આખરે, બગદાણા હુમલા કેસની તપાસ માટે SITની રચના
બગદાણાના નવનીત બાલધિયા પર હુમલા મુદ્દે કોળી સમાજના નેતાઓ CMને મળ્યા

કોળી સમાજના નેતાઓ અને SIT ની રચનાનો પત્ર

કોળી સમાજના નેતાઓ અને SIT ની રચનાનો પત્ર
ભાવનગર જિલ્લાના બગદાણાના નવનીત બાલધિયા પર થયેલાં હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. નવનીત બાલધિયાએ હુમલા પાછળ લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે પોલીસ તપાસ સામે પણ સવાલ ઉઠાવતાં કોળી સમાજ લાલઘૂમ થયો હતો. સોમવારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા કોળી સમાજના નેતાઓએ CMને મળી રજૂઆત કરતાં સરકારને SITની રચના કરવાની ફરજ પડી છે.
મહુવાની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં નવનીત બાલધિયાને મળવા ગયેલા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને મળી રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો. તેના પગલે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદો પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બાદમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ કેસની ન્યાયિક તપાસ કરવાની માગ કરી હતી.
આ મુલાકાત સમયે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિત 15 ધારાસભ્યો હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું કે, અમારી લડાઈ કોઈ સમાજ સામે નથી. કોળી સમાજના યુવક પર જે રીતે હુમલો થયો છે તેની ન્યાયિક તપાસ થાય તેવી અમારી માગ છે. અમે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી. આ મામલે SITની રચના કરી તપાસ કરાવવાની માગણી કરી છે. મુખ્યમંત્રી દ્વારા અમને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે.
મુખ્યમંત્રીને રજૂઆત કરાયા બાદ ભાવનગર રેન્જ આઈજીએ તપાસ માટે સ્પેશઇયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. ધારીના એએસપી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં રચાયેલી SITમાં બોટાદ એસઓજીના પીઆઈ એમ.જી જાડેજા, બોટાદ પીએસઆઈ પી.જે.વાળા, બોટાદ એલસીબીના હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણદેવસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલાનો સમાવેશ કરાયો છે.
શું બની હતી ઘટના?
બગદાણામાં આઠ જેટલા શખ્સોએ કરેલા હુમલામાં નવનીત બાલધિયા ગંભીર રીતે ઘાયલ થયા હતા. કેમણે 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે, મુંબઈના કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. તેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેમણે વીડિયો મોકલતા મેં મારા મિત્રોને મોકલ્યો હતો.
તેમણે ઉમેર્યું કે, માયાભાઈએ માફી માગતા તેમના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું. તેણે મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું. તેમણે સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું હતું. પોલીસ મારો કેસ ડાયવર્ટ કરી રહી છે. મારી માંગ છે કે, આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા. પોલીસ તેની તપાસ કરે.
બગદાણા પોલીસે સમગ્ર કેસને ખાણ અને ખનીજ તેમજ પોલીસના બાતમીદાર પર હુમલો કરાયો હોવાની સ્પષ્ટતા કરીને સમગ્ર કેસને ડાયવર્ટ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે, માયાભાઈ આહિરના ફાર્મ હાઉસમાં જયરાજ આહિર સાથે આરોપીઓનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ કોળી સમાજે નવનીત બાલધિયાને ન્યાય મળે તે માટે આંદોલનમાં ઝુકાવ્યું છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.