Gujarat Congress Internal Dispute: 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 2029ની લોકસભા ચૂંટણી પણ બહુ દૂર નથી. કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતમાં સત્તા પરિવર્તનના દાવા કરી રહ્યું છે. રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસને નવેસરથી ઊભી કરવાની વાત કરી રહ્યા છે. ‘લંગડા ઘોડા’ને હટાવી ‘રેસના ઘોડા’ને મેદાનમાં ઉતારવાની ચર્ચા છે. પરંતુ ગુજરાત કોંગ્રેસની હાલની સ્થિતિ જોઈને સવાલ ઊભો થાય છે કે રેસમાં ઉતરતા પહેલાં કોંગ્રેસ પોતાની ટીમને એક લાઇનમાં ઊભી પણ કરી શકશે? ભાજપ સામે યુદ્ધ જાહેર કરતાં પહેલાં કોંગ્રેસ પોતાના જ ઘરમાં રાજકીય ધમાસાણમાં ફસાઈ છે. સવાલ કડવો છે, પરંતુ જરૂરી છેઃ જે પાર્ટી પોતાના સંગઠનમાં જ એકતા ઊભી કરી શકતી નથી, તે ગુજરાતમાં ભાજપના મજબૂત સંગઠનને કેવી રીતે ટક્કર આપશે?
પ્રભારી બદલાયા, સમસ્યા કેમ ન બદલાઈ?
2027 અને 2029ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ગુજરાત સંગઠનમાં ફેરફાર શરૂ કર્યા. હાઈકમાન્ડનો ઈરાદો હતો કે જૂની અને નિષ્ક્રિય વ્યવસ્થાને હટાવીને ચૂંટણી લડવાની ક્ષમતા ધરાવતા નેતાઓને આગળ લાવવામાં આવે. પરંતુ વારંવાર પ્રભારી બદલવાની જરૂર પડે છે ત્યારે સવાલ પ્રભારીની ક્ષમતા કરતાં વધુ મોટો બની જાય છે. મુકુલ વાસનિકની જગ્યાએ રણદીપસિંહ સુરજેવાલાને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા. નવા પ્રભારી સાથે નવી દિશા, નવી વ્યૂહરચના અને સંગઠનમાં નવી શિસ્તની અપેક્ષા હતી. પરંતુ સુરજેવાલાને જવાબદારી મળ્યાના થોડા જ સમયમાં બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનના માળખાને લઈને વિવાદ સામે આવ્યો. અહીંથી કોંગ્રેસ માટે અસલી મુશ્કેલી શરૂ થાય છે.
કોંગ્રેસની સંગઠનાત્મક બીમારીનું લક્ષણ
બનાસકાંઠા કોઈ સામાન્ય બેઠક નથી. 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસને મળેલી એકમાત્ર બેઠક બનાસકાંઠા છે. એટલે જે બેઠક કોંગ્રેસ માટે ગુજરાતમાં રાજકીય આશાનું સૌથી મોટું પ્રતીક બની છે, ત્યાં જ સંગઠનના હોદ્દા અને જવાબદારીઓને લઈને મતભેદ ઊભા થાય, પ્રદેશ નેતૃત્વના નિર્ણય સામે વાંધા ઉઠે અને જિલ્લા સંગઠન ચર્ચામાં આવે, તો આ માત્ર ‘સ્થાનિક વિવાદ’ નથી. આ કોંગ્રેસની સંગઠનાત્મક બીમારીનું લક્ષણ છે. અને આ બીમારી જો 2027 સુધી ચાલુ રહી તો તેનો સીધો ફાયદો ભાજપને મળશે. કોંગ્રેસે એક વાત સમજવી પડશેઃ ચૂંટણી પોસ્ટર, પ્રેસ કોન્ફરન્સ અને મોટા નેતાઓના ભાષણોથી નથી જીતાતી. ચૂંટણી બૂથ પર જીતાય છે. ભાજપનું સંગઠન બૂથ સુધી સક્રિય છે. તેની સામે કોંગ્રેસ પાસે મજબૂત કાર્યકર્તા નેટવર્ક, સ્પષ્ટ જવાબદારી અને એકજૂથ જિલ્લા સંગઠન હોવું જરૂરી છે. પણ અહીં તો જિલ્લા સંગઠનની રચના જ વિવાદનું કારણ બની રહી છે. તો પછી બૂથ સુધી ભાજપને પડકારવાની વાત ક્યાંથી આવશે?
‘રેસના ઘોડા’ કે એકબીજાના રસ્તામાં અવરોધ?
રાહુલ ગાંધી ગુજરાતમાં ‘લંગડા ઘોડા’ને ઓળખીને ‘રેસના ઘોડા’ને આગળ લાવવાની વાત કરે છે. વાત સાંભળવામાં આકર્ષક છે. પરંતુ રાજકારણમાં માત્ર સારા ઘોડા પસંદ કરવાથી રેસ જીતાતી નથી. ઘોડા એકબીજાને ખેંચે નહીં, રેસની દિશા સ્પષ્ટ હોય અને કોચિંગ સ્ટાફ એકબીજા સામે ન હોય ત્યારે જ ટીમ જીતે છે. ગુજરાત કોંગ્રેસની સમસ્યા કદાચ માત્ર ‘કયા નેતાને આગળ લાવવા’ની નથી. સમસ્યા એ છે કે આગળ લાવવામાં આવેલા નેતાઓ એકસાથે કામ કરશે કે નહીં? મુકુલ વાસનિક ગયા. રણદીપસિંહ સુરજેવાલા આવ્યા. પ્રભારી બદલાયો. પરંતુ જો જૂથબાજી યથાવત છે, આંતરિક ખેંચતાણ યથાવત છે, જિલ્લા-પ્રદેશ વચ્ચે સંકલનનો અભાવ યથાવત છે અને સંગઠનના નિર્ણયો જ વિવાદમાં આવે છે, તો પછી કોંગ્રેસ કયા બદલાવની વાત કરે છે? ચહેરા બદલવાથી કોંગ્રેસની કિસ્મત નહીં બદલાય. કાર્યશૈલી બદલવી પડશે. નેતૃત્વની જવાબદારી નક્કી કરવી પડશે. જૂથબાજી પર લગામ લગાવવી પડશે. અને સૌથી પહેલાં કાર્યકર્તાને વિશ્વાસ અપાવવો પડશે કે કોંગ્રેસ ખરેખર એક ટીમ છે. કારણ કે ભાજપ સામે લડવા માટે કોંગ્રેસને પહેલાં પોતાના જ નેતાઓ વચ્ચેની લડાઈ રોકવી પડશે.
ગુજરાત કોંગ્રેસની અંદરની રાજકીય ખેંચતાણ ક્યારે પૂરી થશે?
2027ની ચૂંટણીમાં કોંગ્રેસ માટે સૌથી મોટો ભ્રમ એ હશે કે ભાજપ સામેની નારાજગી આપમેળે કોંગ્રેસના મતમાં ફેરવાઈ જશે. એવું રાજકારણ એટલું સરળ નથી. મતદાર સુધી પહોંચવા માટે સતત મેદાની કામગીરી જોઈએ. બૂથ લેવલનું સંગઠન જોઈએ. સ્થાનિક નેતાઓ વચ્ચે સંકલન જોઈએ. કાર્યકર્તાનું મનોબળ જોઈએ. અને સૌથી ઉપર, ચૂંટણી સુધી એક જ દિશામાં દોડતું નેતૃત્વ જોઈએ. આ પાંચમાંથી એક પણ કડી નબળી પડે તો ચૂંટણીની આખી ગણિત બગડી શકે છે. કોંગ્રેસ માટે હવે સમય પ્રયોગોનો નહીં, નિર્ણયનો છે. કેટલા પ્રભારી બદલવાના? કેટલી બેઠકો કરવાના? કેટલી વાર સંગઠનના માળખામાં ફેરફાર કરવાના? સવાલ હવે એ નથી કે ગુજરાત કોંગ્રેસનો આગામી પ્રભારી કોણ હશે. સવાલ એ છે કે ગુજરાત કોંગ્રેસની અંદરની રાજકીય ખેંચતાણ ક્યારે પૂરી થશે? જો દરેક નવા પ્રભારીને જૂના વિવાદો, જૂથવાદ અને આંતરિક અસંતોષ જ વારસામાં મળવાના હોય તો નવા ચહેરાથી નવી કોંગ્રેસ કેવી રીતે બનશે?
‘રેસના ઘોડા’ની વાત પણ માત્ર રાજકીય જુમલો બનીને રહી જશે?
ગુજરાત જીતવું હોય તો કોંગ્રેસે પહેલાં પોતાના જ સંગઠનમાં જીત મેળવવી પડશે. કાર્યકર્તાનો વિશ્વાસ જીતવો પડશે. જિલ્લા સંગઠનનો વિશ્વાસ જીતવો પડશે. પોતાના નેતાઓને એક મંચ પર લાવવા પડશે. નહીંતર ભાજપ સામેની લડાઈ શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસ પોતાની અંદરની લડાઈમાં હારી જશે. અને પછી ‘રેસના ઘોડા’ની વાત પણ માત્ર રાજકીય જુમલો બનીને રહી જશે. 2027ની સત્તાની દોડમાં કોંગ્રેસ પાસે હવે સમય ઓછો છે. ભાજપ સામે લડવું છે તો પહેલાં કોંગ્રેસે પોતાનાં જ નેતાઓને એકબીજા સામે લડતા રોકવા પડશે. કારણ કે ગુજરાતની સત્તા ગાંધી પરિવારના નિવેદનોથી નહીં, સંગઠનની જમીની તાકાતથી જીતાશે. આખરી સવાલ માત્ર એટલો છેઃ કોંગ્રેસ ભાજપને હરાવવાની તૈયારી કરી રહી છે કે હજુ પણ પોતાના જ ઘરમાં કોને હરાવવો તેની ગણતરી કરી રહી છે? ગુજરાત જીતવું છે? તો પહેલાં ગુજરાત કોંગ્રેસને જીતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ
ભારતને સંવેદના, ઈમાનદારી અને ઊંડાણથી વિશ્વ સમક્ષ રજૂ કરનાર વરિષ્ઠ બીબીસી પત્રકાર