વડોદરા જિલ્લા પંચાયત સદસ્યે ચેતવ્યા છતાં તંત્ર કે સરકારની ઉંઘ ન ઉડી!
ત્રણ વર્ષ અગાઉ બ્રિજની જોખમી સ્થિતિ અંગે કલેક્ટર, માર્ગ અને મકાન વિભાગને પત્ર લખ્યો હતો

ગંભીરા બ્રિજ મુદ્દે જાગૃત નાગરિકોની ચેતવણીને ધ્યાને નહી લેવાતાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા

ગંભીરા બ્રિજ મુદ્દે જાગૃત નાગરિકોની ચેતવણીને ધ્યાને નહી લેવાતાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર નજીક મહીસાગર નદી ઉપરનો ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકોના મોત થયા છે. જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગંભીરા બ્રિજની જોખમી સ્થિતિ અંગે જાગૃત નાગરિકોએ તંત્ર અને સરકારને ચેતવ્યા હોવા છતાં બંનેની ઉંઘ ન ઉડતાં છેવટે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. લખન દરબાર નામના જાગૃત નાગરિકે ફોન કરીને તેમજ વડોદરા જિલ્લા પંચાયતની મુજપુર બેઠકના સદસ્ય હર્ષદસિંહ પરમારે ઓગષ્ટ-2022માં લેખિત રજૂઆત કરી હતી.
પાદરાના ગંભીરા બ્રિજ ધરાશાયી થયા બાદ મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કરતી પોસ્ટ કરીને મૃતકોને રૂપિયા 4 લાખ તેમજ ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાયની જાહેરાત કરી છે. જો કે, મુજપુર જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ પરમાર અને લખન દરબાર જેવા જાગૃત નાગરિકોની રજૂઆતને કાને ધરવામાં આવી હોત તો ગુજરાતના નાગરિકોને આવો દિવસ જોવાનો વારો આવ્યો નહોત. ગંભીરા બ્રિજની ઘટનાથી તંત્ર અને સરકારની ઘોર બેદરકારી છતી થઈ છે. ગંભીરા બ્રિજની જર્જરિત સ્થિતિ અંગે ત્રણ વર્ષ અગાઉ ચેતવણી આપતી રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલ્યુ નથી.
લખન દરબાર નામના એક જાગૃત નાગરિકે 27 જૂન 2023 ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વીડિયો પોસ્ટ કરી ગંભીરા બ્રિજ અંગે ચેતવણી આપી હતી. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિતના ટેગ કરીને લખ્યું હતું કે, "તમારા માટે બ્રેકિંગ ન્યૂઝ આવશે. જેવા મોરબીના આવ્યા હતા. કવરેજ માટે તૈયાર રહેજો." આ સ્પષ્ટ ચેતવણી આપી હોવા છતાં તંત્ર દ્વારા ગંભીરતા નહી દાખવવામાં આવતાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ ઉપરાંત વડોદરા જિલ્લા પંચાયતની મુજપુર બેઠકના સદસ્ય હર્ષદસિંહ ચંદુભાઈ પરમારે 4 ઓગસ્ટ, 2022 ના રોજ કલેક્ટર તેમજ માર્ગ અને મકાન વિભાગને પત્ર લખી બ્રિજની જોખમી સ્થિતિ અંગે ધ્યાન દોર્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બ્રિજના પીલરોમાં "મોમેન્ટ" આવી ગઈ છે. બ્રિજ ઉપરથી પસાર થતી વખતે ધ્રુજારી અનુભવાય છે અને તેની સપાટી સતત બગડી રહી છે. પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે ભવિષ્યમાં કોઈ જાનહાનિ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.
હર્ષદસિંહ પરમારની ગંભીર રજૂઆત હોવા છતાં સરારી તંત્ર દ્વારા બ્રિજને જોખમી જાહેર કરાયો નહોતો. આ ઉપરાંત વાહનવ્યવહાર માટે બંધ પણ કરવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં બ્રિજની સુરક્ષા સંબંધિત કોઈ તપાસ કે ટેસ્ટ રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો ન હતો. જેના પરિણામે ભયાવહ દુર્ઘટના સર્જાઈ અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. આ માનવ સર્જિત દુર્ઘટના ગણાય. કારણકે તંત્ર પાસે પુરતા પુરાવા હોવા છતાં પણ તેને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. ગંભીરા બ્રિજની દુર્ઘટનાએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની અને જર્જરિત પુલોની તાત્કાલિક તપાસ કરવાની જરૂરિયાત ઊભી કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!