અનિરુદ્ધસિંહની સજા માફી અને આગોતરા જામીન પણ રદ
પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ, આગોતરા જામીન અરજીઓ પણ નામંજૂર
અનિરુદ્ધસિંહ જાડેજા
અનિરુદ્ધસિંહ જાડેજા
સૌરાષ્ટ્રના રાજકારણ અને ગુનાખોરીના વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર રહેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને હાલ 2 મોટા કાયદાકીય આંચકાઓનો સામનો કરવો પડ્યો છે. એક તરફ, ગુજરાત હાઈકોર્ટે પોપટ સોરઠિયા હત્યા કેસમાં તેમને મળેલી સજા માફી રદ્દ કરી છે અને આગામી 4 અઠવાડિયામાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે.
બીજી તરફ, અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં તેમની અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજીઓ પણ રદ્દ કરવામાં આવી છે, જેના કારણે પોલીસ માટે તેમની શોધખોળ વધુ તીવ્ર બની છે. આ સમગ્ર ઘટનાક્રમ અનિરુદ્ધસિંહ માટે એકસાથે બેવડા કાયદાકીય સંકટ ઊભા કરી રહ્યો છે.
15 ઓગસ્ટ, 1988ના રોજ ગોંડલની સંગ્રામ સિંહજી હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજાએ તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની ગોળી મારીને હત્યા કરી હતી. આ કેસમાં અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા થઈ હતી. પરંતુ, વર્ષ 2018માં તત્કાલીન જેલ IG ટી. એસ. બિષ્ટે તેમને સજા માફી આપીને મુક્ત કર્યા હતા.
આ નિર્ણય સામે મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે આ અરજીને માન્ય રાખીને જેલ અધિક્ષકના સજા માફીના હુકમને ફગાવી દીધો છે અને અનિરુદ્ધસિંહ જાડેજાને 4 અઠવાડિયામાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે. આ સાથે, તેમને દૈનિક હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો છે, જે કાયદાકીય પ્રક્રિયામાં તેમની ગંભીરતા દર્શાવે છે.
બીજો મોટો ફટકો અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં મળ્યો છે. ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા સામે અમિત ખૂંટને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે. આ કેસમાં ગોંડલ કોર્ટે 19 ઓગસ્ટે અનિરુદ્ધ સિંહ જાડેજાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. અગાઉ કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહની અરજી પણ રદ્દ કરી હતી.
પોલીસ ચાર્જશીટમાં બન્ને પિતા-પુત્રને ફરાર બતાવવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ પોલીસ માટે તેમની ધરપકડ કરવાનો રસ્તો વધુ ખુલ્લો થઈ ગયો છે. આ બન્ને કાયદાકીય નિર્ણયો રીબડાના અનિરુદ્ધ સિંહ જાડેજા માટે અત્યંત મહત્વના છે. એક તરફ, તેમને આજીવન કેદની સજા પૂરી કરવા માટે ફરી જેલમાં જવું પડી શકે છે અને બીજી તરફ નવા કેસમાં પણ તેમની ધરપકડનો ખતરો તોળાઈ રહ્યો છે. આ ઘટનાક્રમ સૌરાષ્ટ્રના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.