વડોદરામાં ગેસ લીકેજ બાદ આગ, 1નું મોત 3 ઈજાગ્રસ્ત
ગેસ લીકેજને કારણે મીની બ્લાસ્ટ થતાં, પરિવારના સભ્યોને બચાવવા ગયેલા 24 વર્ષીય પુત્રનું મોત

વિશ્વજીત ગુપ્તા

વિશ્વજીત ગુપ્તા
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી મનહર પાર્ક સોસાયટીમાં રહેતા ગુપ્તા પરિવાર માટે છઠ પૂજાનો ખુશીનો પર્વ દુઃખમાં પરિવર્તિત થઈ ગયો. મૂળ બિહારના વતની આ ગુપ્તા પરિવારના મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજના કારણે આગ લાગી હતી. ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, ગેસ લીકેજના કારણે ઘરમાં મીની બ્લાસ્ટ થયો હોવાનું પણ જણાયું છે. પ્રત્યક્ષદર્શી પ્રફુલભાઈ ઠક્કરે ઘટનાનું વર્ણન કરતાં કહ્યું, 'ઘરમાં મોટો ધડાકો થયો અને ઘરમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા હતા અને પરિવારજનો બૂમાબૂમ કરવા લાગ્યા હતાં. જેથી અમે બચાવવા માટે દોડી ગયા હતાં.' આ ઘટનામાં પરિવારના 4 સભ્યો દાઝી ગયા હતાં, જેમાં 24 વર્ષીય પુત્ર વિશ્વજીત ગુપ્તાનું અવસાન થયું છે.
પરિવારના 3 સભ્યો દાઝ્યા
મનહર પાર્ક સોસાયટીના મકાનમાં લાગેલી આગને કારણે રાજકિશોર ગુપ્તા, રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તા દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પરંતુ આ દુર્ઘટનામાં સૌથી મોટો ઘા ત્યારે પડ્યો જ્યારે 24 વર્ષીય પુત્ર વિશ્વજીત ગુપ્તા પરિવારના સભ્યોને અને સામાનને બચાવવા માટે ઘરમાં ગયા અને આગમાં ફસાઈ જતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, પરિવારના અન્ય 5 સભ્યોને દીવાલ કૂદીને અથવા પાછળના રસ્તેથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. મૃતક યુવાનની બહેન રિંકી ગુપ્તાએ કરાટે ક્લાસમાંથી આવીને જોયું તો તેના માતા-પિતા રડતાં હતા અને કહી રહ્યા હતા,'ભાઈ અંદર છે,' જે દ્રશ્ય ખૂબ જ હૃદયદ્રાવક હતું.
આ પણ વાંચો: ગેસ સિલિન્ડર લીક થતાં જ થયો વિસ્ફોટ, પતિ-પત્નીનો ચમત્કારિક બચાવ, રૂંવાડા ઊભા કરતો વીડિયો થયો વાયરલ
ઘટનાસ્થળની સ્થિતિ અને ફાયર બ્રિગેડની કામગીરી
ફાયર વિભાગના ફાયર ઓફિસર હર્ષવર્ધન પુવારે જણાવ્યું કે, કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવીને યુવકને બહાર કાઢ્યો હતો, જોકે તેનું મોત નીપજ્યું હતું. તેમણે પુષ્ટિ કરી કે, સિલિન્ડર લિકેજના કારણે આગ લાગી હતી, પરંતુ સિલિન્ડર બ્લાસ્ટ થયો ન હતો.
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા
ઘરમાં થયેલા મીની બ્લાસ્ટના કારણે ઘરનો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો અને AC પણ તૂટીને નીચે પડ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે વિશ્વજીત ગુપ્તાના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને કારણે સમગ્ર સોસાયટીમાં શોકનો માહોલ છવાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!