બગદાણા વિવાદ ઉગ્ર
કોળી સમાજના 4 યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ,પોલીસે અટકાયત કરી

પોલીસની સતર્કતાએ બચાવ્યો જીવ!

પોલીસની સતર્કતાએ બચાવ્યો જીવ!
ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદે આજે (15 જાન્યુઆરી 2026) ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 'નવનીતભાઈને ન્યાય આપો'ના નારા સાથે કોળી સમાજના ચાર યુવાનોએ બગદાણા ધામની બહાર જાહેરમાં બોટલમાંથી જ્વલનશીલ પદાર્થ કાઢી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. જોકે, યુવાનો દિવાસળી ચાંપે તે પહેલા જ પોલીસે તેમને દબોચી લીધા અને અટકાયત કરી છે. ઘટનાનો લાઇવ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ, બગદાણા વિવાદમાં લાંબા સમયથી ન્યાયની માગ કરી રહેલા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે ચાર યુવાનો એકાએક એકઠા થયા અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. તેઓ પોતાની સાથે જ્વલનશીલ પદાર્થ લઈને આવ્યા હતા અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે હાજર પોલીસ કાફલાએ તેમને તાત્કાલિક અટકાવ્યા અને પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે તેમને ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બગદાણા ધામના ગેટ બહાર "નવનીતભાઈને ન્યાય આપો"ના નારા લગાવ્યા હતા. કોળી સમાજના અગ્રણીઓ અને યુવાનોમાં અન્યાયની લાગણીને પગલે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ઘટનાને પગલે બગદાણામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં બગદાણામાં શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ અને સામાજિક વાતાવરણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કોળી સમાજના આગેવાન જણાવ્યું કે, "આજરોજ બગદાણા મુકામે કોળી સમાજના યુવાનો નવનીતભાઈને ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા, ત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. કેટલાક આગેવાનોની પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે ધરપકડ કરવામાં આવી તો અમુક લોકોની આગલા દિવસે ધરપકડ કરવામાં આવી. ત્યારે મારે આ પોલીસ તંત્રને કહેવું છે કે, તમે આટલી મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો, તો આ કેસમાં સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા? કોળી સમાજની સાથે હંમેશા અન્યાય જ કરવાનો?"
વિવાદનું મૂળ કારણ નવનીત બલ્ધિયા પર થયેલા હુમલા સાથે જોડાયેલું છે. આ હુમલા પછી કોળી સમાજે વિરોધ પ્રદર્શન કર્યા હતા, જેના પગલે ગુજરાત સરકારે 5 જાન્યુઆરી 2026ના રોજ પાંચ સભ્યોની SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) બનાવી તપાસના આદેશ આપ્યા છે. આ તપાસ હુમલાના આરોપીઓની ધરપકડ અને ન્યાયની માંગ પર કેન્દ્રિત છે. જોકે, કોળી સમાજના આગેવાનોનું કહેવું છે કે પોલીસ તંત્ર અસલ આરોપીઓને છોડીને સમાજના લોકો પર જ કાર્યવાહી કરી રહ્યું છે. આજની ઘટના પછી બગદાણામાં તણાવ વધ્યો છે અને પોલીસે વધુ બંદોબસ્ત વધાર્યો છે.
સોશિયલ મીડિયા પર આ ઘટના વાયરલ થઈ રહી છે, જ્યાં યુઝર્સ કોળી સમાજને ન્યાય આપવાની માંગ કરી રહ્યા છે અને પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહ્યા છે. કેટલાક વીડિયોમાં યુવાનોના આત્મવિલોપનના પ્રયાસને લઈને ચર્ચા ચાલી રહી છે. હાલમાં કોઈ મોટી અપડેટ નથી મળી, પરંતુ તપાસ ચાલુ છે અને સમાજના આગેવાનો વધુ વિરોધની તૈયારીમાં છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.