અમિત ખૂંટ આપઘાત કેસમાં રેપ પીડિતાની વકીલ જ આરોપી!
મહિલા વકીલે પોક્સો એક્ટનું ઉલ્લંઘન કરી સગીર દીકરીની ઓળખ છતી કરવાનો પિતાનો આરોપ

સગીરાએ પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા, DCP, DYSP, 6 PI સહિત 28 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી

સગીરાએ પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા, DCP, DYSP, 6 PI સહિત 28 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી
ગોંડલના રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. દુષ્કર્મ પીડિતાની વકીલ હવે આરોપી બની ગયા છે. મહિલા વકીલે પોક્સો એક્ટનું ઉલ્લંઘન કરી સગીર દીકરીની ઓળખ છતી કરતાં તેણીના પિતાએ મહિલા વકીલ સામે ફરિયાદ નોંધાવી છે. અઢી મહિના પહેલાં રાજકોટમાં મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પાટીદાર યુવક અમિત ખૂંટે રીબડામાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરાએ ધાક ધમકી આપી નિવેદન આપવા મજબૂર કરવા બદલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ જાડેજા, DCP જગદીશ બાંગરવા, DYSP કે.જી.ઝાલા અને 6 પીઆઇ સહિત 28 સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા અમિત ખૂંટ આપઘાત કેસમાં દર મહિને નવા વળાંક આવી રહ્યાં છે. દુષ્કર્મ પીડિતાની પડખે મહિલા વકીલ ભૂમિ પટેલ ઊભાં રહ્યાં હતા. પરંતુ પીડિતાના પિતાએ સગીર પુત્રીની ઓળખ જાહેર કરવા બદલ વકીલ ભૂમિ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. પીડિતાના પિતાએ ભૂમિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, વકીલે પોક્સો એક્ટનું ઉલ્લંઘન કરી પીડિત સગીરાની ઓળખ છતી કરી માતા-પિતાની વિગતો પણ શેર કરી છે. ગોંડલ પોલીસ સ્ટેશનમાં 5 મે 2025ના રોજ પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં પીડિતાના કાનૂની પ્રતિનિધિ તરીકે વકીલ ભૂમિબેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી.
પોક્સો એક્ટ અંતર્ગત પીડિતાની ઓળખ જાહેર કરવી ગંભીર ગુનો છે. IPC કલમ 228(A) અને પોક્સો એક્ટની કલમ 33(2) નું સીધું ઉલ્લંઘન છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ સગીર પીડિતોની ગોપનીયતા અને સુરક્ષા કરવાનો છે. જેથી તેમના ભવિષ્ય પર નકારાત્મક અસર ન પડે. પીડિતાના પિતાની ફરિયાદના આધારે ગોંડલ પોલીસે વકીલ ભૂમિ પટેલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેની સામે પોક્સો એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
પોક્સો એક્ટ શું છે?
પોક્સો એક્ટ ભારતમાં બાળકોને જાતીય શોષણ સામે રક્ષણ આપવા બનાવવામાં આવેલો મહત્વપૂર્ણ કાયદો છે. આ કાયદાની મુખ્ય જોગવાઈઓમાં પીડિત બાળકની ઓળખની સુરક્ષા છે. કલમ 228(A) (IPC) હેઠળ જાતીય ગુનાના ભોગ બનેલી વ્યક્તિની ઓળખ જાહેર કરવા પર પ્રતિબંધ મૂકે છે. જો કોઈ વ્યક્તિ પીડિતની ઓળખ જાહેર કરે તો તેને સજા થઈ શકે છે. જ્યારે પોક્સો એક્ટની કલમ 33(2) હેઠશ ખાસ કરીને બાળકોના જાતીય શોષણના કેસોમાં પીડિતની ઓળખ, નામ, સરનામું, ફોટોગ્રાફ્સ કે અન્ય કોઈપણ વિગતો કે જેનાથી તેની ઓળખ છતી થાય. તેને સીધા કે આડકતરી રીતે જાહેર કરવા પર પ્રતિબંધ મૂકે છે. એમાં ન્યૂઝ રિપોર્ટ્સ, સોશિયલ મીડિયા કે અન્ય કોઈ પ્લેટફોર્મ પર માહિતી શેર કરવાનો સમાવેશ થાય છે. આ કાયદાના ઉલ્લંઘન બદલ સજાની જોગવાઈ છે.
શું હતો સમગ્ર મામલો?
જૂન મહિનામાં આ કેસમાં મોટો વળાંક આવ્યો હતો. દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ ગોંડલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ જાડેજા, DCP જગદીશ બાંગરવા, DYSP કે.જી.ઝાલા અને અને 6 PI સહિત કુલ 28 લોકો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. સગીરાએ કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે, તેને માનસિક ત્રાસ આપી, ગોંધી રાખીને ચોક્કસ લોકો વિરુદ્ધ નિવેદન આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેણીએ એ પણ દાવો કર્યો હતો કે, જયરાજસિંહ જાડેજાના માણસો દ્વારા તેના પર દબાણ કરવામાં આવી રહ્યું હતું.
ત્યારબાદ પીડિતા પિતાએ સગીરાએ લગાવેલા આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા અને જયરાજસિંહ જાડેજા સામેના આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા. સગીરાના પિતા જયરાજસિંહ જાડેજાના સમર્થક અને માતા અનિરુદ્ધ રીબડાના પક્ષમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
પોલીસ આ કેસમાં સતત તપાસ કરી રહી છે અને "મિસ્ટર X" સહિતના અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે. સગીરા દ્વારા કરવામાં આવેલી નવી ફરિયાદો અને તેના પિતા દ્વારા કરાયેલાં નિવેદનોએ કેસને વધુ જટિલ બનાવ્યો છે. તેથી આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
અમિત ખૂંટની સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાનાં નામનો ઉલ્લેખ કરાયો હતો. બંને સામે અમિતને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવાનો આરોપ છે. જોકે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી છે. કારણ કે તેઓ દેશ છોડીને ભાગી ગયા હોવાની શક્યતા છે. અમિત ખૂંટના પરિવારે બંનેની ધરપકડ કરવા માગ કરી છે. આ કેસમાં સામેલ સગીરા અને પૂજા ગોરની પણ પૂછપરછ કરીને અટકાયત કરવામાં આવી હતી. સગીરાને વડોદરા મોકલવામાં આવી હતી. જ્યારે પૂજા રાજગોરના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરમાં મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત 17 વર્ષીય સગીરાએ અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ દુષ્કર્મના આરોપી અમિત ખૂંટે રીબડા ગામમાં આત્મહત્યા કરી હતી. ઘટના સ્થળેથી મૃતકની સુસાઈડ નોટ મળી હતી. જેમાં તેણે લખ્યું છે કે મને આપઘાત માટે મજબૂર કરવા પાછળ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપે ત્રાસ આપી, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી હતી. મૃતક અમિત ખૂંટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હતો.
આ મામલે અનિરુદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ અનિરુદ્ધસિંહે વીડિયો રિલીઝ કરી કહ્યું હતું કે આ જયરાજસિંહનું કાવતરું છે. આ પહેલાં સગીરાએ આરોપ લગાવ્યો હતો કે અમિત ખૂંટે તેને કેફી પીણું પિવડાવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી સમયથી રીબડા (અનિરુદ્ધસિંહ જાડેજા) અને ગોંડલ જૂથ (જયરાજસિંહ જાડેજા) સામ સામે આવી ગયા છે. બંને બાહુબલીઓના વર્ચસ્વની લડાઈમાં યુવકને જીવ ગુમાવવો પડ્યો છે. મૃતક અમિત ખૂંટ પર 2022ની ચૂંટણી બાદ હુમલો થયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધી વિવાદ ચાલી રહ્યો છે. જેમાં જમીન વિવાદ અને હનીટ્રેપનાં પરિબળો ઉમેરાતાં અમિત ખૂંટને જિંદગી ટૂંકાવવાનો વારો આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!