સુરતમાં હવે ભાજપ નેતા સામે મનપા તંત્રની શરણાગતિ?
કતારગામમાં ફ્લેટનું ગેરકાયદે બાંધકામ તોડ્યા બાદ સામાન પરત મૂકવા આવતાં થયો વિવાદ

AI જનરેટેડ

AI જનરેટેડ
કતારગામમાં મનપાની કાર્યવાહી ફરી ચર્ચામાં
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં નાસિરનગર ભૂતિયા ડિમોલિશન કામગીરીનો વિવાદ હજુ ચાલી રહ્યો છે. તેવામાં કતારગામ વિસ્તારમાં ભાજપના નેતાના ફ્લેટનું ગેરકાયદે બાંધકામ તોડ્યા બાદ સામાન પરત મૂકવા આવીને મનપાના તંત્રએ શરણાગતિ સ્વીકારવી પડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કતારગામ ઝોનના સિંગણપોર વિસ્તારમાં ગેરકાયદે પતરાંના બાંધકામને તોડી પાડ્યા બાદ જપ્ત કરાયેલો સામાન થોડા સમય બાદ મૂળ સ્થળે પહોંચાડવામાં આવ્યો હતો. સામાન પરત મૂકવાના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે.
સ્થાનિક ફરિયાદ બાદ શરૂ થઈ કાર્યવાહી
સ્થાનિક રહેવાસી કિરણભાઈ સુમરાએ કૃપા રેસિડેન્સીમાં થયેલા ગેરકાયદે બાંધકામ અંગે લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ 2 જૂન, 2026ના રોજ મનપાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ફ્લેટ નંબર 104માં બનાવાયેલા પતરાં હટાવીને સરકારી વાહનમાં જપ્ત કરીને લઈ ગઈ હતી.
CCTV ફૂટેજથી સામે આવી નવી વિગતો
કતારગામ ઝોનના સિંગણપોર વિસ્તારમાં મનપાની ટીમે ગેરકાયદે પતરાંનું બાંધકામ તોડી પાડ્યું અને સામાન ગાડીમાં ભરીને જપ્ત કરી લીધો. પરંતુ, પડદા પાછળ કંઈક એવા રાજકીય ખેલ ખેલાયા કે માત્ર બે કલાકમાં એ જ સરકારી ગાડી જપ્ત કરેલો સામાન એ જ જગ્યાએ પરત મૂકી ગઈ. સોસાયટીના CCTV ફૂટેજ મુજબ બપોરે 1:33 વાગ્યે મનપાની ગાડી સામાન લઈને નીકળી હતી. બે કલાક બાદ એ જ વાહન ફરી પરત આવ્યું હતું. ત્યારબાદ કર્મચારીઓએ જપ્ત કરેલો સામાન ફરીથી જ્યાંથી હટાવ્યો હતો ત્યાં જ મૂકી દીધા હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું.
ફ્લેટના માલિક ભાજપના નેતા હોવાની ચર્ચા
તપાસ દરમિયાન ફ્લેટ નંબર 104 ભાજપના કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયાનો હોવાનું સામે આવ્યું છે. તેઓ આરએસએસનું બેક ગ્રાઉન્ડ ધરાવે છે. એક સમયે પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે તેમના નામની ચર્ચા પણ ચાલી હતી. હાલમાં આ ફ્લેટ ભાડે અપાયેલો હોવાનું જાણવા મળ્યું છે. વિગતો બહાર આવ્યા બાદ સમગ્ર ઘટનાને રાજકીય રંગ મળ્યો છે.
અધિકારીઓના અલગ-અલગ જવાબ
આ મામલે કતારગામ ઝોનના અધિકારીઓ અને ટાઉન પ્લાનિંગ વિભાગના જવાબોમાં પણ વિસંગતતા જોવા મળી હતી. કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કમલેશભાઈ વસાવાને પૂછતાં તેમણે આ બાબતે કોઈ જ માહિતી નહી હોવાનું જણાવી ગેરકાયદે બાંધકામ હોવાથી કાર્યવાહી કરી હોવાનો સ્વીકાર કર્યો હતો. પરંતુ પતરાં પરત મૂકવા બાબતે ટીપી વિભાગને પૂછવા કહ્યું હતું.
ટીપી વિભાગના અધિકારી જિજ્ઞેશ પટેલને પૂછતાં જણાવ્યું કે, એ પતરાં અમે જ હટાવ્યા હતા. પરંતુ એ જે તે વ્યક્તિ ખૂબ જ મધ્યમ વર્ગના હોવાથી અમારી પર તેમનો ફોન આવ્યો હતો અને તેમણે આજીજી કરી હતી કે સાહેબ આ પતરાં પાછા આપી દો. હવે ફરી ક્યારેય આવું ગેરકાયદે બાંધકામ નહીં કરીએ. એટલે માનવતાના ધોરણે અમે પતરાં પાછા મૂકી આવ્યા છીએ.
દસ્તાવેજો આપવા મુદ્દે પણ વિવાદ
જપ્તી મેમો, નોટિસ અથવા સામાન પરત આપવાના આદેશ સંબંધિત દસ્તાવેજો માંગવામાં આવતા સંબંધિત અધિકારીઓએ સીધા દસ્તાવેજો આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે માહિતી મેળવવા માટે નિયમ મુજબ અરજી અથવા RTI કરવાની સલાહ આપી હતી.
બાબુ જેબલિયા તરફથી સ્પષ્ટતા
બાબુ જેબલિયાના સહયોગી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ મામલે નેતાને કોઈ સીધી જાણકારી નથી. ફ્લેટ ભાડે આપેલો હોવાથી ભાડૂઆતને ગેરકાયદે બાંધકામ દૂર કરવાની સૂચના આપવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.