કેમ આ પત્નીએ બાંધી હતી પતિને રાખડી?
રક્ષાબંધન એ ભાઈ-બહેનના પવિત્ર સંબંધ અને પરસ્પર પ્રેમ, રક્ષા અને સમર્પણનું પ્રતીક છે
રક્ષાબંધનની ઉજવણી
રક્ષાબંધનની ઉજવણી
ભાઈ-બહેનનો સંબંધ અનોખો અને અવર્ણનીય છે. આ સંબંધ ફક્ત લોહીના સંબંધો પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ તેમાં એકબીજા પ્રત્યેની લાગણી, પ્રેમ અને સમર્પણનો સમાવેશ થાય છે. આ પવિત્ર સંબંધને સમર્પિત, ભારતમાં એક વિશેષ તહેવાર ઉજવવામાં આવે છે, જેને રક્ષાબંધન તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવાર હિન્દુ સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે અને તે ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણના બંધનને મજબૂત બનાવે છે.
રક્ષાબંધનનો અર્થ અને મહત્વ
રક્ષાબંધન શબ્દ 2 શબ્દોથી બનેલો છે. 'રક્ષા' અને 'બંધન'. સંસ્કૃત ભાષામાં, 'રક્ષા' એટલે રક્ષણ અને 'બંધન' એટલે બાંધવું. આમ, રક્ષાબંધનનો અર્થ 'રક્ષણનો દોરો' થાય છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી ( રક્ષાસૂત્ર) બાંધે છે અને ભાઈના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. તેના બદલામાં, ભાઈ બહેનને ભેટ આપે છે અને જીવનભર તેનું રક્ષણ કરવાનું વચન આપે છે.
આ તહેવાર ફક્ત સગા ભાઈ-બહેન પૂરતો સીમિત નથી, પરંતુ તેને પિતરાઈ ભાઈ-બહેન, ભાભી-નણંદ, અને ફોઈ-ભત્રીજા જેવા સંબંધોમાં પણ ઉજવવામાં આવે છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે.
ભારતના વિવિધ ધર્મોમાં રક્ષાબંધનનું મહત્વ
રક્ષાબંધન મુખ્યત્વે હિંદુઓ દ્વારા ઉજવવામાં આવે છે. ભારતના ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યો ઉપરાંત નેપાળ, પાકિસ્તાન અને મોરેશિયસ જેવા દેશોમાં પણ આ તહેવારનું ખાસ મહત્વ છે. જૈન ધર્મમાં પણ આ તહેવારને આદરપૂર્વક ઉજવવામાં આવે છે, જ્યાં જૈન પૂજારીઓ ભક્તોને રક્ષાસૂત્ર બાંધે છે. શિખ ધર્મના લોકો આ તહેવારને 'રખડી' અથવા 'રખારી' તરીકે ઉજવે છે. આ રીતે આ તહેવાર વિવિધ ધર્મોના લોકોને એકસાથે લાવે છે અને ભાઈ-બહેનના સંબંધોને સન્માન આપે છે.
રક્ષાબંધન પર્વની શરૂઆત
રક્ષાબંધન ના તહેવારની શરૂઆત સદીઓ જૂની છે અને તેનાથી સંબંધિત અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે.
1) ઈન્દ્રદેવ અને શચી

ભવિષ્ય પુરાણ અનુસાર, એકવાર દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં દેવોના રાજા ઈન્દ્ર દાનવો સામે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ત્યારે ઈન્દ્રની પત્ની શચી વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાને તેમને સુતરાઉ દોરાથી બનેલું એક પવિત્ર દોરો આપ્યો. શચીએ તે દોરો ઇન્દ્રદેવના કાંડા પર બાંધ્યું, જેના પ્રભાવથી ઈન્દ્રદેવે દાનવોને હરાવીને અમરાવતી પાછી મેળવી. તે સમયે આવા પવિત્ર દોરો યુદ્ધમાં જતા પતિના રક્ષણ માટે બાંધવામાં આવતો હતા અને તે ફક્ત ભાઈ-બહેનના સંબંધ પૂરતો મર્યાદિત ન હતો.
2) રાજા બલિ અને દેવી લક્ષ્મી

ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણ અનુસાર, જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને દાનવ રાજા બલિ પાસેથી ત્રણેય લોક જીતી લીધા, ત્યારે બલિએ ભગવાનને પોતાની સાથે મહેલમાં રહેવા વિનંતી કરી. ભગવાન વિષ્ણુએ આ વિનંતી સ્વીકારી. જોકે, ભગવાનના પત્ની દેવી લક્ષ્મી તેમને વૈકુંઠ પાછા લઈ જવા માંગતા હતા. તેથી, તેમણે રાજા બલિના કાંડા પર રાખડી બાંધીને તેમને પોતાના ભાઈ બનાવ્યા. બદલામાં, તેમણે બલિ પાસેથી ભગવાન વિષ્ણુને તેમના વચનમાંથી મુક્ત કરીને વૈકુંઠ પાછા મોકલવાનું વરદાન માંગ્યું. બલિએ સહર્ષ આ વાત સ્વીકારી અને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ વૈકુંઠ પાછા ફર્યા.
3) સંતોષી મા

એક માન્યતા અનુસાર, ભગવાન ગણેશના 2 પુત્રો હતા, શુભ અને લાભ, બહેન ન હોવાથી બન્ને ઉદાસ હતા. નારદજીની વિનંતીથી ભગવાન ગણેશે દિવ્ય જ્યોતિમાંથી સંતોષી માનું સર્જન કર્યું, જેથી શુભ અને લાભને રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે બહેન મળી.
4) કૃષ્ણ અને દ્રૌપદી

મહાભારતની કથા મુજબ, જ્યારે ભગવાન કૃષ્ણની આંગળી કપાઈ ગઈ હતી, ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો ટુકડો ફાડીને તેમની આંગળી પર બાંધ્યો હતો. તે દિવસે કૃષ્ણએ દ્રૌપદીને જીવનભર રક્ષણ આપવાનું વચન આપ્યું હતું. કુંતીએ પણ મહાભારતના યુદ્ધ પહેલા પોતાના પૌત્ર અભિમન્યુને રાખડી બાંધી હતી.
5) યમ અને યમુના

અન્ય એક પૌરાણિક કથા મુજબ, મૃત્યુના દેવતા યમ 12 વર્ષ સુધી પોતાની બહેન યમુનાને મળવા ગયા ન હતા, જેનાથી યમુનાજી ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. ગંગાના કહેવાથી યમ યમુનાને મળવા ગયા. યમુનાએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું. યમ પ્રસન્ન થયા અને તેમણે યમુનાને વરદાન માંગવા કહ્યું. યમુનાએ તેમને દરેક વર્ષે તેમને મળવાનું વરદાન માંગ્યું. યમે તેમને અમરત્વનું વરદાન આપ્યું. આ કથા 'ભાઈ બીજ' ના તહેવારનો આધાર પણ બને છે, જે ભાઈ-બહેનના સંબંધ પર જ આધારિત છે.
રક્ષાબંધનની ઉજવણીનું કારણ
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના સંબંધમાં ફરજ અને જવાબદારીનું પ્રતીક છે. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધીને તેની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે, અને ભાઈ બહેનને રક્ષણનું વચન આપે છે. આ તહેવાર ફક્ત લોહીના સંબંધો પૂરતો જ સીમિત ન રહેતા, એકબીજા પ્રત્યેના આદર, પ્રેમ અને રક્ષણનો સાર્વત્રિક સંદેશ આપે છે.

તંત્રની નિષ્ક્રિયતાથી લઈને વહીવટી બેદરકારી સુધી ઉઠ્યા અનેક સવાલો

VIP દર્શનની કોઈ પ્રથા નહીં બુકિંગ ફક્ત વેબસાઈટ પર જ કરવામાં આવશે

વડાપ્રધાન મોદીએ હરિદ્વાર કુંભ મેળા માટે ભંડોળ જાહેર કર્યું; સીએમ ધામીએ માન્યો આભાર