ઓપરેશન સિંદૂરમાં ભારતને નુકસાન થયાના દાવા પોકળ, જો પુરાવા હોય તો બતાવો: અજિત ડોભાલ
અજિત ડોભાલે ઓપરેશન સિંદૂરને ભારતની સંપૂર્ણ સફળતા ગણાવી અને વિદેશી મીડિયા દ્વારા કરાયેલા દાવાઓને ખંડન કર્યું

અજિત ડોભાલ

અજિત ડોભાલ
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે શુક્રવારે 'ઓપરેશન સિંદૂર' પર પોતાનું પહેલું નિવેદન આપ્યું. તેમણે ઓપરેશનની સફળતા અંગે ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા. તેમણે વિદેશી મીડિયાને પડકાર ફેંક્યો કે, જો તેમની પાસે ભારતના નુકસાનનો કોઈ પુરાવો હોય તો તે રજૂ કરે.
તેમણે IIT મદ્રાસના 62મા દીક્ષાંત સમારોહમાં આ વાતો કહી. અજિત ડોભાલે કહ્યું કે, અમે પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણા પસંદ કર્યા અને તેમને નિશાન બનાવ્યા હતા. આ સરહદી વિસ્તારો ન હતા, પરંતુ તે સ્થાનો હતા જ્યાં અમને ખાતરી હતી કે, આતંકવાદીઓ હાજર છે. અમે એક પણ લક્ષ્ય ચૂક્યા નહિ અને અન્ય કોઈ સ્થાનને નિશાન બનાવ્યું નહિ. આ હુમલો સંપૂર્ણપણે સચોટ અને પૂર્વનિર્ધારિત માહિતીના આધારે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઓપરેશન માત્ર 23 મિનિટમાં હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન, ભારતીય વાયુસેના અને સુરક્ષા એજન્સીઓએ મળીને એવી વ્યૂહાત્મક એકતા દર્શાવી કે તે સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ બની ગયું.
તેમણે કહ્યું કે, વિદેશી મીડિયા કોઈ ફોટો કે સેટેલાઈટ છબી બતાવી શક્યું નથી અને નુકસાન શું થયું તે કહી શક્યું નથી. NSA એ કહ્યું કે, "વિદેશી પ્રેસ કહેતા રહ્યા કે પાકિસ્તાને આ કર્યું, તે કર્યું, પરંતુ મને એક એવો ફોટો બતાવો જેમાં ભારતનું નુકસાન દેખાય, એક કાચ પણ તૂટેલો હોય. અમે કોઈ ભૂલ કરી નથી. અમે એટલા સચોટ હતા કે અમને ખબર હતી કે કોણ ક્યાં છે."
તેમણે પડકાર ફેંક્યો અને કહ્યું કે, તમે મને એક પણ ફોટો કે સેટેલાઇટ છબી બતાવો જેમાં ભારતને કોઈ નુકસાન થયું હોય, કાચની બારીને પણ નુકસાન થયું હોય. ભારતીય સેનાની આધુનિક ટેકનોલોજી અને વ્યૂહરચનાએ આ સમગ્ર કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તેમણે કહ્યું કે, અમને ગર્વ છે કે આ કામગીરીમાં, બ્રહ્મોસ, ઇન્ટિગ્રેટેડ એર કંટ્રોલ અને કમાન્ડ સિસ્ટમ અને બેટલફિલ્ડ સર્વેલન્સ જેવી સ્વદેશી અને અત્યાધુનિક સિસ્ટમ્સની ભૂમિકા નિર્ણાયક હતી. અમે તેમની સ્થિતિનો સચોટ અંદાજ લગાવ્યો અને તેના આધારે હુમલો કર્યો. ડોભાલે કટાક્ષમાં કહ્યું કે, વિદેશી મીડિયાએ મોટા દાવા કર્યા, પરંતુ શું તેમની પાસે કોઈ પુરાવા છે? ન્યૂ યોર્ક ટાઇમ્સે ઘણું લખ્યું કે, પરંતુ શું તેઓએ એક પણ કાયદેસર છબી બતાવી જે ભારતને થયેલા નુકસાનની પુષ્ટિ કરે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?