બગદાણા બહુચર્ચિત હુમલા કેસમાં SIT સમક્ષ PI હાજર
કોળી યુવક નવનીત બાલધીયા કેસમાં SIT તપાસ તેજ, બે PIની પૂછપરછ, અત્યાર સુધી 10 ધરપકડ

બગદાણા પોલીસ સ્ટેશન અને પીઆઈની ફાઈલ તસવીર

બગદાણા પોલીસ સ્ટેશન અને પીઆઈની ફાઈલ તસવીર
સમગ્ર ગુજરાતમાં બહુચર્ચિત બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ બે પીઆઈ હાજર થયા હતા. મહિલા પીઆઈ ડી.વી. ડાંગર અને પીઆઈ કે.એસ. પટેલ જવાબ લખાવવા હાજર થયા હતા. SIT દ્વારા ડી.વી. ડાંગર અને પીઆઈ કે.એસ. પટેલને ચાર દિવસ પહેલા નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા આદેશ કરાયો હતો. નવનીત બાલધિયા હુમલા કેસમાં અત્યાર સુધી 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
નવનીત બાલધિયા હુમલા કેસમાં 12 જાન્યુઆરીએ બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.વી.ડાંગર અને પીઆઈ કે.એસ.પટેલને સમન્સ પાઠવીને 17 જાન્યુઆરીના રોજ બપોરે 12 સુધીમાં હાજર થવાના આદેશ કરાયો હતો. જેના કારણે બંને પોલીસ ઈન્સપેક્ટર SIT સમક્ષ પોતાનો જવાબ લખાવવા હાજર થયા હતા.
નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં 8 અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં પોલીસની કામગીરી સામે કોળી સમાજના આગેવાનોએ સવાલો ઉઠાવતાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી.
આ કેસમાં અત્યાર સુધી મુખ્ય સૂત્રધાર નાજુ કામળીયા, રાજુ ભમ્મર, આતું ભમમર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીષ વનાળીયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુ સેરડા, ભીખા કાળિયાની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં પાલિતાણા તાલુકાના સાજણાસર ગામના સંજય ચાવડાનું નામ ખૂલ્યું હતું. તેથી પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કૂલ 10 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ કેસમાં રાજ્ય સરકારની સૂચનાથી ભાવનગર રેન્જ આઇજીએ 5 જાન્યુઆરીના રોજ SIT ની રચના કરી હતી. SITની ટીમમાં એક IPS, એક PI, એક PSI, બે હેડ કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. SIT ની તપાસમાં રિમાન્ડ દરમિયાન બે દિવસ પહેલા તળાજા તાલુકાના પાદરી ગામના કાના ભીખાભાઈ કામળિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી.
શું છે સમગ્ર ઘટના?
બગદાણાના નવનીત બાલધિયા પર આઠ શખ્સોએ 29 ડિસેમ્બર 2025ના રોજ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ નવનીત બાલધિયાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથે મુલાકાત બાદ નવનીત બાલધિયાએ કહ્યું કે, મુંબઈના કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે, બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે હું માફી માગતો વીડિયો મોકલી આપું છું.
તેણે વધુમાં જણાવ્યું કે, તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું. જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું. તેમણે સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું હતું. પોલીસ મારો કેસ ડાયવર્ટ કરી રહી છે. મારી માંગ છે કે આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા. પોલીસ તે અંગે તપાસ કરે.
આ ઘટનાને લઈ 5 જાન્યુઆરીએ કોળી સમાજના નેતાઓ ગાંધીનગર પુરુષોત્તમ સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમા, ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, પુરુષોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિત 15 ધારાસભ્યોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી કેસની ન્યાયિક તપાસ કરવાની માંગ કરી હતી.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.