અંબાજીમાં યોજાશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ
30 જાન્યુઆરીથી ગબ્બરના પંથકમાં ભક્તિનો પર્વ; 2.5 કિમીના પથ પર શ્રદ્ધાળુઓ અનુભવશે દિવ્યતાબન

51 શક્તિપીઠોના થશે એકસાથે દર્શન

51 શક્તિપીઠોના થશે એકસાથે દર્શન
શક્તિ, ભક્તિ અને આસ્થાના પવિત્ર ત્રિવેણી સંગમ સમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના આંગણે ફરી એકવાર ભક્તિનું ઘોડાપૂર ઉમટવા જઈ રહ્યું છે. જગતજનની અંબાના ધામમાં આગામી દિવસોમાં ભક્તોને 51 શક્તિપીઠોના એકસાથે દર્શન કરવાનો અમૂલ્ય લ્હાવો મળશે.
બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું અંબાજી ધામ આસો અને ચૈત્રી નવરાત્રીમાં તો ભક્તોથી ઉભરાય છે, પરંતુ ગબ્બર તળેટીમાં નિર્મિત '51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ' એ એક એવું સ્થાન છે જ્યાં ભક્તો એક જ સ્થળે રહીને સમગ્ર એશિયા ખંડમાં ફેલાયેલી આદ્યશક્તિની તમામ શક્તિપીઠોના દર્શન કરી શકે છે. ₹62 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ 2.5 કિલોમીટર લાંબા માર્ગ પર ભારત ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે. વર્ષ 2008માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ભગીરથ કાર્યનું ભૂમિપૂજન કર્યું હતું, જે આજે લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2026 દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે:

30 જાન્યુઆરી: મહોત્સવના પ્રથમ દિવસે સવારે 9:30 કલાકે ભવ્ય પાલખી યાત્રા અને ધજા યાત્રા સાથે પ્રારંભ થશે. જેમાં અનેક સાધુ-સંતો અને મહંતો ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવશે. દિવસ દરમિયાન આનંદ ગરબા અને માતાજીની આરાધનાના કાર્યક્રમો યોજાશે.
31 જાન્યુઆરી: બીજા દિવસે શક્તિપીઠ સંકુલોમાં પવિત્ર 'શક્તિ યાગ' (યજ્ઞ) કરવામાં આવશે. આ દિવસે ત્રિશુલ યાત્રા અને પાદુકા યાત્રા મુખ્ય આકર્ષણ રહેશે. યુવાનો માટે પરિક્રમા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
01 ફેબ્રુઆરી: અંતિમ દિવસે જ્યોત યાત્રા, ચામર યાત્રા અને મશાલ યાત્રા સાથે મહોત્સવનું ભક્તિમય વાતાવરણમાં સમાપન કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે:
વિનામૂલ્યે ભોજન: અંબિકા ભોજનાલય ઉપરાંત GMDC મેદાન, માંગલ્યવન, RTO સર્કલ અને આર્ટસ કોલેજ જેવા પાંચ મુખ્ય સ્થળોએ ભક્તો માટે શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
દિવ્ય શણગાર: સમગ્ર ગબ્બર પર્વત અને 2.5 કિમીના પરિક્રમા પથને આધુનિક લાઈટિંગ અને ઇલ્યુમિનેશનથી શણગારવામાં આવશે, જે રાત્રિના સમયે અદભૂત નજારો રજૂ કરશે.
સાંસ્કૃતિક કાર્યક્રમ: મહોત્સવ દરમિયાન સાંજે આદિવાસી નૃત્ય, મણિયારો, અને વિવિધ લોક કલાકારો દ્વારા ભજન-કીર્તનનું આયોજન થશે, જે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરશે.
અંબાજી મંદિરના ટ્રસ્ટીઓ અને કલેક્ટર દ્વારા ભાવિક ભક્તોને આ પરિક્રમા મહોત્સવમાં જોડાઈને પુણ્યનું ભાથું બાંધવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ મહોત્સવ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક સમરસતાનો પણ સંદેશ ફેલાવશે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.