યુક્રેન–રશિયા યુદ્ધ હવે માત્ર સરહદો કે ડોનબાસની ખાઈઓમાં મર્યાદિત નથી રહ્યું. અમેરિકાએ તાજેતરમાં જે નિર્ણયો લીધા છે તે આ યુદ્ધને નવી દિશા આપે છે અને વિશ્વ સમક્ષ ભયજનક પ્રશ્ન ઊભો કરે છે – શું આપણે વિશ્વયુદ્ધ–૩ તરફ આગળ વધી રહ્યા છીએ?
અમેરિકા હવે યુક્રેનને એવી ચોક્કસ ગુપ્તચર માહિતી આપવા તૈયાર છે, જે સીધી રીતે રશિયાના ઊર્જા કેન્દ્રો – તેલની રિફાઇનરી, પાઇપલાઇન કે પાવર પ્લાન્ટ – પર હુમલા માટે ઉપયોગી બને. અત્યાર સુધી યુદ્ધક્ષેત્ર સુધી મર્યાદિત માહિતી વહેંચાતી હતી, પરંતુ આ વખતે નિશાન છે રશિયાનું અર્થતંત્ર અને તેની જીવનશક્તિ. એક પરમાણુ સત્તાને તેની આવકનાં સ્ત્રોત પર ઘા મારવો માત્ર સૈન્યની નહીં, પણ અસ્તિત્વની લડાઈ સમાન છે.
યુક્રેન માટે આ નિઃસંદેહ મોટો ફાયદો છે. લાંબા અંતરના મિસાઇલ – જેમ કે ટોમહોક કે બેરાકુડા – સાથે જો અમેરિકી ગુપ્તચર માહિતી જોડાય, તો મોસ્કો સુધીના ટાર્ગેટને નિશાન બનાવવું શક્ય બને. પરંતુ આ જ ખતરાનું મૂળ છે. રશિયા માટે તેલ અને ગેસ ફક્ત નિકાસ નહીં, પરંતુ રાષ્ટ્રિય ગૌરવ અને સૈન્ય ફંડિંગનું હૃદય છે. એ પર હુમલો રશિયા માટે યુદ્ધની સીમાને પાર કરાવનારું સાબિત થઈ શકે.
પ્રશ્ન એ છે કે આ બધું માત્ર યુક્રેનને સહાય કરવાનો પ્રયાસ છે કે અમેરિકા વિશ્વ રાજકારણમાં પોતાની સર્વોચ્ચતા સાબિત કરવાની નવી રણનીતિ અપનાવી રહ્યું છે? વિશ્વના ઊર્જા બજારો પર નિયંત્રણ મેળવવા માટે અને રશિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે કમજોરી બતાવવા માટે અમેરિકા આ રસ્તો અપનાવી રહ્યું છે એવું માનવા પૂરતા કારણો છે.
યુરોપ આ સ્થિતિમાં વધુ ભયભીત છે. જો રશિયા જવાબી પ્રહાર સ્વરૂપે ગેસ સપ્લાય બંધ કરે અથવા સાઇબર હુમલા કરે, તો સૌથી મોટો આર્થિક ફટકો યુરોપને પડશે. અને જો સ્થિતિ નિયંત્રણ બહાર જાય, તો માત્ર યુરોપ જ નહીં, આખું વિશ્વ ઉથલપાથલમાં ધકેલાઈ શકે.
વિશ્વયુદ્ધ–૩ની ચર્ચા કદાચ અતિશયોક્તિ લાગી શકે, પરંતુ એક પરમાણુ સત્તાને તેની જીવનશક્તિ પર ઘા કરવાનો નિર્ણય દુનિયાને અજાણ્યા જોખમોમાં ખેંચી શકે છે. પ્રશ્ન સ્પષ્ટ છે – શું અમેરિકા શાંતિ સ્થાપક છે કે નવો મહાસત્તાવાદ સ્થાપવાની ચેસ્ટા કરી રહ્યું છે? જવાબ જે પણ હોય, જોખમ આખા વિશ્વે વહન કરવું પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ