સેવન્થ ડે સ્કૂલ વિવાદમાં, DEOએ સોંપ્યો રિપોર્ટ
DEOએ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવા અથવા અન્ય ટ્રસ્ટને સોંપવાની ભલામણ કરી

સેવન્થ ડે સ્કૂલ

સેવન્થ ડે સ્કૂલ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ તાજેતરમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાણીની તેના જ સહપાઠી દ્વારા બોક્સ કટર વડે હત્યાની ગંભીર ઘટના બાદ વિવાદમાં આવી હતી. 19 ઓગસ્ટના રોજ બનેલી આ ઘટના બાદ સ્કૂલ દોઢ મહિના સુધી બંધ રહી હતી અને જનઆક્રોશ પણ ફાટી નીકળ્યો હતો. આ મામલે હાઈકોર્ટના આદેશ બાદ સ્કૂલમાં ઓફલાઈન ક્લાસ ફરી શરૂ થયા, પરંતુ હત્યાના બનાવને પગલે DEO રોહિત ચૌધરી દ્વારા RTE એક્ટ મુજબ કમિટીની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસના રિપોર્ટમાં સેવન્થ ડે સ્કૂલની સ્થાપના જ ગેરકાયદે હોવાનો અને સંચાલનમાં અનેક ગેરરીતિઓ તથા નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. DEOએ આ તપાસ રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને ગુજરાત બોર્ડને સોંપી દીધો છે, જેમાં સ્પષ્ટપણે 10,000 વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવા કે અન્ય ટ્રસ્ટને સોંપવા માટે ભલામણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં સેવન્થ ડે સ્કૂલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવાની અને સ્કૂલના સત્તાધીશો સામે ગુનો નોંધાવાની પણ પૂરી શક્યતાઓ છે.
તપાસ માટે જરૂરી દસ્તાવેજો રજૂ ન કર્યા
DEO દ્વારા સરકારને સોંપાયેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે, સેવન્થ ડે સ્કૂલ દ્વારા તપાસ માટે જરૂરી આધાર-પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી અને સ્કૂલ સંચાલનમાં અનિયમિતતા તેમજ નિયમોનું ઉલ્લંઘન સ્પષ્ટપણે જણાય છે. સ્કૂલે રજૂ કરેલા દસ્તાવેજોમાં પણ ઘણી વિસંગતતાઓ છે. સ્કૂલનું સંચાલન ક્યા ટ્રસ્ટ કે સોસાયટી દ્વારા થઈ રહ્યું છે તે જ સ્પષ્ટ નથી, કારણ કે જમીન AMC દ્વારા 'ધ ઈન્ડિયા ફાઈનાન્સિયલ એસોસિયેશન ઓફ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ'ને 99 વર્ષના ભાડાપટ્ટે 2003માં આપવામાં આવી છે.
આ પણ વાંચો: સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટમાં બાહેધરી
સ્કૂલ પાસે વર્ગોની મંજૂરીના પૂરતા આધાર નથી
જ્યારે બોર્ડના મંજૂરી પત્રોમાં અને માઈનોરિટી સર્ટિફિકેટમાં 'કાઉન્સિલ ઓફ એડવેન્ટિસ્ટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ' અને ફી કમિટી સમક્ષ 'અશલોક એજ્યુકેશન સોસાયટી'નો ઉલ્લેખ છે. આ અલગ-અલગ ટ્રસ્ટ-સોસાયટીના ઉલ્લેખો ભાડાકરારની શરતોનો ભંગ સૂચવે છે. વધુમાં, સ્કૂલ પાસે તેના વર્ગોની મંજૂરીના પૂરતા આધાર નથી અને પ્રાથમિક દૃષ્ટિએ તે અમાન્ય હોવાનું કહી શકાય. વર્ષો પહેલા મણિનગર પૂર્વમાં જુદા સ્થળે પ્રાયમરીના વર્ગોની મંજૂરી લેવાઈ હતી અને હાલ તે ખોખરામાં અલગ સ્થળે ચાલી રહી છે. સ્કૂલે વર્ગ વધારા માટે બોર્ડની પૂર્વ મંજૂરીના આધારો પણ રજૂ કર્યા નથી.
સ્કૂલે બોગસ એફિડેવિટ રજૂ કર્યા
તપાસમાં બહાર આવેલા અન્ય મુખ્ય તથ્યો મુજબ, સેવન્થ ડે સ્કૂલ દ્વારા પ્રાથમિક વિભાગ માટે લઘુમતી દરજ્જાનું સર્ટિફિકેટ રજૂ કરાયું નથી. સ્કૂલ કેમ્પસમાં પુસ્તકોનું વેચાણ ફી રેગ્યુલેશન એક્ટની વિરુદ્ધ થઈ રહ્યું છે. સ્કૂલમાં બે પાળી ચલાવવા માટે બોર્ડની પૂર્વ મંજૂરી, અલગ સ્ટાફ અને રેકોર્ડના દસ્તાવેજોનો અભાવ છે. સૌથી ગંભીર બાબત એ છે કે, સ્કૂલે બોગસ એફિડેવિટ રજૂ કરીને હકીકત છુપાવી હતી. સ્કૂલે ગુજરાત બોર્ડ હેઠળ ધો. 11-12 સાયન્સની મંજૂરીની દરખાસ્તમાં બાંયધરી આપી હતી કે, મકાનમાં અન્ય કોઈ ટ્રસ્ટની 9થી 12ની સ્કૂલ કે અન્ય શિક્ષણ સંસ્થા ચાલતી નથી, પરંતુ હકીકતમાં ત્યાં ICSE બોર્ડની ધો. 1થી 12ની સ્કૂલ, બિઝનેસ સ્ટડીઝ અને B.Sc. સહિતની 2 કોલેજો પણ ચાલુ હતી.
આ પણ વાંચો: અમદાવાદ: સેવન્થ ડે સ્કૂલ પર કાયદાકીય સંકટ
બોગસ દસ્તાવેજોના આધારે વધુ ફી ઉઘરાવવાનું કાવતરું
આના પરથી સ્પષ્ટ થાય છે કે, સ્કૂલના સત્તાધીશોએ હજારો વિદ્યાર્થીઓના વાલીઓ અને સરકારની આંખમાં ધૂળ નાખીને ગેરકાયદે રીતે સેવન્થ ડે સ્કૂલ ઊભી કરી અને બોગસ દસ્તાવેજોના આધારે વધુ ફી ઉઘરાવવાનું કાવતરું કર્યું હતું. DEO રોહિત ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડાં કરનાર સત્તાધીશો વિરુદ્ધ આગામી સમયમાં ગુનો નોંધાવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!