દાહોદના અભલોડ ગામમાં લગ્ન પ્રસંગ આફતમાં ફેરવાયો
લગ્નના જમણવાર બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

દાહોદની સરકારી હોસ્પિટલમાં દર્દીની સારવારની તસવીર

દાહોદની સરકારી હોસ્પિટલમાં દર્દીની સારવારની તસવીર
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં લગ્નપ્રસંગ આફતમાં ફેરવાઈ ગયો. જમણવાર બાદ 400થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બનતા ગામમાં ચીસો અને ચિંતાનો માહોલ છવાઈ ગયો. મોટી સંખ્યામાં લોકોને ઝાડા-ઊલટી થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.
માહિતી મુજબ, ભરતભાઈ રાઠોડના ઘરે યોજાયેલા લગ્નપ્રસંગમાં આશરે 1000 જેટલા લોકોએ ભોજન લીધું હતું. મહેમાનો માટે દાળ-ભાત, શાક-પુરી, પાપડ, કેરીનો રસ અને પનીરની શાકભાજી પીરસવામાં આવી હતી. પરંતુ જમણવારના થોડા જ કલાકોમાં લોકોની તબિયત બગડતા ખુશીના પ્રસંગે અફરાતફરી મચી ગઈ.
પરિવારજનો અને ગ્રામજનોએ તરત જ 108 એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો મારફતે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાની દોડધામ શરૂ કરી. એક પછી એક દર્દીઓ હોસ્પિટલ પહોંચતા આરોગ્ય તંત્ર પર ભારે દબાણ સર્જાયું.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતે જણાવ્યું કે, શરૂઆતમાં 2થી 3 બાળકો બીમાર પડ્યા હતા, બાદમાં ધીમે ધીમે વધુ લોકો અસરગ્રસ્ત બન્યા. મોડી રાત સુધીમાં 58 લોકોની સારવાર કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 232 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 137ને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે જ્યારે 85 લોકો હજુ ઓબ્ઝર્વેશન હેઠળ છે. હાલ તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.
ડૉ. રાજીવ ડામોરે જણાવ્યું કે, રાત્રે 7 થી 8 વાગ્યાની વચ્ચે લોકોએ પનીરનું શાક, પુરી, દાળભાત અને કેરીનો રસ ખાધો હતો. ત્યારબાદ રાત્રે 11 વાગ્યે અચાનક લોકોમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમ તાત્કાલિક ગામે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં કેરીનો રસ અને પનીરનું શાક શંકાના ઘેરામાં આવ્યા છે.
તંત્રએ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ કબ્જે લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે. રિપોર્ટ બાદ જવાબદાર વ્યક્તિઓ અને કેટરર્સ સામે કડક કાર્યવાહી થશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ

સગા મોટાભાઈએ સગીર બહેન પર દુષ્કર્મ કરતાં ગર્ભ રહી ગયો, ગર્ભપાતની અરજી કોર્ટે કરી નામંજૂર