિયરિંગ એકમોને આ સંઘર્ષની અસર થવાની શક્યતા છે.
ઉદ્યોગકારોની અપેક્ષા :
રાજકોટના નાના અને મધ્યમ કદના ઉદ્યોગકારો અત્યારે એક જ આશા રાખી રહ્યા છે કે આ યુદ્ધ જલ્દી વિરામ લે. જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો કાચા માલની અછત અને તૈયાર માલના એક્સપોર્ટમાં અવરોધને કારણે અનેક કારખાનાઓના શટર પડવાની નોબત આવી શકે છે.

VFX, કાસ્ટિંગ અને કોસ્ચ્યુમ પર ઉઠાવ્યા સવાલો

જંતર-મંતર લાઠીચાર્જ કેસમાં કેન્દ્ર અને દિલ્હી પોલીસને નોટિસ, CCTV પુરાવા સાચવવા આદેશ

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના ધરણાં બાદ પોલીસ કાર્યવાહી, નેતાઓ-કાર્યકરોની અટકાયત