દેશભરમાં થશે મતદાર યાદીનું વેરિફિકેશન: ચૂંટણી પંચ
ચૂંટણી પંચે દેશભરમાં મતદાર યાદીના વિશેષ સઘન વેરિફિકેશનનો આદેશ આપ્યો

ભારતીય ચૂંટણી પંચ

ભારતીય ચૂંટણી પંચ
ભારતનું ચૂંટણી પંચ (ECI) હવે દેશભરમાં મતદાર યાદીના વિશેષ સઘન પુન:નિરક્ષણ અભિયાન શરૂ કરશે. 24 જૂન, 2025ના રોજ જારી કરાયેલા આદેશ વિશે શુક્રવારે વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીની ચોકસાઈ સુનિશ્ચિત કરવાનો છે. બંધારણના અનુચ્છેદ 324 અને જન પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, ECI સંસદ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ તથા મતદાર યાદીની તૈયારી અને દેખરેખની જવાબદારી નિભાવે છે. મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટે ચોક્કસ મતદાર યાદી અનિવાર્ય છે. જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને 1960ના મતદાર નોંધણી નિયમો મતદાર યાદી બનાવવાની પ્રક્રિયા અને પાત્રતા નક્કી કરે છે.
ચૂંટણી પંચે ભૂતકાળમાં પણ દેશના અમુક ભાગોમાં 1952-56, 1957, 1961, 1965, 1966, 1983-84, 1987-89, 1992, 1993, 1995, 2002, 2003 અને 2004માં મતદાર યાદીનું સઘન પુન:નિરક્ષણ કર્યું હતું. બિહારમાં છેલ્લું મોટું પુન:નિરક્ષણ 2003માં 1 જાન્યુઆરી, 2003ને આધાર તારીખ તરીકે રાખીને થયું હતું.
આ નવા પુન:નિરક્ષણનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ પાત્ર નાગરિકો મતદાર યાદીમાં શામેલ થાય અને કોઈ પણ લાયક વ્યક્તિ બાકાત ન રહે. બંધારણના અનુચ્છેદ 326 અનુસાર, 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો, જેઓ કોઈપણ કાયદા દ્વારા ગેરલાયક ન ઠેરવવામાં આવ્યા હોય, તેઓ મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે હકદાર છે. છેલ્લા 20 વર્ષમાં મતદાર યાદીમાં થયેલા મોટા ફેરફારો, શહેરીકરણ અને લોકોના એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને કારણે આ પગલું જરૂરી બન્યું છે.
ચૂંટણી પંચે નોંધ્યું છે કે, લોકો શિક્ષણ, રોજગાર અને અન્ય કારણોસર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને નવી જગ્યાએ મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવે છે, પરંતુ જૂની જગ્યાએથી નામ હટાવતા નથી. આનાથી મતદાર યાદીમાં બેવડા નામની સમસ્યા વધે છે. તેથી, મતદાર યાદીની શુદ્ધતા માટે સઘન ચકાસણી અભિયાનની તાતી જરૂરિયાત છે. ભારતના બંધારણના અનુચ્છેદ 326 અનુસાર, મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે ભારતીય નાગરિક હોવું ફરજિયાત છે. ચૂંટણી પંચે એ સુનિશ્ચિત કરવાનું છે કે, માત્ર ભારતીય નાગરિકોનો જ આ યાદીમાં સમાવેશ થાય.
ચૂંટણી પંચે સમગ્ર દેશમાં વિશેષ સઘન સંશોધન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની હોવાથી, ત્યાં આ અભિયાન પ્રથમ શરૂ થશે. બાકીના દેશ માટે સમયપત્રક પાછળથી જાહેર કરવામાં આવશે. બિહારમાં છેલ્લું સઘન સંશોધન 2003માં થયું હતું, તેથી 1 જાન્યુઆરી, 2003ની મતદાર યાદીને પાત્રતા અને નાગરિકતાનો આધાર માનવામાં આવશે, સિવાય કે કોઈ નવી માહિતી ન મળે.
જેમનું નામ 2003ની યાદીમાં નથી, તેમને મતદાર યાદીમાં સમાવેશ થવા માટે સરકાર દ્વારા નિર્ધારિત દસ્તાવેજો જમા કરાવવા પડશે. વર્તમાન મતદાર યાદી 6 જાન્યુઆરી, 2025ના રોજ પ્રકાશિત થઈ હતી અને ત્યારથી સતત અપડેટ થઈ રહી છે. પંચે નિર્દેશ આપ્યો છે કે, 25 જુલાઈ, 2025 સુધીમાં તમામ વર્તમાન મતદારોને પહેલેથી ભરેલું ગણના ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં ફક્ત તે મતદારોના નામનોસમાવેશ હશે જેમણે આ ફોર્મ ભર્યું હશે. આ એક સઘન સંશોધન હોવાથી, ફોર્મ જમા ન કરનાર મતદારોના નામ યાદીમાંથી દૂર કરી શકાય છે અને 25 જુલાઈ, 2025 પહેલા કોઈપણ મતદારનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં શામેલ કરવામાં આવશે નહિ.
ચૂંટણી પંચે અધિકારીઓ માટે પણ સ્પષ્ટ નિર્દેશો જારી કર્યા છે. ERO/AERO તપાસ કર્યા વિના અને સંબંધિત વ્યક્તિને યોગ્ય તક આપ્યા વિના ડ્રાફ્ટ યાદીમાંથી કોઈનું નામ દૂર કરશે નહિ. જો કોઈ વ્યક્તિ EROના નિર્ણયથી અસંતુષ્ટ હોય, તો તે RP એક્ટ, 1950ની કલમ 24(A) અને RER, 1960ના નિયમ 27 હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) સમક્ષ અપીલ કરી શકે છે. જો DMના આદેશથી પણ સંતોષ ન મળે, તો વ્યક્તિ 30 દિવસની અંદર મુખ્ય અધિકારી સમક્ષ બીજી અપીલ દાખલ કરી શકે છે, જેમ કે RP એક્ટ, 1950ની કલમ 24(B) અને RER, 1960ના નિયમ 27માં ઉલ્લેખ છે. આ ઉપરાંત, નવા મતદાર તરીકે નોંધણી અથવા બિહારની બહારથી સ્થળાંતરણ માટે અરજી કરનારાઓને હવે ફોર્મ 6/ફોર્મ 8 સાથે એક વધારાનું ઘોષણા પત્ર પણ ભરવું પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...