પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્રની મુશ્કેલી વધી
ગોંડલના રાજકુમાર જાટ કેસની તપાસ સુરેન્દ્રનગર SPને સોંપવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ

રાજકુમાર જાટનું અકસ્માતે મોત નહી પણ હત્યા કરાઈ હોવાનો પરિવારજનોએ કર્યો છે આક્ષેપ

રાજકુમાર જાટનું અકસ્માતે મોત નહી પણ હત્યા કરાઈ હોવાનો પરિવારજનોએ કર્યો છે આક્ષેપ
ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો કેસની તપાસ સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુને સોંપવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાઇકોર્ટના હુકમ મુજબ હવે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ અને ધ્રાંગધ્રા DySP જે.ડી.પુરોહિત સમગ્ર કેસની તપાસ કરીને જાતે નિવેદન લેશે. તપાસ કમિટી નવેસરથી તપાસ હાથ ધરીને પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરે હાઈકોર્ટ સમક્ષ મૂકશે.
ગુજરાત હાઈકોર્ટના આદેશથી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્રની મુશ્કેલી વધી છે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે રાજકુમારનું મોત અકસ્માતે નહીં, પરંતુ હત્યા થઈ છે. આ હત્યામાં પૂર્વ MLA જયરાજસિંહ અને તેનો પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે. પરંતુ કુવાડવા પોલીસ તેને બચાવી રહી છે. તેથી કેસની તપાસ CBI ને સોંપવા હાઇકોર્ટમાં અરજી કરી હતી.
આ કેસમાં રાજકોટ પોલીસ દ્વારા પક્ષપાતી તપાસ કરવામાં આવી હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. તેઓનું કહેવું છે કે, કોર્ટનો પ્રથમદર્શી અભિપ્રાય છે કે તપાસ બીજાને આપવી જરૂરી છે. રાજ્યમાં કોઈપણ અધિકારીને તપાસ આપવા માટે વાંધો નથી. તેથી સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુને સોંપાઈ છે. ધ્રાંગધ્રા DySP જે.ડી.પુરોહિત તેમને તપાસમાં મદદ કરશે. નવી તપાસ ટીમ બનાવીને તેઓ તપાસ કરશે.
રાજ્ય સરકાર કેસની તપાસ નવી તપાસ ટીમને ટ્રાન્સફર કરશે. પ્રેમસુખ ડેલુ, અજિત રાજ્યાન ,ઓમ પ્રકાશ જાટ, રવિ મોહન સૈની, નિતેશ પાંડે જેવા નામ અરજદારે હાઈકોર્ટ સમક્ષ મુક્યા હતા. સરકારી વકીલે પ્રેમસુખ ડેલુનું નામ આપ્યું હતું. સિનિયોરીટી અને બંનેના કોમન સજેશનના આધારે પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવામાં આવી છે.
નવી તપાસ ટીમ 2 માર્ચ, 2025 થી 15 માર્ચ 2025 ની ઘટનાઓની તપાસ કરશે. જેમાં ગુમ થયાની ફરિયાદ, અકસ્માત, NC ફરિયાદ, મૃતદેહ વગેરેની તપાસ થશે. તપાસ રાજકુમાર જાટના મૃત્યુની સ્વતંત્ર તપાસ કરશે. રાજકુમાર જાટની હત્યા થઈ હતી કે અકસ્માતે મોત, તેને આત્મહત્યા કરી હતી કે કુદરતી મોત તે કારણ સહિત જણાવશે. ત્રણેય અરજી નવી તપાસ ટીમને ટ્રાન્સફર થશે. આ તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મૂકાશે. જેની 15 ડિસેમ્બરે વધુ સુનવણી થશે.
હાઈકોર્ટે રાજકોટ બહારના 3 SPના માગ્યા હતા
હાઈકોર્ટે ગત સુનાવણી વખતે પૂછ્યું હતું કે, જે વાહન સાથે મૃતકનો અકસ્માત થયો હતો. તે વાહનનો FSL રિપોર્ટ ક્યાં છે? શું બ્રેક ફેઈલ હતી? હાઇકોર્ટે ફોરેન્સિક એક્સપર્ટ રિપોર્ટને શંકાસ્પદ ગણાવ્યો હતો. કારણ કે, મૃતકની બોડી ઉપર જે ઈજાના નિશાનો હતા. તે શેનાથી થયા તેમાં જણાવ્યું નહોતું. અરજદારે જણાવ્યું હતું કે, ગોંડલથી 54 કિલોમીટર દૂર મૃતદેહ મળ્યો હતો. CCTVમાં તેણે ગાડીમાં લઈ જતાં દેખાય છે. કોર્ટે કેસ જોઈને તપાસ અન્ય એજન્સી અથવા CBIને આપવા માટે ફિટ કેસ ગણાવ્યો હતો. હાઈકોર્ટે રાજકોટ બહારના 3 SPના નામ સરકાર પાસેથી માગ્યા હતા.
શું હતો સમગ્ર મામલો?
મૂળ રાજસ્થાનના અને ગોંડલમાં શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી આપી રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.
રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મોત નહીં, પણ હત્યા થઈ છે. હત્યામાં પૂર્વ MLA જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે, પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે. જેથી આ ફરિયાદની વધુ તપાસ CBIને સોંપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજી ઉપર ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી યોજાઈ હતી. જેમાં હાઇકોર્ટે ઘટનાના CCTV જાળવવા અને તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો. તેમજ પક્ષકારોને નોટિસ પાઠવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!