જયરાજ આહીરની ધરપકડ બાદ સુરતથી હીરા સોલંકીની ગર્જના
ધારાસભ્ય હીરા સોલંકીએ સુરતથી સમાજની એકતા અને ન્યાયની જીતનો સંદેશ આપ્યો છે

જયરાજ આહીરની ધરપકડ

જયરાજ આહીરની ધરપકડ
ભાવનગરના બગદાણામાં પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ચકચારી કેસની તપાસ કરી રહેલી SIT દ્વારા મુખ્ય આરોપી અને પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ ભાજપના દિગ્ગજ નેતા અને કોળી સમાજના અગ્રણી ધારાસભ્ય હીરા સોલંકી સુરત પહોંચ્યા હતા, જ્યાં તેમણે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહત્વપૂર્ણ નિવેદન જારી કરીને આ સમગ્ર ઘટનાક્રમને ન્યાયની જીત ગણાવી છે.
ન્યાય બદલ સંતોષ વ્યક્ત કર્યો
હીરા સોલંકીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ લડાઈ કોઈ જ્ઞાતિ કે વ્યક્તિ વિશેષની વિરુદ્ધમાં ન હતી, પરંતુ તે ન્યાય અને અન્યાય વચ્ચેની લડાઈ હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, સમાજમાં જ્યારે કોઈ નિર્દોષ પર અત્યાચાર થાય ત્યારે અવાજ ઉઠાવવો અનિવાર્ય બની જાય છે. બગદાણા કેસમાં નવનીત બાલધિયાને ન્યાય અપાવવા માટે જે રીતે કોળી સમાજ, વિવિધ સંગઠનો અને અઢારેય વર્ણના લોકોએ એકતા બતાવી છે, તેનાથી સાબિત થાય છે કે, સત્ય હંમેશા વિજયી બને છે. હીરા સોલંકીએ આ તકે પીડિત પરિવારને મળેલા ન્યાય બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.
ખભેખભા મિલાવીને લડવાની હાકલ
આ કેસમાં સોશિયલ મીડિયાની ભૂમિકાને બિરદાવતા હીરા સોલંકીએ જણાવ્યું કે, આ સફળતાનો પાયો યુવાનોએ નાખ્યો છે. ડિજિટલ પ્લેટફોર્મ પર જે રીતે યુવા નેતાઓએ સંગઠિત થઈને અવાજ ઉઠાવ્યો, તેના કારણે જ વહીવટી તંત્ર પર દબાણ વધ્યું અને તટસ્થ તપાસ શક્ય બની. તેમણે ખાસ કરીને સુરતમાં એકઠા થયેલા યુવાનો અને કાર્યકરોનો આભાર માન્યો હતો. હીરા સોલંકીએ ઝાલાભાઈ, સન્નીભાઈ અને વિશાલભાઈ જેવા યુવા આગેવાનોના પ્રયાસોની સરાહના કરી હતી અને ભવિષ્યમાં પણ કોઈપણ અન્યાય સામે આ જ રીતે ખભેખભા મિલાવીને લડવાની હાકલ કરી હતી.
આ મામલે ગંભીરતા દાખવીને SITની રચના કરી
રાજ્ય સરકારની કામગીરી અંગે વાત કરતા ધારાસભ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, સરકાર અને ગૃહ વિભાગે આ મામલે ગંભીરતા દાખવીને SITની રચના કરી અને નિષ્પક્ષ તપાસના આદેશ આપ્યા, જેના પરિણામે આજે મુખ્ય આરોપી જેલના સળિયા પાછળ છે. હીરા સોલંકીએ અંતમાં ઉમેર્યું હતું કે, સમાજની આ એકતા માત્ર એક કેસ પૂરતી સીમિત ન રહેતા, સામાજિક સમરસતા અને ન્યાય માટે હંમેશા જીવંત રહેવી જોઈએ.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.