તેલંગાણાના સંગારેડી જિલ્લામાં સિગાચી ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં થયેલા વિસ્ફોટમાં મંગળવારે મૃત્યુઆંક 34 પર પહોંચી ગયો છે, જ્યારે વિનાશક કેમિકલ વિસ્ફોટના સ્થળે બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
સોમવારે પાસમાઈલારામ ફેઝ 1 ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત એક કેમિકલ ઉત્પાદન યુનિટમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટના બાદ એક ડઝનથી વધુ કામદારો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
તેલંગાણા રાજ્ય આપત્તિ પ્રતિભાવ અને અગ્નિશામક સેવાઓના ડિરેક્ટર જનરલ, વાય. નાગી રેડ્ડીએ જણાવ્યું હતું કે, કાટમાળ નીચે હજુ પણ ફસાયેલા લોકોની ચોક્કસ સંખ્યા અનિશ્ચિત છે. "ઔદ્યોગિક નિષ્ણાતોના મતે, આ ઘટના માઇક્રોક્રિસ્ટલાઇન સેલ્યુલોઝને હવામાં હેન્ડલિંગ/સૂકવતી વખતે બની હતી. કાટમાળ નીચે કેટલા લોકો દબાયા છે તે અંગે અમને હાલમાં ખાતરી નથી," તેમણે ઉમેર્યું.
અગ્નિશામક વિભાગના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે, શરૂઆતમાં કાટમાળમાંથી 5 મૃતદેહો મળી આવ્યા હતા, પરંતુ બચાવ ટીમોએ તેમની કામગીરી વધુ તીવ્ર બનાવતા આ સંખ્યામાં સતત વધારો થયો.
સવારે 9:37 વાગ્યે ફાયર એલર્ટ પ્રાપ્ત થયું, ત્યારબાદ પાટણચેરુ, સંગારેડ્ડી, કુકટપલ્લી, માધાપુર, જીદીમેતલા અને રાજેન્દ્રનગર સહિત અનેક સ્ટેશનો પરથી 11 ફાયર એન્જિન આગને કાબુમાં લેવા માટે તૈનાત કરવામાં આવ્યા.
સ્થાનિક પોલીસ અને ફાયર ટીમો ઉપરાંત, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDF) યુનિટ્સ અને 2 ફાયર-ફાઇટિંગ રોબોટ્સને પણ કામે લગાડવામાં આવ્યા હતા. ફાયર કર્મચારીઓએ સોમવાર સાંજ સુધી કામગીરી ચાલુ રાખી અને મંગળવારે કાટમાળ નીચે બચેલા લોકો અથવા મૃતદેહોના તપાસ માટે શોધ પ્રયાસો ફરી શરૂ કર્યા.