કાચી તમાકુ ઉપર સૂચિત ટેક્સ સામે ધરતીપુત્રોનો વિરોધ
બિન ઉત્પાદિત તમાકુ ઉપર 40 GST અને 18 ટકા એક્સાઈઝ ડ્યુટીના સૂચિત અમલથી ખેડૂતોમાં રોષ

ધાનેરામાં રેલી યોજી તમાકુ પકવતા ખેડૂતોએ સૂચિત ટેક્સનો વિરોધ કર્યો હતો

ધાનેરામાં રેલી યોજી તમાકુ પકવતા ખેડૂતોએ સૂચિત ટેક્સનો વિરોધ કર્યો હતો
ઉત્તર ગુજરાતમાં તમાકુ પકવતાં ખેડૂતોની માઠી દશા શરૂ થઈ છે. કેન્દ્ર સરકારે બિન ઉત્પાદિત એટલે કે કાચી તમાકુ પર જીએસટી 12 ટકા વધારીને 40 ટકા કર્યો છે. આ ઉપરાંત તેના ઉપર 18 ટકા એક્સાઈઝ ડ્યુટી લાદવામાં આવી હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે. તેના કારણે તમાકુ વેચાણ કરવા જતાં ખેડૂત પાસેથી વેપારીઓ ટેક્સની વસૂલાત કરે તેવી શક્યતા છે.
ફેબ્રુઆરીથી અમલમાં આવનાર નવા ટેક્સના ભારણથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. બનાસકાંઠાના ધાનેરા અને મહેસાણાના ઉનાવામાં ખેડૂતોએ એકત્રિત થઈ કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કરી ટેક્સ પરત લેવા માગણી કરી છે.
બનાસકાંઠાના ધાનેરામાં રાષ્ટ્રીય કિસાન સંગઠનના નેજા હેઠળ કિસાન મહાપંચાયત યોજાઈ હતી. જેમાં ખેડૂતોએ એકઠાં થઈ કેન્દ્ર સરકારે બિન ઉત્પાદિત તમાકુ ઉપર નાખેલો ટેક્સ પરત લેવાની માગણી કરી વિરોધ કર્યો હતો. વિરોધ કરતાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી રેલી સ્વરૂપે ખેડૂતો પ્રાંત કચેરી પહોંચ્યા હતા. જ્યાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી બિન ઉત્પાદિત તમાકુ પર લગાવેલો ટેક્સ પરત લેવા માગણી કરી હતી. આગામી ફેબ્રુઆરી મહિનાથી નવા ટેક્સની અમલવારી થવા જઈ રહી હોવાથી નવો ટેક્સ પરત નહી લેવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ધાનેરાની જેમ ઊંઝા તાલુકાના તમાકુ પકવતા ખેડૂતો અને વેપારીઓ સરકારની નીતિ સામે મેદાનમાં આવ્યા છે. ઊંઝા તમાકુ વેપારી મંડળ અને ખેડૂતોએ ઉનાવા APMC ચેરમેનને આવેદન પત્ર આપી ટેક્સ ઘટાડવા માટેની રજૂઆત સરકારને મોકલવા માગણી કરી હતી. વેપારીઓના જણાવ્યા મુજબ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા તમાકુ પર 28% GST લેવામાં આવે છે.
આગામી સમયમાં જીએસટી વધારીને 40 ટકા કરવામાં આવનાર છે. જ્યારે તેના ઉપર 18 એક્સાઈઝ ડ્યુટી પણ લાદવામાં આવનાર છે. જેના કારણે ઉત્તર ગુજરાતના 700 જેટલા તમાકુના વેપારીઓ મૂંઝવણમાં મૂકાયા છે. આટલા ઊંચા ટેક્સના કારણે તેઓ ખેડૂતો પાસેથી સારા ભાવે માલ ખરીદી નહીં શકે.
મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં મોટાપાયે તમાકુનું વાવેતર થાય છે. કેન્દ્ર સરકાર તમાકું ઉપર ટેક્સ વધારે તો તેનો સીધો માર ધરતીપુત્રો પર પડે તેમ છે. વેપારી માલ નહીં ખરીદે અથવા નીચા ભાવે ખરીદશે તો ખેડૂતોનું આખુ વર્ષ બગડે તેમ છે. કેન્દ્ર સરકાર ખેડૂતોની વ્યથા સાંભળી નવો ટેક્સ પરત લે તેવી માંગ કરવામાં આવી છે.
ખેડૂતોએ જણાવ્યું કે, ખેડૂતોના ખેતરોમાં તમાકુનો પાક તૈયાર થઈ ગયો છે અને થોડા સમય પછી ખેડૂતો તમાકુ વેચવા માર્કેટમાં પોતાનો માલ લાવશે તેવા સમયે સરકાર દ્વારા તમાકુ ઉપર લગભગ ટેક્સ નાખી દીધો છે. જેના કારણે ખેડૂતો પોતાનો માલ વેપારીઓ પાસે વેચવા જશે ત્યારે વેપારીઓ ખેડૂતો પાસેથી તમાકુ ખરીદીમાં પૂરતા પ્રમાણમાં ખેડૂતોને ભાવ નહિ આપી શકે. જેના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહિ મળે અને ખેડૂતોને મોટું નુકસાન થશે. તેથી સરકારે તમાકુ ઉપરનો ટેક્સ પરત ખેંચવો જોઈએ.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.