રાજકોટના રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં નવો વળાંક
તપાસ અન્ય એજન્સીને સોંપવા માટે કેસ ફિટઃ રાજકોટ બહારના 3 SPના નામ આપોઃ હાઈકોર્ટ

ફોરેન્સિક એક્સપર્ટના રિપોર્ટને હાઈકોર્ટે શંકાસ્પદ ગણાવ્યો, 15 ઓક્ટોબરે કેસની વધુ સુનાવણી

ફોરેન્સિક એક્સપર્ટના રિપોર્ટને હાઈકોર્ટે શંકાસ્પદ ગણાવ્યો, 15 ઓક્ટોબરે કેસની વધુ સુનાવણી
રાજકોટના રાજકુમાર જાટના મૃત્યુના કેસમાં નવો વળાંક આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સમગ્ર કેસની તપાસ અન્ય એજન્સીને સોંપવા માટે ફિટ હોવાનું અવલોકન કર્યુ છે. હાઈકોર્ટે રાજકોટ બહારના 3 એસપીના નામ માગીને વધુ સુનાવણી 15 ઓક્ટોબર પર મુલતવી રાખી છે.
કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકુમાર જાટ નામના યુવકનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના પરિવારનું માનવું છે કે, તેનું અકસ્માતે મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ છે. હત્યામાં પૂર્વ MLA જયરાજસિંહનો પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે. પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે. આ ફરિયાદની વધુ તપાસ CBIને સોંપવા મૃતકના પરિવારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. હાઇકોર્ટે ઘટનાના CCTV જાળવવા અને તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવા હુકમ કર્યો છે.
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદારે કહ્યું હતું કે, યુવકની હત્યાને અકસ્માતમાં ખપાવવામાં આવી રહી છે. તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 42 ઈજાઓ સામે આવી છે. તેને લોખંડના સળિયા માર્યા છે અને ગુદામાં અંદર સળિયો નાખ્યો હોવાનો ઇજાનો રિપોર્ટ છે. અકસ્માત મૃત્યુમાં આવી ઇજાઓ જોવા મળી શકે નહીં. જેથી આ કેસની તપાસ CBIને સોંપવામાં આવે.
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે ઉપરથી નગ્ન હાલતમાં મૃતકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસ કહે છે કે આ કેસ હત્યાનો નહીં, પરંતુ આકસ્મિક મૃત્યુનો છે. સંપૂર્ણ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ કોર્ટ સમક્ષ અરજદારના વકીલે વર્ણવ્યો હતો. અરજદારે વધુમાં જણાવ્યું હતું કે, મૃતકના હાથ અને પગ ઉપર ચકામાના નિશાન જોવા મળ્યા છે. જે અકસ્માતથી થાય નહીં. તેને માર મરાયો હોવાનો આ પુરાવો છે.
સરકારી વકીલે કહ્યું કે, પોલીસ તપાસ અનુસાર આકસ્મિક મૃત્યુનો કેસ છે. બસના ડ્રાઇવરથી અકસ્માત થયા બાદ એક વ્યક્તિને ફોન કર્યો હતો કે તેનાથી અકસ્માત થયો છે. જેનો વોઇસ સ્પેક્ટોગ્રાફી રિપોર્ટ માટે FSLમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે અરજદારના વકીલે કહ્યું હતું કે આરોપીઓએ પહેલા રાજકુમાર જાટની હત્યા કર્યા બાદ અકસ્માત મૃત્યુમાં ખપાવવા આખી સ્ટોરી ઊભી કરી છે.
હાઈકોર્ટે પૂછ્યું હતું કે, જે વાહન સાથે મૃતકનો અકસ્માત થયો હતો. તે વાહનનો FSL રિપોર્ટ ક્યાં છે? શું બ્રેક ફેઈલ હતી?, હાઇકોર્ટે ફોરેન્સિક એક્સપર્ટ રિપોર્ટને શંકાસ્પદ ગણાવ્યો છે. કારણ કે, મૃતદેહ ઉપર જે ઈજાના નિશાન હતા. તે શેનાથી થયા તેમાં જણાવ્યું નહોતું. અરજદારે જણાવ્યું હતું કે ગોંડલથી 54 કિલોમીટર દૂર મૃતદેહ મળ્યો હતો. CCTVમાં તેને ગાડીમાં લઈ જતા દેખાય છે. કોર્ટે કાગળિયા અને કેસ જોઈને તેની તપાસ અન્ય એજન્સી અથવા CBIને આપવા માટે ફિટ કેસ ગણાવ્યો છે. કોર્ટે રાજકોટ બહારના 3 SPના નામ સરકાર પાસેથી માગ્યા છે. જેઓ આ કેસ અંગે સ્વતંત્ર તપાસ અહેવાલ આપશે. જ્યારે વધુ સુનાવણી 15 ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીમાં જણાવ્યા મુજબ, મૃતકના પિતા 30 વર્ષથી રાજકોટના ગોંડલમાં રહે છે. તેઓ ભાજીપાઉની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમનો પુત્ર એન્જિનિયર હતો. ભણવામાં હોશિયાર હોવાથી તે UPSCની તૈયારી કરી રહ્યો હતો. એક વખત પિતા પુત્ર બાઈક ઉપર પરત આવી રહ્યા હતા. ત્યારે પુત્રને ઝડપી બાઇક ચલાવવા મામલે પિતાએ ટોક્યો હતો. પુત્રએ તે જગ્યાએ બાઈક ઊભું રાખ્યું હતું તે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનું ઘર હતું. તેમના ઘરમાં ગણેશ ગોંડલ અને તેના માણસોએ પિતા પુત્ર સાથે મારપીટ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
પુત્રને ભણવામાં ડિસ્ટર્બ ના થાય તેથી પોતાના ઘરની સામે જ પિતાએ તેને ભાડાનું ઘર અપાવ્યું હતું. એક દિવસ પુત્ર ઘરેથી કંઈ કહ્યા વગર ચાલી નીકળ્યો હતો. સવારે પુત્રને ન જોતા તેની શોધખોળ કરી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. થોડા દિવસ બાદ પોલીસે તેનો મૃતદેહ મળ્યો હોવાની પરિવારને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ રાજકુમાર જાટનું મૃત્યુ અકસ્માતમાં થયું હતું. જો કે તે તેના ઘરથી 60 કિલોમીટર દૂરનો વિસ્તાર હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેને 42 જેટલી ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું.
અકસ્માતના સ્થળે કેટલીક ગાડીઓ અને બાઈક પણ હતા. જે ફરાર થઈ ગયા હતા. વળી પૂર્વ MLA કે તેના દીકરા સામે ફરિયાદ નહીં કરવા પિતાને ધમકી મળી હતી. પુત્રના મેડિકલ રિપોર્ટ કે ડાયિંગ ડિકલેરેશન લેવામાં આવ્યું ન હતું. પિતાના મત મુજબ કેસની તપાસ CBIને સોંપવામાં નહીં આવે તો સ્થાનિક પોલીસ પુરાવાઓનો નાશ કરી દેશે. મૃતક ઊંધા રવાડે ચઢ્યો હોવાથી તેનું આકસ્મિક મૃત્યુ થયું હોવાનું પોલીસનું માનવું છે.
શું હતો સમગ્ર મામલો?
મૂળ રાજસ્થાનના અને ગોંડલમાં શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી આપી રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.
રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ છે. આ હત્યામાં પૂર્વ MLA જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે, પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે. જેથી આ ફરિયાદની વધુ તપાસ CBIને સોંપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજી ઉપર ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી યોજાઈ હતી. જેમાં હાઇકોર્ટે ઘટનાના CCTV જાળવવા અને તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો. તેમજ પક્ષકારોને નોટિસ પાઠવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!