અમદાવાદ-મહેસાણા વચ્ચે હવે બનશે 8-લેન હાઈવે
₹2,630 કરોડના ખર્ચે 51 કિમીનો માર્ગ હાઈટેક થશે; કલોલમાં 6 કિમી લાંબો એલિવેટેડ કોરિડોર બનશે

કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય

કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદથી ઉત્તર ગુજરાત તરફ જતા હજારો વાહનચાલકો માટે આ સમાચાર રાહતના સમાચાર બનીને આવ્યા છે. દાયકાઓથી ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમતા આ હાઈવેને હવે 'સુપર હાઈવે' તરીકે નવી ઓળખ મળવા જઈ રહી છે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન અમદાવાદ-મહેસાણા હાઈવેના કાયાપલટ માટે મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. અંદાજે ₹2,630 કરોડના તોતિંગ બજેટ સાથે અડાલજથી મહેસાણાના પાલાવાસણા સર્કલ સુધીના 51.60 કિમીના માર્ગને 8-માર્ગીય (8-Lane) બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1999માં આ રોડ સૌપ્રથમવાર 4-લેન કરવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા 25 વર્ષમાં વાહનોના વધતા ભારણને જોતા હવે તેને આધુનિક બનાવવો અનિવાર્ય બન્યો હતો.
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ અને હાઈટેક માળખુંઆ પ્રોજેક્ટ માત્ર રોડ પહોળો કરવા પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં આધુનિક એન્જિનિયરિંગનો ઉપયોગ કરવામાં આવશે:
કલોલમાં એલિવેટેડ કોરિડોર: કલોલ શહેરની અંદર સર્જાતા ટ્રાફિક જામનો કાયમી ઉકેલ લાવવા માટે 6.10 કિમી લાંબો એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે. આ કોરિડોર શહેરના 5 અલગ-અલગ ફ્લાયઓવરને જોડશે, જેથી લાંબા અંતરના મુસાફરોએ શહેરની ભીડમાં ફસાવું નહીં પડે.
સર્વિસ રોડ અને મુખ્ય માર્ગ: મુખ્ય માર્ગ 8-લેનનો રહેશે, જ્યારે તેની બંને બાજુએ સ્થાનિક વાહનવ્યવહાર માટે 7 મીટર પહોળો સર્વિસ રોડ બનાવવામાં આવશે.
બ્રિજ અને અંડરપાસ: શેરથા, રાજપુર ભાસરીયા, જગુદણ અને મેવડ જેવા વિસ્તારોમાં 6 નવા ફ્લાયઓવર તૈયાર કરાશે. ઉપરાંત, કલોલ અને છત્રાલમાં જૂના બ્રિજની સાથે વધારાના 4-લેન ફ્લાયઓવર બનાવવામાં આવશે. પદયાત્રીઓ અને સ્થાનિક વાહનોના ક્રોસિંગ માટે શેરથાથી લઈને ગણેશપુરા સુધી કુલ 8 સ્થળોએ આધુનિક અંડરપાસની સુવિધા આપવામાં આવશે.
નવો રેલવે બ્રિજ (ROB): કલોલ પાસે રેલવે લાઈન પર હાલના બ્રિજની બાજુમાં નવો 4-લેન ROB બનાવવામાં આવશે, જે રેલવે ક્રોસિંગના ટ્રાફિકને હળવો કરશે.
તાજેતરના ટ્રાફિક સર્વે મુજબ, આ હાઈવે પરથી દરરોજ 1 લાખથી વધુ નાના-મોટા વાહનો પસાર થાય છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી અમદાવાદથી મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને છેક રાજસ્થાન તરફ જતા મુસાફરોનો મુસાફરીનો સમય આશરે 30 થી 40 મિનિટ જેટલો ઘટી જશે. ઝડપી પરિવહનને કારણે ઈંધણની બચત થશે અને વાહનોના મેન્ટેનન્સ ખર્ચમાં પણ ઘટાડો થશે.
સમયમર્યાદા અને અમલીકરણસરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટેના ટેન્ડરની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ટેન્ડર મંજૂર થયા બાદ આગામી 2 વર્ષની અંદર એટલે કે અંદાજે 2028 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ માર્ગના નિર્માણથી ઉત્તર ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો જેવા કે છત્રાલ અને કડીના ઉદ્યોગોને પણ મોટો વેગ મળશે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.