Surat Madrasa Accident: સુરતના ઊન વિસ્તારમાં 13 વર્ષીય બાળક ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો. મહેમૂદિયા મદરેસાની છત પર રમતી વખતે વરસાદી પાણીના કારણે પગ લપસતાં બાળક બાજુની બાંધકામ સાઇટ પર પટકાયું હતું. આ દરમિયાન લોખંડનો સળિયો તેના ગળાના પાછળના ભાગેથી ઘૂસીને મોંમાંથી આરપાર નીકળી ગયો હતો. ગંભીર હાલતમાં બાળકને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
ડોક્ટરોની ટીમે લગભગ 2થી 3 કલાકની જટિલ સર્જરી કરીને બાળકના શરીરમાં ઘૂસેલો લોખંડનો સળિયો બહાર કાઢ્યો હતો. હાલ બાળક ICUમાં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
સુરતના ઊનમાં વરસાદી પાણીથી પગ લપસતાં સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, ઊન વિસ્તારમાં તિરુપતિ નગર નજીક આવેલા મહેમૂદિયા મદરેસામાં અભ્યાસ કરતો 13 વર્ષીય નાવીદ ઉર્ફે નાઝિશ મદરેસાની છત પર રમી રહ્યો હતો. તેની નજીક આવેલી જગ્યાએ મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું.
છત પર વરસાદી પાણી ભરાયેલું હોવાથી અચાનક બાળકનો પગ લપસી ગયો હતો. તે બાજુની કન્સ્ટ્રક્શન સાઇટ પર નીચે પટકાયું હતું. નીચે પડતાં જ બાળક બાંધકામમાં રહેલા લોખંડના સળિયા પર જઈને પડ્યું હતું.
સળિયો બાળકના ગળાના પાછળના ભાગેથી શરીરમાં ઘૂસીને મોંમાંથી બહાર નીકળી ગયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
View this post on Instagram
A post shared by Benefit News (@benefitnews)
સ્થાનિકોએ લોખંડનો સળિયો કાપીને બાળકને હોસ્પિટલ પહોંચાડ્યું
અકસ્મતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાળકની ગંભીર સ્થિતિને જોતા સમય ગુમાવ્યા વગર લોખંડનો સળિયો કાપવામાં આવ્યો હતો.
ત્યારબાદ બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું. હોસ્પિટલ પહોંચતા જ ઈમરજન્સી મેડિકલ ટીમે બાળકની સારવાર શરૂ કરી હતી.
મોંમાં સળિયો હોવાથી એનેસ્થેસિયાની ટ્યુબ નાખવી પડકારરૂપ
સુરત સિવિલ હોસ્પિટલના સર્જરી યુનિટ હેડ ડો. દિવ્યાંગ દવેના જણાવ્યા મુજબ, બાળકને હોસ્પિટલ લાવવામાં આવ્યા બાદ કેઝ્યુઅલ્ટીમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
બાળકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને સીધું ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવ્યું હતું.
મોંમાં લોખંડનો સળિયો હોવાના કારણે એનેસ્થેસિયાની ટ્યુબ દાખલ કરવી સૌથી મોટો પડકાર હતો. જોકે, એનેસ્થેસિયા ટીમે આ મુશ્કેલ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
2થી 3 કલાકની સર્જરી બાદ ગળામાં ઘૂસેલો સળિયો બહાર કાઢ્યો
ડોક્ટરોની ટીમે લગભગ બેથી ત્રણ કલાક સુધી જટિલ સર્જરી કરી હતી. સર્જરી દરમિયાન બાળકના શરીરમાં ઘૂસેલા લોખંડના સળિયાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.
તબીબોના જણાવ્યા મુજબ, અકસ્માત બાદ વધુ રક્તસ્ત્રાવ થયો હોત તો બાળકનો જીવ જોખમમાં મુકાઈ શકતો હતો. જોકે, સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવતા અને તાત્કાલિક સારવાર મળતાં બાળકનો જીવ બચાવી શકાયો છે.
હાલ ICUમાં સારવાર, બાળકની સ્થિતિ સ્થિર
સર્જરી બાદ બાળકને હાલ ICUમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે. તબીબો તેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
એનેસ્થેસિયાની અસર પૂર્ણ થયા બાદ અને બાળકની તબિયત વધુ સ્થિર થયા પછી તેને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવશે. જરૂરી સારવાર, ડ્રેસિંગ અને ટાંકા બાદ સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
'બચવાની શક્યતા ખૂબ ઓછી લાગી રહી હતી': મામા
બાળકના મામા સદરે આલમે જણાવ્યું હતું કે 25 ઓગસ્ટે સાંજે આશરે 4 વાગ્યે મદરેસામાંથી ફોન આવ્યો હતો કે તેમનો ભાણેજ ઉપરથી નીચે પડી ગયો છે.
તેમણે જણાવ્યું કે બાળકના ગળામાંથી લોખંડનો સળિયો આરપાર નીકળી ગયો હોવાથી તેની સ્થિતિ અત્યંત ગંભીર હતી. શરૂઆતમાં બાળક બચશે કે નહીં તે અંગે પણ ભારે ચિંતા હતી.
જોકે, ડોક્ટરોની મહેનત બાદ સળિયો સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો છે. તબીબોએ હાલ બાળકની સ્થિતિ સ્થિર હોવાનું જણાવ્યું છે.
આર્થિક સ્થિતિ નબળી હોવાથી મદરેસામાં અભ્યાસ કરતો હતો
મળતી માહિતી મુજબ, બાળકનો પરિવાર વતનમાં રહે છે અને તેની આર્થિક સ્થિતિ નબળી હોવાથી શિક્ષણનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ હતો. મદરેસામાં મફત શિક્ષણ મળતું હોવાથી તેના મામા બાળકને સુરત લાવીને અભ્યાસ કરાવતા હતા.
આ દરમિયાન મદરેસાની છત પર બનેલી આ દુર્ઘટનાએ પરિવારજનો અને સ્થાનિક લોકોને હચમચાવી દીધા છે.
સુરત મદરેસા અકસ્માતે બાંધકામ સાઇટની સુરક્ષા સામે સવાલો ઉઠાવ્યા
સુરતના ઊનમાં બનેલો આ અકસ્માત બાંધકામ સાઇટ પર ખુલ્લા લોખંડના સળિયા અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉભા કરે છે.
હાલ 13 વર્ષીય બાળક તબીબોની દેખરેખ હેઠળ છે. ગળામાંથી લોખંડનો સળિયો આરપાર થઈ જવા છતાં સમયસર સારવાર અને જટિલ સર્જરીના કારણે બાળકનો જીવ બચ્યો છે.