માલાડ સ્ટેશન પર પ્રોફેસરની સરાજાહેર હત્યા
ટ્રેનમાંથી ઉતરવા જેવી સામાન્ય બાબતે ખેલાયો લોહિયાળ ખેલ; આરોપીએ પ્રોફેસરને છરીના ઘા ઝીંક્યા

પ્રોફેસરની સરાજાહેર હત્યા

પ્રોફેસરની સરાજાહેર હત્યા
મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં હિંસાની એક એવી ઘટના બની છે, જેણે આખા શહેરને સ્તબ્ધ કરી દીધું છે. માલાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર વિલે પાર્લેની એક પ્રતિષ્ઠિત કોલેજના પ્રોફેસર આલોક સિંહની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. રેલવે પોલીસે આ મામલે ગણતરીના સમયમાં જ એકની ધરપકડ કરી લીધી છે. 27 વર્ષીય ઓમકાર શિંદે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સામાન્ય બોલાચાલી બની ઘાતકી:
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે પ્રોફેસર આલોક સિંહ અને આરોપી ઓમકાર શિંદે એક જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન જ્યારે માલાડ સ્ટેશન નજીક પહોંચી, ત્યારે ડબ્બાના દરવાજેથી ઉતરવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. મુંબઈની ભીડમાં દરરોજ થતા આ વિવાદે અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્લેટફોર્મ પર ઉતરતાની સાથે જ આવેશમાં આવેલા આરોપીએ તેની પાસે રહેલી તીક્ષ્ણ છરી કાઢી પ્રોફેસરના પેટમાં અનેક ઘા ઝીંકી દીધા હતા.
CCTV અને પોલીસ એક્શન:
પ્રોફેસર લોહીલુહાણ હાલતમાં પ્લેટફોર્મ પર ઢળી પડ્યા હતા અને હુમલાખોર ભીડનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. બોરીવલી ગવર્મેન્ટ રેલવે પોલીસે (GRP) તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તપાસ્યા, જેમાં સફેદ શર્ટ અને બ્લુ જીન્સમાં એક શખ્સ ફૂટ ઓવર બ્રિજ પરથી ભાગતો દેખાયો હતો. આ ફૂટેજ અને ટેકનિકલ ઈન્ટેલિજન્સની મદદથી પોલીસે આરોપીનો પીછો કર્યો અને તેને વસઈથી ઝડપી પાડ્યો હતો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, સામાન્ય ઝઘડામાં કોઈ અજાણ્યા વ્યક્તિની આટલી ક્રૂરતાથી હત્યા કરવી એ ગંભીર ચિંતાનો વિષય છે. શું આ હુમલા પાછળ કોઈ જૂની અદાવત હતી કે માત્ર ક્ષણિક ગુસ્સો, તે દિશામાં વધુ તપાસ ચાલુ છે. આ ઘટનાએ રેલવે પ્લેટફોર્મ પર મુસાફરોની સુરક્ષા અંગે ફરી એકવાર મોટા સવાલો ઉભા કર્યા છે.
હાલમાં માલાડ રેલ્વે સ્ટેશન પર જ્યાં ઘટના બની તે જગ્યાને સંપૂર્ણ રીતે કોર્ડન કરી દેવામાં આવી છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.