ભાજપના પ્રદેશ પ્રમુખનું કોકડું ગૂંચવાયું, કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ માટે શરૂ કરી ચર્ચા!
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દિલ્હી રવાના, રાહુલ ગાંધી અને ખડગે સાથે બેઠક

ઓબીસી નેતાની પસંદગી થવાની શક્યતા, અમિત ચાવડા અને લાલજી દેસાઈ ટોપ ઉપર

ઓબીસી નેતાની પસંદગી થવાની શક્યતા, અમિત ચાવડા અને લાલજી દેસાઈ ટોપ ઉપર
‘પાર્ટી વીથ ડિફરન્સ’ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખનું કોકડું 7 મહિનાથી ગૂંચવાયુ છે. તેવામાં કોંગ્રેસે નવા પ્રમુખની નિમણૂક માટે તૈયારી શરૂ કરી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને દિલ્હી બોલાવ્યા છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી નવા પ્રદેશ પ્રમુખ જાહેર કરે તેવી ચર્ચા શરૂ થઈ છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી નેતાની પસંદગી કરવાની શક્યતાએ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અને વિરોધપક્ષના નેતા અમિત ચાવડા ટોપ ઉપર ચાલી રહ્યા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે. નવા પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી શૈલેષ પરમારને કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. પાટીદાર અને કોળી સમાજે ગુજરાત કોંગ્રેસનું અધ્યક્ષપદ આપવા માંગ કરી છે.
કોંગ્રેસના પાટીદાર સમાજના નેતાઓએ અમદાવાદમાં બેઠક કરી તેમજ વીરજી ઠુમ્મરે રાહુલ ગાંધીને પત્ર લખી પાટીદાર સમાજના નેતાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવા માંગ કરી હતી. કોળી અને ઠાકોર સમાજે પણ કોંગ્રેસના કમિટેડ વોટર્સ ઓબીસી સમાજમાંથી પસંદગી કરવા હાઈ કમાન્ડ ઉપર દબાણ વધાર્યુ છે.
આ તમામ ગતિવિધિઓ વચ્ચે રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓને આજે(10 જુલાઈ) દિલ્હી બોલાવ્યા છે. મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક કરીને નવા પ્રદેશ પ્રમુખ અંગે ચર્ચા કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠકમાં હાજરી આપવા ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર, શૈલેષ પરમાર રવાના થયા છે. આજની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના નામ પર નિર્ણય થવાની શક્યતા છે.
રાજકીય વિશ્લેષકોના મતે કોંગ્રેસ હાઈકમાન્ડ ઓબીસી નેતાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપી શકે છે. તેથી ઓબીસી સમાજના નેતાઓ અંગે ચર્ચા શરૂ થઈ છે. સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અને અમિત ચાવડા ટોપ ઉપર છે. આ બંનેમાંથી એક નેતા ઉપર કળશ ઢોળાય તેવી સંભાવના છે.
કોણ છે અમિત ચાવડા?
અમિત ચાવડાનો જન્મ 24 એપ્રિલ 1974માં આણંદ જિલ્લાના આંકલાવમાં થયો હતો. તેમનુ આખું નામ અમિતભાઈ અજીતભાઈ ચાવડા છે. તેમણે 1995માં ટેક્નિકલ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરથી કેમિકલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. તેઓ NSUI અને ભારતીય યુવા કોંગ્રેસમાં સક્રિય હતા.
હાલમાં તેઓ આણંદના આંકલાવના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે કાર્યરત છે. ચાર ટર્મથી તેઓ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. વર્ષ 2004માં તેઓ પ્રથમ વખત બોરસદ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા.
આંકલાવ બેઠક વર્ષ 2012માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. આંકલાવ બેઠક પર તેઓ 2012, 2017 અને 2022 એમ ત્રણ ટર્મથી અહીં ચૂંટાતા આવ્યા છે. વર્ષ 2012માં ચૂંટણી જીત્યા બાદ વિધાનસભામાં પક્ષના ઉપદંડક બનાવાયા હતા.
અમિત ચાવડા રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના દાદા ઈશ્વરસિંહ ચાવડા કોંગ્રેસના સાંસદ હતા. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના તેઓ સસરા થતાં હતા. 19 માર્ચ 2018ના રોજ ભરતસિંહ સોલંકીએ પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામુ આપતાં અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થતાં તેઓએ પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામુ આપ્યું હતું.
કોણ છે લાલજી દેસાઇ?
લાલજી દેસાઇ સુરેન્દ્રનગરના મેરા ગામના રહેવાસી છે. તેમણે બીકોમ ઉપરાંત ભાવનગર જિલ્લાની લોકભારતી સંસ્થામાંથી બેચલર ઓફ રૂરલ સ્ટડીનો અભ્યાસ કર્યો છે. વર્ષ 1999માં તેમણે આદિવાસીના હક માટે 200 કિલોમીટરની પદયાત્રા કરી હતી.
હાલમાં તેઓ કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓ માલધારી સમાજમાંથી આવે છે. જ્ઞાતિ સમીકરણ જોઈએ તો ગુજરાતમાં માલધારી સમાજની વસતી ખૂબ ઓછી છે. તેથી ઓબીસી સમાજના સમીકરણમાં તેઓ ફિટ બેસી શકે તેમ નથી.
કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ ગુજરાત સેવાદળના સંગઠનને પણ તેઓ બેઠું કરી શક્યા નથી. 33 જિલ્લામાંથી માત્ર 17 થી 18 જિલ્લામાં સેવાદળ ગોઠવાયું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત સેવાદળના 700 રાષ્ટ્રીય સેવાદળના 3.70 લાખ કાર્યકરોનું તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?