કેન્દ્રના કર્મચારીઓ આનંદો, આઠમું પગાર પંચ મંજૂર
1 જાન્યુઆરીથી અમલની શક્યતા, 50 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને લાભ મળશે

કેન્દ્રીય કેબિનેટ બેઠક

કેન્દ્રીય કેબિનેટ બેઠક
કેન્દ્રીય મંત્રીમંડળે 8માં કેન્દ્રીય પગાર પંચની રચના માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 8માં પગાર પંચની રચનાને ઔપચારિક મંજૂરી આપવામાં આવી છે.
8માં પગાર પંચ અંગે કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025 માં જાહેરાત કરી હતી. હવે પગાર પંચની રચના કરવા મંજૂરી મળી છે. તેના કારણે કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને ફાયદો થશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, 8મું પગાર પંચ 18 મહિનામાં ભલામણો રજૂ કરશે. 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવાની અપેક્ષા છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ 8માં પગાર પંચના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે.
કેન્દ્ર સરકારે 8માં કેન્દ્રીય પગાર પંચ માટે સંદર્ભની શરતોને પણ મંજૂરી આપી છે. પગાર પંચનું મુખ્ય કાર્ય કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા, નિવૃત્તિ પછીના લાભો અને અન્ય સેવા શરતોમાં જરૂરી ફેરફારોની તપાસ અને ભલામણો કરવાનું છે.
8માં પગાર પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક
સરકારે 8માં પગાર પંચ ની રચના સાથે મહત્ત્વના હોદ્દેદારોના નામોની પણ જાહેરાત કરી છે. આ પંચ એક કામચલાઉ સંસ્થા હશે. જેમાં એક અધ્યક્ષ, એક અંશકાલિન સભ્ય અને એક સભ્ય-સચિવનો સમાવેશ થાય છે. સુપ્રીમકોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ અધ્યક્ષ તરીકે, અંશકાલિન સભ્ય તરીકે IIM બેંગ્લોરના પ્રોફેસર પુલક ઘોષ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ પંકજ જૈન સભ્ય-સચિવ તરીકે કાર્યભાર સંભાળશે.
18 મહિનામાં ભલામણો રજૂ કર્યા બાદ અમલ
8મું કેન્દ્રીય પગાર પંચ આજથી 18 મહિનામાં ભલામણો રજૂ કરવા માટે બંધાયેલું છે. સામાન્ય રીતે, પગાર પંચની ભલામણો દર 10 વર્ષે લાગુ કરવામાં આવે છે. આ નિયમ મુજબ, 8માં પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવાની અપેક્ષા છે. જરૂરી જણાય તો કમિશન મુખ્ય ભલામણોને અંતિમ સ્વરૂપ આપ્યા પછી પણ કોઈપણ મહત્ત્વની બાબત પર તેનો પૂરક અહેવાલ રજૂ કરી શકે છે.
ભલામણો કરતી વખતે મહત્વના પરિબળો પર ધ્યાન આપશે
આર્થિક પરિસ્થિતિ: દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતિ અને નાણાકીય શિસ્ત જાળવવાની જરૂરિયાત.
સંસાધનોની ઉપલબ્ધતા: વિકાસ અને કલ્યાણ યોજનાઓ માટે પૂરતા સંસાધનો ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવું.
પેન્શન યોજનાઓનો ખર્ચ: ભંડોળ વિનાની બિન-ફાળો આપતી પેન્શન યોજનાઓનો સંભવિત ખર્ચ.
રાજ્ય સરકાર પર અસર: રાજ્ય સરકારના તિજોરી પર ભલામણોની સંભવિત અસર, કારણ કે રાજ્ય સરકારો ઘણીવાર કેન્દ્રની ભલામણોને અપનાવે છે.
ખાનગી અને જાહેર ક્ષેત્ર: કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના વર્તમાન પગાર, લાભો અને કાર્યકારી પરિસ્થિતિઓ સાથે સરખામણી.
કેન્દ્રીય પગાર પંચની રચના સમયાંતરે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા, નિવૃત્તિ પછીના લાભો અને અન્ય સેવા શરતો સંબંધિત મુદ્દાઓની તપાસ કરવા માટે કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્રીય કર્મચારીઓના જીવનધોરણ અને ખરીદશક્તિને ધ્યાનમાં રાખીને યોગ્ય વળતર અને લાભો મળે તેની ખાતરી કરવાનો છે.
8મા પગારપંચમાં પગાર કેટલો વધી શકે?
બેઝિક સેલરીમાં વધારાની રકમ ફિટમેન્ટ ફેક્ટર અને DA મર્જર પર આધાર રાખે છે. 7મા પગારપંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો. 8મા પગારપંચમાં 2.46 હોઈ શકે છે.
દરેક પગારપંચમાં DA શૂન્યથી શરૂ થાય છે. ફુગાવાને ધ્યાનમાં રાખીને નવી બેઝિક સેલરી પહેલાંથી જ વધારવામાં આવે છે. ત્યારબાદ DA ફરીથી ધીમે ધીમે વધે છે.
હાલમાં DA બેઝિક સેલરીના 55 ટકા છે. DA દૂર કરવાથી કુલ પગારમાં વધારો (બેઝિક + DA + HRA) થોડો ઓછો દેખાઈ શકે છે. કારણ કે 55 ટકા DAનો હિસ્સો દૂર કરવામાં આવશે.
ધારો કે તમે લેવલ 6 પર છો અને 7મા પગારપંચ મુજબ બેઝિક સેલરી ₹35,400, DA (55%): ₹19,470, HRA (મેટ્રો, 27%): ₹9,558 સાથે કુલ પગાર: ₹64,428 છે. તો 8મા પગારપંચમાં ફિટમેન્ટ 2.46 લાગુ કરવામાં આવે તો નવા પ્રમાણે નવી બેઝિક સેલરી: ₹35,400 x 2.46 = ₹87,084, DA: 0% (રિસેટ), HRA (27%): ₹87,084 x 27% = ₹23,513 સાથે કુલ પગાર: ₹87,084 + ₹23,513 = ₹1,10,597 થશે.
8મા પગારપંચનો અમલ 2 થી 3 વર્ષમાં થઈ શકે
દરેક પગારપંચની સેટઅપ થવાથી લઈને અમલીકરણ સુધી સામાન્ય રીતે બેથી ત્રણ વર્ષ લાગે છે. 2025 પૂર્ણ થવામાં હજુ ત્રણ મહિના બાકી છે. કમિશન ઝડપથી રચાય તોપણ રિપોર્ટ તૈયાર કરવામાં, સરકારની મંજૂરી મેળવવામાં અને બધું જ ફાઈનલ કરવામાં સમય લાગશે. અગાઉના કમિશન પર નજર નાખતાં પણ આવી જ પેટર્ન જોવા મળે છે. એટલા માટે કે એ 2028 સુધીમાં સંપૂર્ણપણે લાગુ થઈ જશે, એનો અર્થ એ નથી કે એના લાભો ફક્ત 2028થી જ મળશે. પગારપંચ દર 10 વર્ષે આવે છે.
7મો સુધારો 2016માં અમલમાં આવ્યો હતો. જ્યારે 8મા સુધારાની "અસરકારક તારીખ" 1 જાન્યુઆરી, 2026 છે. આનો અર્થ એ થયો કે પગાર અને પેન્શન વધારો આ તારીખથી ગણવામાં આવશે.
છેલ્લા પગારપંચની રચના અને અમલ ક્યારે કરવામાં આવ્યો હતો?
પાંચમું પગારપંચ: ની રચના એપ્રિલ 1994માં કરવામાં આવી હતી. આ અહેવાલ જાન્યુઆરી 1997માં સરકારને સુપરત કરવામાં આવ્યો હતો, પરંતુ ભલામણો 1 જાન્યુઆરી, 1996થી લાગુ કરવામાં આવી હતી. પહેલા 51 પે સ્કેલ હતો, પરંતુ એ ઘટાડીને 34 કરવામાં આવ્યો.
છઠ્ઠું પગારપંચ: ની રચના 20 ઓક્ટોબર 2006ના રોજ કરવામાં આવી હતી. આ અહેવાલ માર્ચ 2008માં તૈયાર કરવામાં આવ્યો હતો અને સરકારને સુપરત કરવામાં આવ્યો હતો. આ અહેવાલ ઓગસ્ટ 2008માં મંજૂર કરવામાં આવ્યો હતો અને ભલામણો 1 જાન્યુઆરી 2006થી લાગુ થઈ હતી.
સાતમું પગારપંચ: ની રચના ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી અને માર્ચ 2014 સુધીમાં ટર્મ્સ ઓફ રેફરન્સ ફાઈનલ થયા હતા. આ અહેવાલ નવેમ્બર 2015માં રજૂ કરવામાં આવ્યો હતો. સરકારે જૂન 2016માં એને મંજૂરી આપી હતી, અને ભલામણો 1 જાન્યુઆરી, 2016થી અમલમાં આવી હતી.
ક્યાં વર્ષમાં પગારપંચ લાગુ થયા હતા?
પગાર પંચ ક્યારે લાગુ થયું
પહેલું 1 જુલાઈ 1947
બીજું 1 જુલાઈ 1959
ત્રીજું 1 જાન્યુઆરી 1973
ચોથું 1 જાન્યુઆરી 1986
પાંચમું 1 જાન્યુઆરી 1996
છઠ્ઠું 1 જાન્યુઆરી 2006
સાતમું 1 જાન્યુઆરી 2016
આઠમું 1 જાન્યુઆરી 2026 થવાની શક્યતા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...