અમદાવાદ શહેરની પ્રસિદ્ધ સરકારી કિડની હોસ્પિટલ સામે ગુજરાત કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને અસારવા સ્થિત કિડની હોસ્પિટલ મામલે ગંભીર આરોપ લગાવ્યા છે.
પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે 1999 થી 2017 દરમ્યાન સ્ટેમસેલના ક્લિનિકલ ટ્રાયલ માં સેંકડો લોકોના મોત થયા છે તો 2352 લોકો પર પર ક્લિનિકલ રિસર્ચ નામે અખતરાં થયા છે જેમાં 741 લોકોએ જીવ ગુમાવ્યા છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે 18 વર્ષ સુધી હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ થયા હતા. 2017 માં કેન્દ્રની એજન્સીએ પત્ર પણ લખ્યો હતો જેમાં મંજૂરી વગર થેરાપી થતી હોવાથી બંધ કરવા જણાવાયું હતું. હોસ્પિટલમાં 569 કિડની ટ્રાન્સપ્લાન્ટ ફેલ થયું છે અને 110 દર્દીઓમા કોમ્પ્લિકેશન થતા કિડની ટ્રાન્સપ્લાન્ટ રદ્દ થયા છે. ફક્ત 220 લોકોમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ થયું હતું તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે બીજી જુલાઈ 2025 ના રોજ કેન્દ્રીય એજન્સીએ એક્શન ટેકન જમા કરાવવા આદેશ કર્યો છે તમામ સત્તાવાર આંકડા કેગના વર્ષ 2024 ના અહેવાલમાં છે. તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાતનું આરોગ્ય વિભાગ ઘોર અંધકારમાં ચાલી રહ્યું છે . તેમણે મંજૂરી વગરના ટ્રાયલ મામલે જવાબદાર સામે પગલાં લેવા માગ કરી હતી અને કહ્યું હતું કે આટલા વર્ષમાં આટલા લોકોના મોતની ઘટના એ ગુનાહિત બેદરકારી છે.
આ પણ વાંચો--- સુરતમાં ખાડા રાજ..યુથ કોંગ્રેસે ખાડામાં ભાજપના ઝંડા લગાવ્યા