આયુષ્માન કાર્ડ કઢાવવા ગયેલી મહિલાનો મળ્યો કંકાલ!
૮ મહિનાથી ગુમ સુમરીબેન બારૈયાની હત્યાની આશંકા; RR સેલે કૂવામાંથી પુરાવાઓ શોધી કાઢ્યા

આયુષ્માન કાર્ડ કઢાવવા ગયેલા વૃદ્ધા ગુમ થયા

આયુષ્માન કાર્ડ કઢાવવા ગયેલા વૃદ્ધા ગુમ થયા
જૂનાગઢના કેશોદ પંથકમાં છેલ્લા આઠ મહિનાથી રહસ્ય બનેલો વૃદ્ધાના ગુમ થવાનો મામલો હવે અત્યંત ભયાનક અને ચોંકાવનારા વળાંક પર આવીને ઉભો રહ્યો છે. એક અવાવરુ કૂવામાંથી મળી આવેલા હાડપિંજરના અવશેષો અને કિંમતી ઘરેણાંએ સમગ્ર પંથકમાં સનસનાટી મચાવી દીધી છે.
કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં રહેતા 65 વર્ષીય સુમરીબેન (ઉર્ફે મણીબેન) રામદેભાઈ બારૈયા આશરે આઠ મહિના પહેલા એક સવારે પોતાના ઘરેથી નીકળ્યા હતા. પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ ગામમાં આયુષ્માન કાર્ડ કઢાવવા માટે ગયા હતા. સવારે 11.30 વાગ્યાની આસપાસ તેઓ હોસ્પિટલ તરફ જતા સીસીટીવીમાં દેખાયા હતા, પરંતુ ત્યાર બાદ જાણે તેઓ હવામાં ઓગળી ગયા હોય તેમ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
સૌથી મહત્વની વાત એ હતી કે, જ્યારે તેઓ ગુમ થયા ત્યારે તેમના શરીર પર ૧૫ તોલાથી વધુ સોનાના દાગીના અને આશરે ૨ લાખ રૂપિયાની રોકડ રકમ હતી. સુમરીબેન ક્યારેય આ કિંમતી મત્તા પોતાનાથી અલગ રાખતા નહોતા, જેના કારણે પરિવારને પ્રથમ દિવસથી જ શંકા હતી કે તેમની સાથે કોઈ મોટી લૂંટ કે અઘટિત ઘટના બની છે.
પરિવારનો સંઘર્ષ અને હાઈકોર્ટના દ્વારસ્થાનિક પોલીસ તપાસમાં કોઈ મોટી કડી ન મળતા પરિવારજનો આકુળ-વ્યાકુળ થયા હતા. કોળી સમાજ પણ વૃદ્ધાના ન્યાય માટે મેદાનમાં આવ્યો હતો. આ મામલે ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી અને અંતે પરિવારે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન પણ દાખલ કરી હતી. સામાજિક દબાણ અને કાયદાકીય પ્રક્રિયા વચ્ચે આખરે આ કેસની તપાસ જૂનાગઢ RR સેલ (રેન્જ રિઝર્વ સેલ) ને સોંપવામાં આવી હતી.
12 કલાકનું ઓપરેશન: કૂવામાંથી નીકળ્યું પાપRR સેલે આધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તપાસ શરૂ કરી. ગામની સીમમાં આવેલા એક અવાવરુ અને કચરાથી ભરેલા કૂવા પર પોલીસની શંકા ગઈ. શુક્રવારે (30 જાન્યુઆરી) મોડી રાત્રે પોલીસે આ કૂવામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. કૂવો અત્યંત ઉંડો અને કચરાથી લથબથ હોવા છતાં પોલીસ ટીમે ભારે જહેમત ઉઠાવી.
પોલીસે જ્યારે કૂવામાંથી કચરો બહાર કાઢવાનું શરૂ કર્યું ત્યારે એક થેલી મળી આવી હતી. આ થેલી ખોલતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે તેમાં કિંમતી સોનાના દાગીના અને માનવ હાડપિંજરના ટુકડા હતા. માનવ અવશેષો જે હાલતમાં મળ્યા છે તે જોતા આ હત્યા જ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
FSL અને DNA ટેસ્ટ પર નજરજોકે, કૂવામાંથી મળેલું કંકાલ સુમરીબેનનું જ છે તેની સત્તાવાર પુષ્ટિ કરવા માટે પોલીસે અવશેષોને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને DNA ટેસ્ટ માટે મોકલી આપ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, વૈજ્ઞાનિક રિપોર્ટ આવ્યા બાદ જ કાયદાકીય રીતે આ અવશેષોની ઓળખ સ્થાપિત થશે.
એક શંકાસ્પદની અટકાયતતપાસ દરમિયાન RR સેલે ગામના જ એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને શંકા છે કે સુમરીબેન પાસે રહેલા ૧૫ તોલા સોનાની લાલચમાં કોઈ પરિચિત વ્યક્તિએ જ તેમને કૂવા પાસે બોલાવી અથવા બળજબરીથી ત્યાં લઈ જઈ તેમની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી હશે.
હાલમાં ખમીદાણા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આઠ મહિના બાદ આખરે આ કેસમાં કોઈ નક્કર કડી મળી હોવાથી પરિવારમાં આઘાત સાથે ન્યાયની આશા જન્મી છે. આગામી દિવસોમાં પોલીસ આ મામલે મોટો ઘટસ્ફોટ કરી શકે છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય