ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ બે બાળકીના મોતનો દાવો
તૈયાર ખીરામાંથી બનેલા ઢોસા ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ, માતા-પિતા ICUમાં સારવાર હેઠળ

ચાંદખેડાના મારૂતિ પ્લાઝા રેસીડેન્સીમાં બન્યો હતો બનાવ

ચાંદખેડાના મારૂતિ પ્લાઝા રેસીડેન્સીમાં બન્યો હતો બનાવ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ચોંકાવનારી ઘટના સામે આવી છે. બજારમાંથી લાવેલા ઢોસાના ખીરામાંથી બનાવેલાં ઢોસા ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થતાં એક જ પરિવારની બે બાળકીઓના મોત નિપજ્યાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે બાળકીઓના માતા-પિતાની હાલત પણ ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ચાંદખેડાની મારુતિ પ્લાઝા રેસિડેન્સીમાં રહેતાં ગૌરીશંકર પ્રજાપતિએ દાવો કર્યો કે, પહેલી એપ્રિલ સાંજે મારો દીકરો આયુષી રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ઢોંસાનું ખીરું લાવ્યો હતો. રાત્રે તેણે ઢોંસા બનાવીને ખાધા બાદ બીજા દિવસે સવારે ઉલટીઓ શરૂ થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ બીમારી ઢોંસા ખાવાથી થઈ છે તેની જાણ ન હોવાથી મારી પુત્રવધૂ અને સાડા ત્રણ વર્ષની પૌત્રીએ પણ તે ખાધું હતું. જેથી તેમને પણ ઉલટીઓ થવા લાગી અને તમામને હોસ્પિટલ ખસેડાયા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ગંભીર અસરને કારણે મારી અઢી મહિનાની પૌત્રીનું અને ત્યારબાદ સાડા ત્રણ વર્ષની મોટી પૌત્રીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. અત્યારે મારો દીકરો અને પુત્રવધૂ બંને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે તેવી અમારી માંગ છે.
ગૌરીશંકર પ્રજાપતિએ પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. તેમણે માંગ કરી છે કે જે ડેરીમાંથી ખીરું લાવવામાં આવ્યું હતું તેની સઘન તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ પરિવાર વહાલસોયી દીકરીઓ ન ગુમાવે.
ચાંદખેડાના પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. અમે ખીરુંના સેમ્પલ લીધા છે. તેને ફોરેન્સિક વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
ભોગ બનનાર પરિવાર જે ડેરીમાંથી ખીરુ લાવ્યો હતો તે ઘનશ્યામ ડેરીના માલિક કેતન પટેલે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેણે જણાવ્યું કે, તે દિવસે સાંજે અમારે ત્યાં બંને લોકો ખીરું લેવા આવ્યા હતા. અમે તેને ખીરું આપ્યું હતું. દૈનિક 100થી 125 કિલો ખીરું વેચાય છે. એ જ લોટમાંથી અમે અમારા સંબંધીઓને પણ ખીરુ આપ્યું હતું. જ્યારે અન્ય ગ્રાહકોને પણ ખીરું આપ્યું હતું. પણ કોઈને તકલીફ થઈ નથી. ખીરું ડેરીમાં જ બનાવીએ છીએ. બીજા કોઈપણ વ્યક્તિની ફરિયાદ આવી નથી.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.