જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનોમાં તૈનાત ભારતીય સેનાના વિશેષ દળ (SF)ના એક કમાન્ડો અને તેમના પરિવારને બંગાળના હુગલી જિલ્લામાં આતંકવાદી સંગઠન અલકાયદાના નામના પોસ્ટરો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા ઘાતક આતંકવાદી હુમલાની ઘટનાના થોડા દિવસો બાદ આ ધમકી મળી છે. સૈનિક ગૌરવ મુખર્જી સેનાની 6 પેરા (SF) બટાલિયનમાં તૈનાત છે. ડિસેમ્બર 2022 માં તેઓ અગ્નિવીર ભરતી યોજના હેઠળ સેનામાં જોડાયા હતા.
કમાન્ડો જવાનના પિતાને અપાઈ ધમકી...
મળેલી માહિતી અનુસાર, 26 એપ્રિલની રાત્રે ગૌરવના પિતા ગૌતમ મુખર્જીને હુગલીના ધનિયાખાલી પોલીસ સ્ટેશન હેઠળના બેલમુડી પંચાયતના ચૈતન્યવાટી સ્થિત ગામમાં તેમના ઘરની દિવાલો પર પાકિસ્તાન ઝિંદાબાદ લખેલા બંગાળીમાં બે હસ્તલિખિત પોસ્ટર મળ્યા. પોસ્ટરોમાં લખ્યું હતું, "અમને ગૌરવ મુખર્જીનું માથું જોઈએ છે. જો તમે હિન્દુઓને બચાવવાનો પ્રયાસ કર્યો તો અમે તમારા પરિવારને ખતમ કરી દઈશું. અમે બંગાળને પાકિસ્તાન બનાવીશું." બંને પોસ્ટરોના નીચે 'અલકાયદા મુસ્લિમ લીગ' લખ્યું હતું.
પોસ્ટર મળ્યા બાદ તે જ રાત્રે ગૌતમ મુખર્જીએ ધનિયાખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. બીજા દિવસે સવારે તેમના ઘરની અંદર પણ બારીમાંથી કોઈએ ફેંકેલું સાદા કાગળ પર લખેલું ધમકીવાળું પોસ્ટર મળ્યું.
મામલાની તપાસમાં લાગી પોલીસ...
જો કે ઘટનાના ત્રણ દિવસ બાદ પણ એ જાણી શકાયું નથી કે આ પોસ્ટરો પાછળ કોણ લોકો છે. પોલીસનું કહેવું છે કે, ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ધનિયાખાલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું કે, "મામલામાં અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. અમે તપાસ કરી રહ્યા છીએ." પોલીસના જણાવ્યા અનુસાર, જે ઘરની દીવાલ પર પોસ્ટર લગાવવામાં આવ્યું હતું, તેની નજીકના એક મકાનમાં લાગેલા CCTV ની તપાસ કરવામાં આવી રહી છે. આ ગ્રામીણ વિસ્તાર હોવાથી મકાનની આસપાસના રસ્તાઓ પર કોઈ CCTV નથી.
બાળકની મસ્તી પણ હોઈ શકે છે: પોલીસ
નામ ન આપવાની શરતે એક પોલીસ અધિકારીનું કહેવું છે કે આ પોસ્ટરો પાછળ બાળકોની મસ્તી પણ હોઈ શકે છે. કારણ કે એ૪ સાઈઝના સાદા કાગળ પર ધમકીઓ લખીને દીવાલ પર જે ચોંટાડવામાં આવ્યું હતું, તે પોસ્ટરોના લખાણમાં પણ જોડણીની ઘણી ભૂલો (સ્પેલિંગ મિસ્ટેક) છે. લખાણ જોઈને લાગે છે કે આ કોઈ બાળકની કરતૂત છે. તમામ એંગલથી આની તપાસ કરવામાં આવી રહી છે.