અમદાવાદની હોટલમાં વેજના બદલે નોનવેજ પીરસી દીધું!
વસ્ત્રાપુરની થ્રી સ્ટાર હોટલ ધ પાર્ક રેસિડેન્સીમાં મંગાવ્યુ પનીર ચીલી અને આપ્યું ચિકન ચિલી

ધ પાર્ક રેસિડેન્સી હોટલમાં પનીર ચિલીના બદલે ચીકન ચિલી પીરસાયું

ધ પાર્ક રેસિડેન્સી હોટલમાં પનીર ચિલીના બદલે ચીકન ચિલી પીરસાયું
તમે બહારનું ખાવાના શોખીન છો અથવા તો બહારથી ઓર્ડર કરીને ખાવાનું મગાવતા હોય તો ચેક કરીને ખાજો. કારણ કે, તમારું ખાવાનું વેજ છે કે નોન વેજ, તેની ચકાસણી તમારે કરવી પડશે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં થ્રી સ્ટાર હોટલ ધ પાર્ક રેસિડેન્સીમાં એક ગ્રાહકે પનીક ચિલીનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ, તેના બદલે ચિકન ચિલી પીરસી દેવામાં આવ્યું હતું. પનીર ચિલી મંગાવનાર જૈન યુવકે એએમસીમાં ફરિયાદ કરતાં હોટલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હોટેલ પાર્ક રેસીડેન્સીના એક જ કિચનમાં વેજ અને નોનવેજ બનાવતા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદનો જૈન યુવક વસ્ત્રાપુરની થ્રી સ્ટાર ધ પાર્ક રેસિડેન્સી હોટલમાં જમવા ગયો હતો. તેણે હોટલમાં પનીર ચીલી મંગાવ્યું હતું. પરંતુ હોટલ દ્વારા ચિકન ચીલી પીરસી દેવામાં આવ્યું હતું. વેજ પનીર ચીલીની જગ્યાએ નોનવેજ પીરસવામાં આવ્યું હોવાનું યુવકને માલૂમ પડતા હોટલના સ્ટાફને જાણ કરી હતી. ત્યારબાદ એએમસીના ફૂડ વિભાગને જાણ થતાં હોટલમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ હોટલના મેનેજમેન્ટ પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના સુત્રોએ જણાવ્યું કે, વસ્ત્રાપુરની હોટલ ધ પાર્ક રેસિડેન્સીમાં એક યુવકને નોનવેજ પીરસવામાં આવ્યું હોવાની ફરિયાદ મળી હતી. જેમાં તપાસ કરી ત્યારે સર્વિસની ભૂલ હતી. જે સર્વિસ આપવાની હોય તેમાં વેજની જગ્યાએ નોનવેજ આપવામાં આવ્યું હતું. તેથી હોટલ પાસેથી રૂપિયા 5 હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. આરોગ્ય સાથે ચેડાં કરતી ઘટના હોવા છતાં માત્ર દંડનીય કાર્યવાહી કરીને એએમસીના અધિકારીઓએ સંતોષ માની લીધો છે.
હોટલમાં વેજના બદલે નોનવેજ પીરસવાની ઘટનાઓ સાથે ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર બાદ મસાલા પાપડ જેવા ફૂડમાં જીવાત અને વંદા નીકળવાનો સિલસિલો ચાલી રહ્યો છે. આણંદની સત્યનારાયણ હોટેલમાં મસાલા પાપડમાંથી ઇયળ નીકળી હતી. કોર્ટયાર્ડ બાય મેરિયોટ હોટલના ભોજનમાં જીવાત પડેલી જોવા મળી હતી. કોર્ટયાર્ડ બાય મેરિયટના Java માં જમવા ગયેલા ગ્રાહકે જીવાતનો વીડિયો બનાવ્યો હતો. થોડા દિવસ અગાઉ કબીર રેસ્ટોરન્ટ અને ઘી ગુડમાંથી પણ જીવાત નીકળી હતી.
છેલ્લાં એક મહિના દરમિયાન લોકોને ખાદ્ય ચીજોમાં સાપ, કાપેલી આંગળી અને બ્લેડ, જામનગરમાં વેફરના પેકેટમાંથી મરેલો દેડકો મળી આવ્યો હતો. ત્યારે સવાલ એ થાય કે, લોકોના આરોગ્ય સાથે કેવા પ્રકારના ચેડાં થઈ રહ્યા છે. તેમ છતાં કાર્યવાહીના નામે મીંડું છે.
હોટલો, રેસ્ટોરન્ટ અને ઢાબાઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ 2006 અને તે અન્વયેના ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ રેગ્યુલેશન 2011ના કાયદા મુજબ હાઈજીન એન્ડ સેનિટેશનની જોગવાઇઓનુ પાલન કરવાનું હોય છે. આ જોગવાઈનો અમલ થાય છે કે નહી તેનું મોનિટરીંગ કરવાની ફૂડ વિભાગની જવાબદારી છે. ફૂડ વિભાગની સૂચનાઓનુ પાલન ન કરવામા આવે તો લાયસન્સ/રજીસ્ટ્રેશન રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવાની તેમજ ફૂડ સેફ્ટી કાયદાની કલમ-56 હેઠળ એક લાખના દંડની જોગવાઇ કરવામાં આવી છે.
તૈયાર ખોરાકમાં જીવજંતુઓ ન પડે તેની જવાબદારી ભોજન બનાવી પિરસતી હોટલો, રેસ્ટોરન્ટ, ઢાબા, કેંટીન અને ભોજનાલય ચલાવતી સંસ્થાઓની છે. તેમણે રસોડાની સાફ સફાઇ સતત કરાવવી, બારીઓ અને એક્ઝોસ્ટ પંખા પર નેટથી કવર કરવા, દરવાજામાં જીવજંતુઓ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સિસ્ટમને કવર કરવી, ઓથોરાઈઝ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવીને રેકર્ડ સાચવવા જેવી બાબતોની તકેદારી રાખવાની હોય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!