રાજસ્થાનના દૌસા ખાતે અકસ્માતમાં 11 લોકોના મોત
દૌસામાં પિકઅપ અને કન્ટેનર વચ્ચે થયેલી ટક્કરમાં 11 લોકોના મોત અને અનેક ઈજાગ્રસ્ત
પિકઅપ અને કન્ટેનર વચ્ચે અકસ્માત
પિકઅપ અને કન્ટેનર વચ્ચે અકસ્માત
રાજસ્થાનના દૌસા જિલ્લામાં બુધવારે અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા. આ અકસ્માત પિકઅપ અને કન્ટેનર વચ્ચેની ટક્કરમાં થયો હતો. આ અકસ્માત દૌસા-મનોહરપુર રોડ પર બાપી પાસે થયો હતો, જ્યારે ખાટુશ્યામજીના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી પિકઅપ વાન એક કન્ટેનર સાથે ટકરાઈ હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, 7 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 1 મહિલાનું મોત થયું હતું. કુલ મૃતકોની સંખ્યા 11 થઈ ગઈ.
આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માતનું કારણ ઝડપી ગતિ અને સંભવિત બેદરકારી હોવાનું કહેવાય છે. પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું, અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત એટલો ગંભીર હતો કે, પિકઅપ વાહન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. કોઈક રીતે લોકોને વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ, લોકોનું મોટું ટોળું ઘટના સ્થળે એકત્રિત થઈ ગયું, જેના કારણે લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થાનિક પોલીસકર્મીઓના આગમન બાદ ટ્રાફિક જામ દૂર કરવામાં આવ્યો હતો.
બીજી તરફ, એક સાથે 20થી વધુ ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં પહોંચ્યા હોવાથી, દૌસા જિલ્લા હોસ્પિટલમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી અને પરિસ્થિતિને સંભાળવા માટે વધારાના તબીબી સ્ટાફને બોલાવવામાં આવ્યો હતો.
દૌસાના કલેક્ટર દેવેન્દ્ર કુમાર યાદવ અને પોલીસ અધિક્ષક સાગર રાણા ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 7થી 8 લોકોને જયપુરની સવાઈ માન સિંહ (SMS) હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્યને દૌસા જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી. પોસ્ટમાં તેમણે લખ્યું કે, "દૌસામાં થયેલા અકસ્માતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. જિલ્લા વહીવટીતંત્રને ઈજાગ્રસ્તોની તાત્કાલિક અને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ભગવાન મૃતકોના આત્માઓને તેમના ચરણકમળમાં સ્થાન આપે અને ઈજાગ્સ્તોને ઝડપથી સ્વસ્થ કરે."

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ

સગા મોટાભાઈએ સગીર બહેન પર દુષ્કર્મ કરતાં ગર્ભ રહી ગયો, ગર્ભપાતની અરજી કોર્ટે કરી નામંજૂર