'ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી, ભાજપ-કોંગ્રેસ બધાને હપ્તા મળ્યા'-મનસુખ વસાવા
મનરેગા કૌભાંડ મામલે સાંસદ મનસુખ વસાવાનો સનસનીખેજ આક્ષેપ કરતાં રાજકીય ગરમાવો

મનરેગા યોજના હેઠળ થયેલા કામોની દરેક જિલ્લામાં CIDની ટીમ દ્વારા તપાસ કરાવવાની માંગ

મનરેગા યોજના હેઠળ થયેલા કામોની દરેક જિલ્લામાં CIDની ટીમ દ્વારા તપાસ કરાવવાની માંગ
ભરૂચ મનરેગા કૌભાંડ મામલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ધડાકો કરતાં જણાવ્યું છે કે, કામ કરનારી એજન્સીઓ દ્વારા વિવિધ પક્ષોના નેતાઓને રૂપિયા આપવામાં આવ્યા હતા. જેમાં વિપક્ષના નેતાઓનો પણ સમાવેશ થાય છે.
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, કૌભાંડ આચરનારી એજન્સીના કેટલાક માણસો તેમને મળવા આવ્યા હતા. તેમણે આ માણસોને રાજપીપળા ગેસ્ટ હાઉસમાં બોલાવીને જાહેરમાં મીટિંગ કરી હતી. આ મીટિંગ દરમિયાન એજન્સીના માણસોએ તેમને એક યાદી બતાવી હતી, જેમાં કૌભાંડના ભાગરૂપે દરેક પક્ષના નેતાઓને ચૂકવવામાં આવેલા રૂપિયાનો ઉલ્લેખ હતો. વિપક્ષના નેતાઓ જે આક્ષેપ કરી રહ્યા છે. તેમાંથી જ કેટલાક શાહુકાર બન્યા છે. વિપક્ષના નેતાઓએ પણ રૂપિયા લીધા છે.
સાંસદે 'સ્વર્ણિમ' નામની એજન્સીનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેણે મનરેગા હેઠળ કામો કર્યા છે. તેમણે આ એજન્સીના કામોની પણ વિગતવાર તપાસ થવી જોઈએ તેવી માંગ કરી હતી. સાંસદે રાજ્ય સરકારને અપીલ કરી છે કે મનરેગા યોજના હેઠળ થયેલા કામોની દરેક જિલ્લામાં CID દ્વારા તપાસ કરાવવામાં આવે. આ માંગણીથી રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા જાગી છે.
ભરુચના મનરેગા કૌભાંડમાં સાંસદ મનસુખ વસાવાએ કરેલા આક્ષેપોએ રાજકીય વર્તુળોમાં ભારે હડકંપ મચાવ્યો છે. પરંતુ તેમના નિવેદનોમાં છેલ્લે આવેલા પલટાએ અનેક સવાલો ઊભા કર્યા છે. વસાવાએ કૌભાંડને ગાંધીનગર લેવલનું "સેટિંગ" ગણાવ્યું હતું. જેમાં એજન્સીને કામ મળે ત્યાં સુધીનું આયોજન હોવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે અધિકારીઓ, પદાધિકારીઓ સહિત તમામને ફંડ આપવામાં આવ્યું છે, અને આ મામલે ગાંધીનગરથી તપાસની શરૂઆત થવી જોઈએ.
વસાવાએ કટાક્ષ કરતાં કહ્યું કે, "ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી" અને "દીવા તળે અંધારું છે એ જોતા નથી." તેમના મતે આ કૌભાંડમાં બધાને ટકાવારી મળી છે. જેમાં દરેક પક્ષના લોકો, મંત્રીઓ, સચિવો અને અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમણે 'સ્વર્ણિમ' એજન્સીની તપાસ ન થવા પર પણ સવાલ ઉઠાવ્યો અને માંગ કરી કે માત્ર ભરૂચ કે નર્મદા જ નહીં. ગુજરાતમાં મનરેગાના કામોની તપાસ થવી જોઈએ.
ગંભીર આક્ષેપો કર્યા બાદ વસાવાએ લિસ્ટ રજૂ કરવાને બદલે ફક્ત મૌખિક દાવાઓ કર્યા અને આ બધી માહિતી એજન્સીના માણસો દ્વારા તેમને કહેવામાં આવી હોવાનું જણાવ્યું. તેમણે એજન્સીના ખભા પર બંદૂક મૂકીને વાત કરી હોય તેવો ઘાટ સર્જાયો. આશ્ચર્યજનક રીતે મોટા ધડાકા કર્યા બાદ સાંસદ વસાવા "પાણીમાં બેસી ગયા" અને કહ્યું કે, "આ બધું એજન્સીએ કહ્યું એમાં તથ્ય કેટલું છે એ તપાસનો વિષય છે." મનસુખ વસાવા દર વખતની જેમ ગોળ ગોળ ફરીને આમ આદમી પાર્ટી (AAP) પર સીધા આક્ષેપ કરવા પર આવી ગયા. તેમણે AAPના સરપંચો અને પદાધિકારીઓના ક્ષેત્રમાં તપાસ કરાવવાની વાત કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?