ભાઈ બીજના દિવસે ભાઈએ કેમ બહેનના ઘરે ભોજન કરવું?
ભાઈઓએ બહેનના ઘરે ભોજન કરવું, આ પરંપરા પાછળ યમરાજ અને યમુના દેવીની પૌરાણિક કથા જોડાયેલી છે

યમ યમુના મંદિર

યમ યમુના મંદિર
ભાઈ બીજનો પર્વ દીવાળીના 5 દિવસીય ઉત્સવના સમાપનનું પ્રતીક છે. આ તહેવારને યમ દ્વિતીયા અથવા ભાઈબીજના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે યમ ભાઈ બીજનો પર્વ 23 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. યમ દ્વિતીયા પર તિલક શુભ મુહૂર્ત બપોરે 01 વાગ્યેને 13 મિનિટથી બપોરે 03 વાગ્યેને 28 મિનિટ સુધી રહેશે, જે પૂજા માટે શ્રેષ્ઠ સમય છે.
પદ્મપુરાણ અને ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ
ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ છે કે, કારતક શુક્લ દ્વિતીયાના દિવસે ભાઈઓએ પોતાના ઘરમાં મધ્યાહ્નનું ભોજન ન કરતાં, પોતાની બહેનના ઘરમાં સ્નેહપૂર્વક જમવું જોઈએ. આ પરંપરાનું પાલન કરવાથી કલ્યાણ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પદ્મપુરાણ અનુસાર, જે વ્યક્તિ આ દિવસે પોતાની બહેનના હાથનું બનાવેલું ભોજન કરે છે, તે ધન અને સુંદર ભોજન પામે છે અને વર્ષભર કોઈ ઝઘડા કે શત્રુના ભયથી મુક્ત રહે છે.
આ પણ વાંચો: દિવાળી પર ઘરે લઈ આવો 4 વસ્તુ, ધનની થશે વર્ષા
યમ-યમુનાની પૌરાણિક કથા અને વરદાન
ભાઈ બીજની પરંપરા સૂર્યદેવના પુત્ર યમરાજ અને પુત્રી યમુના દેવીની પૌરાણિક કથા સાથે જોડાયેલી છે. કથા અનુસાર, યમરાજ કાર્યની અધિકતાને કારણે લાંબા સમય સુધી પોતાની બહેન યમુનાને મળવા જઈ શક્યા ન હતા. આનાથી, યમુનાએ વચન લીધું કે, તેઓ કારતક માસની શુક્લ દ્વિતીયા તિથિએ તેમના ઘરે અવશ્ય આવશે. યમરાજે વચન પાળ્યું અને યમુનાના ઘરે ભોજન કરવા ગયા. બહેને પ્રેમપૂર્વક તેમનો આતિથ્ય સત્કાર કર્યો અને અનેક વ્યંજનો બનાવ્યા. બહેનની સેવા ભાવનાથી પ્રસન્ન થઈને યમરાજે યમુનાને વરદાન માંગવા કહ્યું.
ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક
ત્યારે યમુના એ વરદાનમાં માંગ્યું કે, "જે ભાઈ આજના દિવસે યમુના નદીમાં સ્નાન કરે અને પોતાની બહેનના આતિથ્યને સ્વીકાર કરીને તિલક કરાવે, તેને અકાળ મૃત્યુનો ભય ન રહે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય." યમરાજે આ વરદાન તરત જ સ્વીકાર્યું અને કહ્યું કે આ દિવસે યમુનામાં સ્નાન કરનારા ભાઈ-બહેનને મોક્ષની પ્રાપ્તિ થશે. આ વરદાનને કારણે જ આ દિવસથી ભાઈ બીજની પરંપરા શરૂ થઈ અને યમ દ્વિતીયાને ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે.
યમુના સ્નાનનું મહત્વ અને લાભ
ભાઈ બીજના દિવસે યમુના નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. જે ભાઈ-બહેન આ દિવસે પવિત્ર યમુના નદીમાં સ્નાન કરે છે, તેમને યમરાજના ભયમાંથી મુક્તિ મળે છે અને તેમનું આયુષ્ય લાંબું થાય છે. આ સ્નાન ભાઈ-બહેના સંબંધોને મજબૂત કરે છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ તરફ દોરી જાય છે. આ ઉપરાંત, ભાઈએ બહેનને સ્વર્ણાભૂષણ, વસ્ત્રો અને આદર-સત્કાર કરીને સન્માન આપવું જોઈએ, જે વર્ષભર સૌભાગ્ય લાવે છે.
ભાઈ બીજ પૂજા મંત્ર:
ગંગા પૂજે યમુના કો યમી પૂજે યમરાજ કો,
સુભદ્રા પૂજા કૃષ્ણ કો, ગંગા યમુના નીર બહે મેરે ભાઈ કી આયુ બઢે।
યમુના ધર્મરાજ મંદિર
દેશમાં એકમાત્ર એવું મંદિર છે જે ભાઈ-બહેનના પવિત્ર સંબંધને સમર્પિત છે. તે છે ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં વિશ્રામ ઘાટ પાસે આવેલું શ્રી યમુના ધર્મરાજ મંદિર. આ મંદિર યમરાજ અને તેમની બહેન યમુના દેવીને સમર્પિત છે અને મથુરાના પ્રાચીન મંદિરોમાંનું એક છે. આ મંદિરમાં કાળા પથ્થરની બનેલી મા યમુના અને યમરાજની મૂર્તિઓ સ્થાપિત છે. એવી માન્યતા છે કે, ભાઈ બીજના અવસરે જે ભાઈ-બહેન યમુના નદીમાં સ્નાન કર્યા બાદ આ મંદિરના દર્શન કરે છે, તેમને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. આ કારણે, ભાઈ બીજ અને રક્ષાબંધન જેવા પર્વો પર અહીં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.

રાંધણ છઠ્ઠ 2026 નિમિત્તે ગુજરાતમાં શીતળા સાતમ માટે પરંપરાગત વાનગીઓ બનાવવાની પરંપરા છે. જાણો રાંધણ છઠ્ઠનું ધાર્મિક મહત્વ, પરંપરા, વાનગીઓ અને શીતળા સાતમ સાથેનો સંબંધ.